ઘાટકોપરમાં 2 વર્ષથી અટકેલું કામ હવે પૂરું થશે
બોમ્બે હાઈકોર્ટેના આદેશ બાદ મેટ્રો-4 માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે, જેને કારણે ઘાટકોપરમાં 2 વર્ષથી અટકેલું કામ હવે જલદી પૂરું થશે એવી આશા બંધાઇ છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈ અને થાણેને જોડતા વડાલા-કાસરવડવલી માર્ગ પર મેટ્રો-4 પ્રોજેક્ટની માન્યતા અને મેટ્રો લાઇનને પડકારતી બે અરજીઓ ફગાવી દીધી હતી. આથી આ પ્રોજેક્ટનો રસ્તો સાફ થતાં જ ઘાટકોપર વિસ્તારમાં લગભગ બે વર્ષથી અટવાયેલું આ પ્રોજેક્ટનું કામ હવે ચાલું થઈ જશે.
ઈન્ડો નિપ્પોન કંપની અને યશવંત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ આ રિટ અરજીઓ દાખલ કરી હતી. મેટ્રો એક્ટની જોગવાઈઓ મુજબ કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ માટે જનરલ મેનેજરની નિમણૂક કરવી જરૂરી હોવા છતાં આવી કોઈ નિમણૂક કરવામાં આવી નથી. તેથી MMRDAને આ પ્રોજેક્ટ લાગુ કરવાનો કોઈ અધિકાર નથી. તદુપરાંત, આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ગેરકાયદેસર છે અને 2034 ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનમાં આ પ્રોજેક્ટ માટે અલગ રસ્તો બતાવવામાં આવ્યો હોવા છતાં, એમએમઆરડીએ સમયાંતરે મનસ્વી રીતે તેમાં ફેરફાર કરે છે, પરંતુ કંપનીની માલિકીની જમીન તેમાં ગઈ છે, એવો ઇન્ડો નિપ્પોન કંપનીએ આક્ષેપ કર્યો હતો. યશવંત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ આક્ષેપ કર્યો હતો કે ગરોડિયા નગરમાં તેમની સોસાયટીની સામેનું બાંધકામ તેમને નુકસાન પહોંચાડી રહ્યું છે. સોસાયટીએ જણાવ્યું હતું કે માત્ર કેટલાક મોટા ઉદ્યોગપતિઓના ઘર બચાવવા માટે MMRDAએ આ મેટ્રોનો રૂટ બદલીને તેનો પિલર અમારી સોસાયટીની સામે લાવી દીધો હતો. આ બાબતે અંતિમ સુનાવણીના અંતે મુખ્ય ન્યાયાધીશ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ખંડપીઠે 17 માર્ચે નિર્ણય અનામત રાખ્યો હતો.
સંદીપ માર્નેની આગેવાની હેઠળની બેન્ચે ગુરુવારે નિર્ણયની જાહેરાત કરતી વખતે પ્રોજેક્ટ અંગે અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. હાઇ કોર્ટે અવલોકન કર્યું હતું કે MMRDA પાસે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવાના સંપૂર્ણ અધિકારો છે. કેન્દ્ર સરકાર પાસે મેટ્રો પ્રોજેક્ટ માટે જનરલ મેનેજરની નિમણૂક કરવાનો વિકલ્પ છે. જો કે, કેન્દ્રએ દેશભરના ઘણા પ્રોજેક્ટ્સ માટે તે વિકલ્પ અપનાવ્યો નથી અને સંબંધિત રાજ્ય સરકારોને સત્તા આપી છે. તદનુસાર, રાજ્ય સરકારે મેટ્રો એક્ટની જોગવાઈઓ હેઠળ એમએમઆરડીએની નિમણૂક કરી છે. દિલ્હી મેટ્રો મેટ્રો રેલ કોર્પોરેશને 2016માં પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ આ રૂટ ફાઇનલ કરવામાં આવ્યો હતો. તે અંગે જાહેર સુનાવણી પણ યોજાઈ હતી. તે સમયે ઈન્ડો નિપ્પોને કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. મેટ્રો એક્ટ હેઠળ જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરવા માટે સરકાર બંધાયેલી નથી. તેથી, આ પ્રોજેક્ટમાં કંઈપણ ગેરકાયદેસર નથી”, એમ જણાવતા હાઈકોર્ટે તેમની અરજીઓને ફગાવી દીધી હતી. ખાનગી હિતોના રક્ષણના હેતુથી અરજી કરનારાઓના આક્ષેપોમાં કોઈ સત્યતા નથી. તેઓ દંડને પાત્ર છે. જો કે, અમે દંડ લાદવાનું ટાળીએ છીએ’, એમ બેંચે ઉલ્લેખ કર્યો છે.