તસવીરની આરપાર- ભાટી એન.
ભારત દેશમાં અનેક ધર્મનાં મંદિરો જોવા મળે છે, પણ તેનો પ્રભાવ અલગ અલગ હોય છે. મંદિરની બાંધણી અલગ અલગ હોય પણ આત્માનું કલ્યાણ કરનાર આપણા વારસાગત ધર્મને સાચવવા માટે સ્વામીઓ – મુનિઓ – સાધુ-સંતો આપણા વારસામાં મળેલી આપણી સંસ્કૃતિનું આચમન કરાવે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ દેવભૂમિ છે…! જેમાંથી ઘણાં રત્નો મળ્યાં છે. જેમાંના આ એક પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ ભાવનગર જિલ્લાના સોનગઢને પોતાની સાધનાભૂમિ બનાવી જેઓ નાનપણથી જ વૈરાગ્યપ્રેમી બૌદ્ધિક પ્રતિભાના સ્વામી તેમ જ બ્રહ્મચર્યના રંગે રંગાયેલા હતા, ફક્ત ૨૩ વર્ષની ભર જુવાન વયમાં તેઓએ ગૃહત્યાગ કરી દીક્ષાજીવન અંગીકૃત કરીને જ્ઞાન અને ચારિત્ર પાલનની તીક્ષ્ણતા વડે શ્ર્વેતામ્બર સ્થાનકવાસી જૈનોમાં આદર્શ સાધુ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરેલ. પૂજ્ય કાનજી સ્વામી ખૂબ જ પ્રતિભાશાળી હતા. ૬ ફૂટ જેવી ઊંચાઈ વિશાળ કપાળ હાથમાં લાકડી બહુમુખી પ્રતિભાશાળી આ મહામાનવ. ભાવનગર જિલ્લાનું સોનગઢ ગામ નયનરમ્ય લાગે છે…! નાની નાની સોસાયટીઓ, વ્યવસ્થિત રસ્તાઓ, ગામની વચ્ચે સફેદ રંગોથી શોભતા જૈનોના ભવ્યાતિભવ્ય અલૌકિક દેરાસરોની વિશાળ શૃંખલાનાં શિખરો નિહાળતા કલાનયન નઝારો નિહાળવા મળે છે.
સોનગઢમાં આવેલ દર્શનીય સ્થાન શ્રી સિમંધર સ્વામીનું દિગમ્બર જૈન મંદિર આ જૈન મંદિર અતિ પ્રાચીનતમ છે. વિ. સ. ૨૦૧૩માં શિખર બંધ આ જૈન મંદિર વિશાળ ૬૭ ફૂટની ઊંચાઈવાળું છે. આ જૈન મંદિરમાં મૂળ નાયક તરીકે જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રે વર્તમાન વિહરમાન દેવાધિદેવ ૧૦૦૮ શ્રી સીમંધર ભગવાનના સફેદ આરસના અતિ મનોહર વિતરણ ભાવવાહી જૈનબિંબ બિરાજમાન છે. તેમની આજુબાજુમાં શ્રી પદ્મપ્રભુ તથા શ્રી શાન્તિનાથ જિનેન્દ્રના ગુલાબી આરસના ભવ્ય જૈનબિંબ છે. તદુપરાંત શ્રી ચંદ્રપ્રભ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્ર્વનાથ, શ્રી મહાવીરસ્વામી વગેરે તીર્થંકરોનાં (પંચધાતુ)ના જૈનબિંબ છે. પાર્શ્ર્વનાથની એક પ્રતિમા સ્ફટિકમણીની છે. ઉપરની વેદીમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ આરસની ભવ્ય પ્રતિમા છે. દીવાલોમાં ઉત્કીર્ણ પૌરાણિક મહાપુરુષોના વિશિષ્ટ જીવન પ્રસંગોના અતિ મનોહર ચિત્રો જૈન મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
શ્રી મહાવીર કુંદકુંદ દિગંબર જૈન પરમાગમ મંદિર પ્રવર્તમાન તીર્થના નાયક શ્રી મહાવીર પ્રભુના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવના વર્ષમાં વિ. સ. ૨૦૩૦ ફાગણ સુદ ૧૩ના દિને અદ્વિતીય અતિ મનોરમ ભવ્ય મંદિરની પંચકલ્યાણકપુર: સર પ્રતિષ્ઠા થઈ હતી. ઉપરની વેદીમાં ૧૦૦૮ પરમ પૂજ્ય શ્રી મહાવીર ભગવાનના ગુલાબી આરસના વિશાળકાય પદ્માસનસ્થ વિતરાગ ભાવવાહી ભવ્ય જિનબિંબ બિરાજમાન છે. નીચે સમયસાર આદિ અધ્યાત્મપ્રાભૃત શાસ્ત્રના પ્રણેતા શ્રીમદ્ભગવત કુંદકુંદાચાર્ય – દેવ, ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ તથા મુનિરાજશ્રી પદ્મપ્રભમલધારીદેવના દિવ્ય તેમ જ વિશાળ ચિત્રપટ છે. પરગામ મંદિરની દીવાલોમાં શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ તેમ જ નિયમસાર – આ ચાર શાસ્ર (મૂળ ગાથા તથા ટીકા સહિત અને ‘અષ્ટપાહુડ’ શાસ્ત્ર) મૂળ ગાથાઓ મશીન વડે આરસના શ્ર્વેત શિલાચટ પર ઉત્કીર્ણ કરાવીને લગાવવામાં આવ્યા છે.
દરેક દ્વાર તથા બારી પર સંગેમરમરમાં ઉત્કીર્ણ પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેને પુરાણોમાંથી વીણેલા, કેટલાક તીર્થંકરના વૈરાગ્ય, દીક્ષા વગેરેના પુરુષાર્થ પ્રેરક ભવ્ય-દિવ્ય પ્રસંગોને તીર્થક્ષેત્રના અતિ મનોહર ચિત્રો દર્શકવૃદના હૃદય હરી લે છે…! મનોરમ ચિત્રો દ્વારા પરમાગમ મંદિરની શોભા ખૂબ ખીલી ઊઠી છે. આ પરમાગમ મંદિર ત્રણ રમણીય શિખરોથી સુશોભિત છે. મોટા શિખરની ઊંચાઈ ૮૦ ફૂટ છે. આ મંદિરની રચના ઘણી જ મનમોહક અજોડ છે. ભાવિક યાત્રાળુઓ ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ ખાસમખાસ નિહાળવા લાયક કલાત્મક વસ્તુ (ઙશયભય જ્ઞર અિિ)ં છે.