ઉત્સવ

વાઇલ્ડલાઇફ વીક – ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન ની સફરે, આવો ગુજરાતની શાન એવા સાવજને મળીએ

ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી

૧૯૫૨થી દર વર્ષે બીજી ઓક્ટોબરથી સતત એક અઠવાડિયા સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે, જેમાં વન્યજીવોના સંરક્ષણ તેમજ વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતા જંગલોના સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે ઉપરાંત જંગલોની જાળવણી માટે જાગૃતિ કેળવાય તેવા આશયથી વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે. વન્યજીવ સપ્તાહ અંતર્ગત ગુજરાતના વિવિધ જંગલો, સરોવર, અભયારણ્ય, જળાશયો, ઘાસિયા મેદાનો વગેરે વિશે જાણીશું અને સંવર્ધનનો હિસ્સો બનવા પ્રયત્ન કરીશું.

ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવી ને જતા વાદળો સાથે વાત કરવી, તરોતાજા જ ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી એથી રૂડું શું હોઈ શકે આ સમા માં? કાળા ડિબાંગ વાદળ જાણે ગિરનારની આંખનું કાજળ બન્યા હોય એવું કંઈક દીસે એવો કુદરતી માહોલ દરેક ઉંમરના વ્યક્તિને એક અલગ જ સૂકુનભર્યા સૌમ્ય માહોલમાં લઇ જાય છે. હાલમાં જ સમગ્ર દેશમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે જેમાં વન્યજીવો અને વન્યજીવનની જાળવણી માટેની જાગૃતિ દેશમાં ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેનો હિસ્સો આપણે સહુ કોઈએ બનવું જ જોઈએ અને આપણી કુદરતી સંપદાને જાળવવી જ જોઈએ. આપણે ખરેખર નસીબદાર છીએ કે હજારો કિમી લાંબો દરિયા કિનારો, વિવિધ પ્રકારના જંગલોથી સજજ એવાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો, ત્રણ જેટલી રામસર સાઈટ અને સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર સ્થળ જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશમાં જ નહિ પણ આખા એશિયાના ગૌરવ સમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ. અઠવાડિયામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તો એ પહેલા જ આપણે વનરાજને મળીએ અને એના ઘર વિશે જાણકારી મેળવીએ.

એક સમયે સમગ્ર એશિયામાં ગર્જના કરતા એશીયાઇ સિંહોની વસ્તી ધીરે ધીરે કરતા સમગ્ર વિશ્ર્વમાંથી ખતમ થઇ ગઈ અને છેલ્લે સાસણગીરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ રહી ગઈ. જે તે સમયે સરકાર અને નવાબના સંરક્ષણનાં પ્રયત્નો અને સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા માલધારીઓનાં કારણે અહીં સિંહની વસ્તી ફરી જંગલમાં ગર્જના કરતી થઇ અને છેક પાલીતાણા સુધી તો આ તરફ છેક ઉના સુધી આજે સિંહની ડણક સંભળાય છે. વિશાળ ગિરનાર પહાડને ઘેરીને આવેલું કુદરતનું અદ્ભુત જંગલ સાસણગીર ૧૪૧૨ ચોરસ કિમી વિસ્તારમાં અભયારણ્ય તરીકે અને ૧૧૫૩ ચોરસ કિમિ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત છે. અહીં આજે ૬૦૦ કરતા પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેક ન ચુકી શકાય. વિશ્ર્વભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ અહીં વનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન દેશનાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ જ ૧૫મી જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે બંધ હોય છે. ૧૬મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પાર્ક ખુલે છે અને અહીં સફારી કરીને પાર્કનો આનંદ લઇ શકાય છે.

