સરદાર પટેલ ને એકવીસમી સદીનું ભારત… કેવો હોત એમનો પ્રતિભાવ?

કેનવાસ – અભિમન્યુ મોદી
ગુજરાતના ખેડા જિલ્લામાં આમ તો દર વર્ષે 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસતો હતો, પરંતુ 1917માં લીલો દુકાળ પડ્યો. સમગ્ર જિલ્લાના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. બચેલા પાકનું ઉંદરો અને કીટકો ભક્ષણ કરી ગયા. એમાંય અંગ્રેજ સરકારે ખેડૂતો પાસેથી જમીનનો કરવેરો ઉઘરાવવા માટે દબાણ કર્યું અને શરૂ થયું ગુજરાતનું પહેલું પાટીદાર આંદોલન, જેને આજે વિશ્વ ‘ખેડા સત્યાગ્રહ’ તરીકે ઓળખે છે.
ખેડાના પાટીદારોએ બ્રિટિશરોને કરવેરો મુલતવી રાખવા રજૂઆત કરી, પણ અંગ્રેજો માન્યા નહિ. ખેડૂતોએ ગાંધીજીનો સંપર્ક કર્યો અને ખેડાને મળ્યા બે પાટીદાર બંધુઓ વિઠ્ઠલભાઈ તથા વલ્લભભાઈ પટેલ. બન્નેએ પાટીદારોમાં રહેલી સુષુપ્ત શક્તિ અને ચેતનાને જાગૃત કરી. ધરતીપુત્રોને પોતાના હક અને અધિકારોથી વાકેફ કરાવ્યા ત્યારે ભારતને ખબર પડી કે પાટીદારો ગુજરાતના અર્થતંત્રનું ચાલક બળ છે.
જો પાટીદારો વિફર્યા તો અંગ્રેજોના વંશવેલા વિખાય જશે. ગાંધીજી સત્યાગ્રહનો ચહેરો હતા તો પટેલ બંધુઓ સત્યાગ્રહની શક્તિ. ગાંધીજીને એ વાતનો સંતોષ હતો કે પાટીદારો સત્તા માટે નહિં પણ સમગ્ર ભારતમાં ચાલી રહેલી અંગ્રેજોની દમનકારી નીતિને ડામવા અને લોકોમાં સત્યાગ્રહની સમજ કેળવી ધરતીપુત્રોની સેવા કરવા માટે લડી રહ્યા છે.
આ અંતિમ ઘટના હતી, જ્યારે ગાંધીજીએ પાઘડી પહેરી હોય, પણ એમની સાથે રહેલા પટેલ બંધુઓ તો ઉઘાડા માથે ફરતા હતા. તેમાંય વલ્લભભાઈના વક્તવ્ય અને વ્યક્તિત્વમાં ગબજની શક્તિ હતી. ત્રણ મહિનાની લડતમાં જેટલી વાર સભા સંબોધવામાં આવે ત્યારે પાટીદારોમાં વલ્લભભાઈના શબ્દોથી નવચેતનાનો સંચાર થતો.
અંતે બ્રિટિશરોએ નમતું જોખવું પડ્યું. ખેડા સત્યાગ્રહ સફળ થયો. બ્રિટીશરો મોંમાં આંગળા નાખી ગયા.
પાટીદારોનો સંગ્રામ આઝાદીની ચળવળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. ગુજરાતમાં નાત-જાતના ભેદ નાબૂદ થયા. વલ્લભભાઈના મનમાં અખંડ ભારતના બીજ રોપાયા અને આઝાદી બાદ રજવાડાઓ રાષ્ટ્રમાં જોડાયા. દર વર્ષે સરદાર પટેલ જયંતિ પર બધા સરદારને યાદ કરે પણ ખરેખર કોઈ સરદારના શ્રમનું અનુસરણ કે અનુકરણ કરે છે ખરું?
‘સરદાર’નું બિરુદ મળ્યું એ પહેલાં પણ વલ્લભભાઈ સમાજને એક તાંતણે બાંધવા મથતા હતા અને આઝાદી બાદ શરીરના ગંભીર રોગની પરવા કર્યા વગર દેશમાં એકસૂત્રતાનું ગઠન કરવા વિલીનીકરણનું અભિયાન ચલાવવા નીકળી પડ્યા હતા. જેમના લોહીના ટીપે ટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલું હતું એવા મહાન સરદાર પટેલ કેમ આજે રાજકારણનું અભિન્ન અંગ બની ગયા?
સરદાર જેવા વૈરાગી નેતા ભારતમાં છે ખરા? છે તો કેમ હજુ સુધી કોમી તોફાનો થયા કરે છે! વોટબેંક જ્ઞાતિઓમાં વિભાજીત થઈ ગઈ છે? ભારત એક છે તો હિન્દી કે બીજી કોઈ ભાષા અંગે વિવાદ કેમ થાય છે? શું આ સરદાર પટેલના સ્વપ્નનું ભારત છે? સરદાર ભારતને અસરદાર બનાવવા માગતા હતા. તેમના વિચારો તો સમય ગંગાના પ્રવાહમાં વહી ગયા, પરંતુ ચૂંટણી આવે એટલે એમના નામે રાજકરણ શરૂ થઈ જતું આપણે જોયું છે.
