એક તરફ જ્યાં ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે દર્શકો થિયેટરમાં ઉમટી રહ્યા છે, તો બીજી તરફ આ ફિલ્મને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. તમિલનાડુના પગલે પગલે પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો એમપી અને યુપીમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
હવે આ ફિલ્મ સંબંધિત વિવાદનો રેલો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. એનસીપીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે આ વિવાદમાં ઝંપલાવતા કહ્યું હતું કે આ ફિલ્મમાં માત્રને માત્ર જુઠ્ઠાણું દર્શાવવામાં આવ્યું છે. ત્રણ છોકરીઓની વાર્તા 32 હજારની છે. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ બનાવનારાઓને ફાંસી થવી જોઈએ.
ધ કેરલા સ્ટોરી પર અગાઉ જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ આજે વિવાદાસ્પદ નિવેદન આપતા હવે મામલો વધુ ગરમાયો છે. આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કથિત રીતે મહિલાઓ સાથે જુર્મ કરવામાં આવે છે. ફિલ્મમાં એક સીન એવો પણ છે જેમાં એક મહિલાના લિપસ્ટિક લગાવવાને લઈને મહિલાનો હાથ તો તેના પતિનું ધડ અલગ કરી દેવામાં આવે છે. જોકે આ એક તાલિબાની પ્રવૃતિ જ છે. ત્યારે આ ફિલ્મનો વિરોધ કરનાર પાર્ટીઓ શું આ તાલિબાની પ્રવૃત્તિને સમર્થન આપી રહી હોવાનો પણ સાવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.
માત્ર ત્રણ છોકરીઓની સ્ટોરી 32000ની નહીં- આવ્હાડ
ફિલ્મને લઈને આવ્હાડે વધુમાં કહ્યું હતું કે ફિલ્મ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. કેરળમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું છે પરિસ્થિતિ એનાથી ખૂબ જ અલગ છે. તેમણે જણાવ્યું હતું કે આ આખો મામલો માત્ર ત્રણ છોકરીઓનો છે, પરંતુ ફિલ્મમાં 32,000નો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે તે પોતાની બહેનોને નીચી ગણવાની વિચારસરણી ધરાવે છે. અમારી બહેનો મૂર્ખ છે અને તેમને કંઈ ખબર નથી એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં મહિલાઓને પુરૂષો કરતા ઉતરતી દર્શાવવામાં આવી હતી. આ છે કેરળના નામવાળી ફિલ્મની વાસ્તવિકતા. આ ફિલ્મ બનાવનારને ફાંસીની સજા જ થવી જોઈએ.
NCPના નેતાએ એવું પણ કહ્યું હતું કે આ ફિલ્મો હિંસા ફેલાવવા માટે જ બનાવવામાં આવી છે. જુઠ્ઠાણાના આધારે નફરત ફેલાવવાની અને તેના દ્વારા ચૂંટણી લડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળના સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ફિલ્મ બીજેપીના ફંડિંગથી બની છે. હવે બંગાળ પર પણ આવી જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેમાં રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.