ઘણીવાર સોશિયલ મીડિયામાં આવી માગણીઓ થતી રહેતી હોય છે કે જેમણે રોડ-રસ્તા બનાવ્યા છે તેમનું નામજ જે તે કંપની કે કોન્ટ્રાક્ટરના નામ પરથી રાખવામા આવે, આથી આવું રેઢિયાળ કામ કોણે કર્યું છે તે જનતાને ખબર પડે. નાનકડા ગામડાંથી માંડી મોટા શહેરોમાં રોડ-રસ્તાની સમસ્યા એકસરખી છે. કરોડોનો ખર્ચો કર્યા બાદ પણ વરસાદના એક ઝાંપટે રસ્તાઓ દોવાઈ જાય છે અને સ્થાનિક તંત્રો અને કોન્ટ્રાક્ટરો એકબીજાને ભાંડી જનતાને ખાડા-ખાબોચિયાને હવાલે કરી દે છે. ત્યાર અમદાવાદ મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગની જાહેરાત કરી છે.
શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તાના ધોવાણ થતાં, રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જતા હોય છે. આવામાં રોડ રસ્તા મુદ્દે કોઇ અધિકારી કે કોન્ટ્રાક્ટરની જવાબાદારી નક્કી થતી ન હતી, પરંતુ હવેથી જે પણ રોડ શહેરમાં બનશે તે રોડ કઇ તારીખે બન્યો, રોડ કોન્ટ્રાક્ટર કોણ છે, રોડ કેટલા રૂપિયાના ખર્ચે બન્યો વગેરેની માહિતી સાથે તકતી લગાવામાં આવશે. આ પ્રાયોગિક ધોરણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા પર તકતી લગાવાની કામગીરી ચાલી રહી છે, તેમ એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ નીતિનો અમલ થઇ શક્યો ન હતો. આખરે બીસ્માર રસ્તાઓ બાબતે હાઇકોર્ટની ફટકાર અને જનતાના રોષના પગલે એએમસી સત્તાધીશો આ નિર્ણય કડકાઇથી અમલ કરવા તૈયાર થયા છે.
શહેરમાં દર ચોમસાની સિઝન દરમિયાન સામાન્ય વરસાદ થાય અને શહેરના રોડ રસ્તા ખાડા પડવાની શરૂઆત થઇ જાય છે. વાહનચાલકો માટે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. પરંતુ ક્યો રોડ, કોણે બનાવ્યો છે, રોડની મર્યાદા કેટલી છે, તે અંગે કોઇ નીતિ ન હતી. આખરે આ નીતિનો અમલ કરી જવબાદર સામે કાર્યવાહી પણ કરી શકાય અને પ્રજાને પણ ખ્યાલ રહે તે માટે તકતી લગાવવામાં આવી રહી છે.