સરદારે ક્યારેય પ્રસિદ્ધિ પામવાની ખેવના નથી કરી પણ એમના નામને પ્રસિદ્ધ કરવાના પ્રયત્નો વર્ષોથી થતા આવ્યા છે. આજીવન સરદાર પટેલ જેનો સખત વિરોધ કરતા રહ્યા એ બધું જ આજે એમના નામ સાથે થાય છે. સરદાર કોઈ પક્ષની અંગત અસ્કયામત નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વના લોકનેતા છે. આ મહાન પુરુષના વિચારોએ સમસ્ત જગતને સાચી રાજકીય દિશા, લોકાભિમુખ ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.
દર વર્ષે સરદાર પટેલની જન્મજયંતી આવે ત્યારે અખબાર, ટીવી ચેનલ અને સોશ્યલ મીડિયામાં ફરી એ જ મુદ્દો ઉછળે કે નહેરુની જગ્યાએ સરદાર પટેલ દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનું બાળમરણ થઈ ગયું હોત, પણ આ સવાલ આઝાદી વખતે જેટલો નહોતો ચગ્યો એટલો આજે લોકમુખે ચર્ચાય છે. આઝાદીના અમૃતકાળમાં પણ દેશના બુદ્ધિજીવીઓ એ સાબિત કરવા મથે છે કે, સરદારનું નેતૃત્વ સબળ હતું, પણ કોઈ સરદારના વિચારોને અનુસરતું નથી. દુનિયા સરદારને સંત તરીકે પૂજે છે, પણ સરદારનું સ્વપ્ન તો સંતાપ અનુભવે છે.
દેશમાં આજે પણ સરહદી વિવાદ યથાવત છે, કોમી તોફાનોમાં યુવાધનનું રક્ત વહી રહ્યું છે. ભારતની બૌદ્ધિક સંપદા કેનેડા અમેરિકા અને બ્રિટન જતી રહે છે. બાબુશાહી બેલગામ બની છે. ભ્રષ્ટાચાર અને પક્ષપાતથી શિથિલ બનેલા અમલદારો લોકશાહીને પીંખી રહ્યા છે ત્યારે સરદાર યાદ આવે છે. ભાવનગરમાં કોમી તોફાનો સર્જાયા ત્યારે સરદાર વચ્ચે પડી ગયા. બન્ને પક્ષની તલવાર પોતાના શરીર પર ખમી લીધી અને નિર્દોષ વ્યક્તિનું રક્ત વહેતું અટકાવી દીધું.
તનાવ પૂર્ણ વાતાવરણમાં તંગદિલી ન સર્જાય એટલે પોતે ચોકી પહેરો કર્યો. સૌરાષ્ટ્રના અભિમાની રજવાડાંઓને સરહદના સીમાડા તોડવાની સમજ આપવી એટલે સિંહના ગળામાં ઘંટી બાંધવા સમાન હતું, છતાં સરદારે નીડર બનીને રાજાને તેની રૈયતના રુદન અને રકાસથી અવગત કરાવ્યા, રજવાડાને રાષ્ટ્રમાં જોડાવવા સમજાવ્યા, રાજપાટનો આરામ છોડી શ્રમ કરવા અગ્રેસર કર્યા તથા પ્રજાને એ વાતની ખાતરી આપી કે આ દેશ પર લોકોનું રાજ છે. નેતાઓ તેના સેવક છે એટલે જ ભારતમાં લોકશાહીનો ઉદ્ભવ થયો.
સરદાર પટેલ ફક્ત ઈતિહાસમાં નથી રહેતા પરંતુ એ તમામ ભારતીયોના હૃદયમાં રહે છે. સરદાર પટેલ હંમેશાં ઈચ્છતા હતા કે, ભારત સશક્ત, સમાવેશી, સંવેદનશીલ, સતર્ક, વિનમ્ર અને વિકસિત બને. એમણે દેશહિતને હંમેશાં સર્વોપરી રાખ્યું. આઝાદ ભારતના નિર્માણમાં સૌનો પ્રયત્ન જેટલો પ્રાસંગિક હતો, તેના કરતાં ઘણો વધારે પ્રયત્ન સરદારનો હતો, પણ સરદારને યાદ કરીને મનોહર કલ્પના કરનારા આ દેશમાં સરદાર જેવો બીજો એક સપુત જોવા મળતો નથી તેનો અફસોસ રહેશે.
સરદાર આજના ભારતમાં એક લટાર મારે તો પણ એમને કેટલો અફસોસ થયો હોત!? એની કલ્પના આજે કોઈને પણ ધ્રુજાવી જાય એવી છે!
આ પણ વાંચો…એકતા દિવસ 2025ઃ વડા પ્રધાને સરદાર પટેલને આપી પુષ્પાંજલિ