ગીરનાં જંગલોમાં ફરવું એટલે કુદરતી સંપદાને નજીકથી નિહાળવી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે સૌપ્રથમ વન વિભાગ દ્વારા સંચાલિત વેબસાઈટ – https://girlion.gujarat.gov.in/ પરથી સફારીનું બુકીંગ થઇ શકે છે. એ કરાવ્યા બાદ સાઈટ પર જ રજિસ્ટર્ડ ડ્રાઈવર્સના નંબર્સ હોય છે જે મેળવીને જંગલનાં સફરે જઈ શકાય. વહેલી સવારે ૬ વાગ્યે, ત્યાર બાદ આઠ વાગે અને ત્યાર બાદ સાંજના સમયની સફારીના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે. ખરા અર્થમાં જંગલનો માહોલ માણવો હોય તો સવારે છ વાગ્યાની સફારીમાં મુલાકાત લેવી વધુ યોગ્ય છે. ગીરનાં જંગલમાં પ્રવેશતાં જ વિવિધ પક્ષીઓના કલરવ થી જ આપણું સ્વાગત કરીને એમની હાજરીનો પરિચય આપશે. અહીં આવીને આંખો અને કાન ખુલ્લા રાખવા એટલે ક્યાંક ઝાડની ઓથે સાવ ઝાડના થડને મળી આવતું ઘુવડ જોવા મળશે તો એવી જ રીતે કુદરતી માહોલમાં પોતાની જાતને ઢાળી દેતું વન દશરથિયું પણ જોવા મળશે. ક્યાંક વળી કોઈ ઊંચી ડાળના ટોચે સાપમાર ગરૂડ દેખા દેશે તો વળી આમતેમ ઉડાઉડ કરતા દૂધરાજ આંખોને અલગ જ આનંદ આપશે. વિવિધ જાતનાં પક્ષીઓને માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના પંથકમાં સાસણગીરથી સુંદર એક પણ જગ્યા નથી. થોડા આગળ વાંધો કે હિરણની કર્ણપ્રિય ધૂન સંભળાય અને એની આસપાસ વાંદરા કાન સરવા કરીને બેઠા હોય. હરણ એક સાથે ટોળાંમાં ચોતરફ નજર ફેરવીને એકદમ સચેત હોય એવા જોઈ શકાય. અહીં હરણ અને વાંદરાઓ એકમેક સાથે મળીને એકબીજાનું અસ્તિત્વ ન જોખમાય એ રીતે જીવતા હોય છે. હરણાંની ધ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો વાંદરાંઓની દ્રષ્ટિ ખૂબ જ સચોટ અને તીવ્ર હોય છે અને તેઓ છેક ઝાડની ટોચેથી દૂરથી આવતા ખતરાને પારખી શકે છે. વાંદરા જેવા દીપડા કે સિંહને જુએ કે એક અલગ જ પ્રકારના અલાર્મ કોલથી હરણાંઓને ચેતવણી આપે છે અને એ ચેતવણી સૂચક કોલથી હરણાંઓ સાવધ થઈ જાય છે અને બીજા હરણાંઓને પણ આવા જ કોલથી સચેત કરે છે. આ રીતે જ ક્યારેક વાંદરા જમીન પર બેધ્યાન થઈને ફરતા હોય અને હરણ સિંહ કે દીપડાને આવતો પારખી લે તો તે પણ ચેતવણી સૂચક કોલ આપીને વાંદરાંઓને સચેત કરે છે અને વાંદરાઓ સુરક્ષિત સ્થળે જતા રહે છે. કુદરતની રચના કેટલી અદ્ભુત છે કે નાનામાં નાનો જીવ એકબીજાને મદદ કરીને શાંતિપૂર્વક આનંદમય જીવન જીવવાનો પ્રયાસ કરે છે જેમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા સિવાયનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. જીવનનાં ખરા પાઠ કુદરત અને વન્યજીવો આ રીતે જ શીખવી જાય છે.

જંગલનાં દરેક ખૂણામાં જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ જ મહત્ત્વનો છે. જેમ જેમ જંગલમાં આગળ ધપીએ એમ કુદરતી માહોલને સીધો જ મનમાં ઉતરતો અનુભવી શકીએ. રસ્તામાં સાવ જ સાદું જીવન જીવતા માયાળુ લોકોનાં નેસડાં દેખાય, આ એ જ માલધારીઓ છે જેની અમાન્યા સાવજ અને સાવજની અમાન્યા તેઓ જાળવે છે અને એકબીજાના સહ અસ્તિત્વમાં કુદરતી જીવનશૈલીથી જીવન જીવે છે. સાવજની વસ્તી વધવામાં અને તેઓની સુરક્ષામાં આ માલધારી પ્રજાઓનો જ મુખ્ય ફાળો છે. તેઓંની ગાય, ભેંસ કે બકરી જ્યારે સાવજનો શિકાર બને તો ટેરો સાવજને ધુત્કારવાનાં બદલે શાંતિથી એનું ભોજન કરી લેવા દે એટલા દિલેર છે. નેસડાં આસપાસ સિંહ પણ જાણે પોતાની જાતને સુરક્ષિત મેહસૂસ કરતો હોય એમ આરામથી મહાલતો જોવા મળે છે. જરાક આગળ ધપીએ કે આખુંયે જંગલ જેના પર નભે છે એવો વિશાળ કમલેશ્વર ડેમ જોવા મળે. એક સમયે મગરમચ્છના અસ્તિત્વ સામે ખતરો હતો પણ વનવિભાગના પ્રયાસથી અહીં ક્રોકોડાઈલ બ્રીડીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું અને જોતજોતામાં હજારોની સંખ્યામાં મગર થઈ ગયા. આ જ ડેમમાં ઠેરઠેર મગરમચ્છ જોવા મળે છે વળી ક્યારેક અહીં દીપડો કે સિંહ પણ સરળતાથી જોઈ શકાય.

