હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, તે ઘરમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે અને એ ઘર પર સદાય એમની કૃપા વરસતી રહે છે. એટલું જ નહીં આને કારણે ઘરમાં સુખ-શાંતિ રહે છે. તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને એટલા માટે તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ જોવા મળે છે. તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે. જ્યાં સકારાત્મકતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીના છોડને લઈને જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તુલસીના પાંદડાના કેટલાક ઉપાયો વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી દે છે.
ચાલો જાણીએ શું છે આ ઉપાયો-
– દુર્ભાગ્ય દૂર કરવા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાની સાથે સાથે જ તુલસીની પૂજા પણ કરો. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો અને મધની વસ્તુઓ ચઢાવો અને કાચું દૂધ અને મીઠાઈઓનો ભોગ લગાવો. પૂજા પછી કોઈ ગરીબ પરિણીત સ્ત્રીને આ વસ્તુઓનું દાન કરો. આ ઉપાય કરવથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આ સાથે સાથે જ તુલસીના છોડને ગોળ અર્પિત કરવાથી દુર્ભાગ્ય પણ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
– જો હાલમાં તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો રોજ સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ખરાબ સમય દૂર થઈ જશે અને અચ્છે દિનનું આગમન થશે.
– પૈસાની સમસ્યા દૂર કરવા માટે પિત્તળના એક વાસણમાં થોડું પાણી લો, હવે તેમાં તુલસીના ચાર પાંદડા નાખો અને આ પાણીને આખો દિવસ એમ જ રહેવા દો. બીજા દિવસે સવારે આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરો. આવું કરવાથી પૈસાની સમસ્યા દૂર થઈ જશે.
– ગુરુવારના દિવસે તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને આ પાંદડાને પીળા રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી રાખો. આ ઉપાયથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને ક્યારેય ધનની અછત નહીં વર્તાય.