ગીરનો વૈભવ સદીઓ જૂનો છે અને ગુજરાતી લોકસાહિત્યમાં અલગ અલગ લોકબોલી, વિવિધ શૈલીથી કવિઓ- લેખકોની કલમે ખૂબ જ લખાયો છે અને સાવજને આપણી સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ તરીકે સમાવ્યો છે. ક્યાંકને ક્યાંક અહીંનું લોકજીવન અહીંના વન્યજીવો અને વન્યસૃષ્ટિ સાથે જોડાયેલું છે અને એટલે જ એશિયાઈ સિંહો આ વિસ્તારને પોતાનો બનાવીને મોજથી જીવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ હાવજની ડણકને સાહિત્યમાં ઉતારી છે તો ધ્રુવ ભટ્ટે અહીંનું જંગલ, લોકજીવન અને સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરી છે તો વળી કવિ દાદે અહીંના વગડાને સરળ રીતે સમજાવ્યો છે જાણે આપણે ગીરને નિહાળતા હોઈએ. ઝવેરચંદ મેઘાણીની ચારણક્ધયામાં નેસડામાં રહેતી ક્ધયાની બહાદુરી અને સાવજ પ્રત્યેનો એનો અભિગમ દર્શાવ્યો છે તો ધ્રુવ ભટ્ટ સાહેબની અકૂપારમાં એક સરસ મજાનું દૃશ્ય વર્ણવ્યું છે એવું મને આછું પાતળું યાદ છે. સાંસાઈ રામઝાનાને સંબોધીને કહે છે કે તારા બચોળીયાને મારે કાંઈ નથ કરવું મા અને ઝાંઝર ફેંકીને તેનું ધ્યાન ભટકાવે છે. જંગલનાં જનાવરોમાં નાનાં બચ્ચાઓનો ઉછેર કરવો સહુથી ચેલેંજિંગ હોય છે એવું કહો તો ચાલે.

જંગલમાં દરેક પ્રજાતિનાં કોઈને કોઈ દુશ્મન હોય છે પણ સિંહના આમ તો કોઈ જ દુશ્મન નથી હોતા એટલે જ એની જ પ્રજાતિથી એને ડર હોય છે. સિંહણને બચ્ચા જન્મે કે સહુથી પહેલો ખતરો નર સિંહથી જ હોય છે જે બીજા સિંહના બચ્ચાનો ખાત્મો બોલાવી દે છે જેથી પોતાનો જ વંશવેલો વિકસે અને પોતાનું વર્ચસ્વ કાયમ રહે, આ સિવાય બચ્ચાઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુઘી તેઓને શ્રેષ્ઠ શિકારી બનાવવા, શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવવું અને છેલ્લે બચ્ચાઓ મોટા થાય એટલે પોતાના વિસ્તારમાંથી કાઢી મૂકવા જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે. અહીં આવીને સિંહના નાના બચ્ચાંઓને સિંહણ સાથે વિહરતાં જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય. જંગલમાં કેટલીક વિરલ ઘટનાઓ ઘટતી હોય છે અને નસીબથી ક્યારેક આપણે એવી ઘટનાઓનાં ક્ષણ ભર માટે સાક્ષી બની જતા હોઈએ છીએ. અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચઢતાં મા સાથે વ્હાલ કરતા કરતા મારા કેમેરામાં ઝડપાઇ ગયું હતું. કુદરત જાણે અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતુ જ હોય છે, આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો. ગ્યરનો રાજા સઘળી તાકાત ધરાવતો હોવા છતાં સૌમ્ય જ જોવા મળે છે. એની શાલીનતા જ એનો ખરો પરિચય છે. પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનાં રાજા સિંહમાં એવું જોવા નથી મળતું અને એટલે જ એ રાજા છે. સાસણગીર બંધ થયું એ પહેલા જંગલની ઊડતી મુલાકાત વેળાએ આ સૌમ્ય સિંહને હું મળ્યો અને એવો અનુભવ થયો જાણે એ મને એના જંગલમાં આવકાર આપતો હોય. આ સિંહનાં શાલીન સ્વભાવને જોઈને એક વસ્તુ દૃઢપણે સમજાઈ ગઈ, જીવનમાં ગમે તેટલું હાસિલ કરી લો પણ સ્વભાવમાં શાલીનતા વિના સઘળું નિરર્થક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey