આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?

ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, લોકશાહીના આ મહાપર્વ માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓએ કમરકસી લીધી છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તારૂઢ ભાજપે તમામ સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ હવે કેટલીક સીટો પણ આંતરિક કલક સામે આવી રહ્યો છે. જેમ કે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચતા ભાજપે નવા ઉમેદવાર શોભના બારૈયાનું નામ જાહેર કર્યું હતું. શોભના બારૈયાનું નામ જાહેર થતા જ ભીખાજીના સમર્થકો મેદાને આવી ગયા અને 2000 જેટલા સમર્થકોએ તો રાજીનામાં પણ આપી દીધા છે, હવે આ પરિસ્થિતીમાં સાબરકાંઠામાં ભાજપની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો: અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને

ભાજપના ઉમેદવાર શોભના બારૈયા સામે કોંગ્રેસે ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારી એક તરફી જંગને વત્તા ઓછા અંશે રસપ્રદ બનાવી દીધો છે. તુષાર ચૌધરી પાસે સાબરકાંઠા જિલ્લામાં તેમના સ્વર્ગીય પિતાનો રાજકીય વારસો છે પરંતુ અરવલ્લી જિલ્લામાં નવેસરથી મેદાન તૈયાર કરવું પડશે તે નક્કી છે. કોંગ્રેસે તુષાર ચૌધરીના વિધાનસભા અને લોકસભા ચૂંટણી લડવાનો અનુભવને કેન્દ્રમાં રાખી પસંદગી કરી છે.

સાબરકાંઠા બેઠકથી ભાજપનાં ઉમેદવાર શોભનાબહેન બારૈયા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનાં પત્ની છે. મહેન્દ્રસિંહ કૉંગ્રેસમાં હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા. શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. તેઓ પ્રાંતિજના બાલિસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતા. 30 વર્ષ શિક્ષક તરીકે કામ કર્યાં બાદ ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે. જો કે શોભનાબહેન બારૈયા કૉંગ્રેસનાં આયાતી ઉમેદવાર છે, તેમને ટિકિટ આપવાથી પક્ષના પાયાના કાર્યકર્તાઓ કાર્યકર્તાઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો: મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ‘વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડીશ’

સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ બેઠકનો સમાવેશ થાય છે. સાતમાંથી ઈડર એસસી જ્યારે ખેડબ્રહ્મા અને ભીલોડા એસટી માટે અનામત બેઠક છે. વિધાનસભાની ચૂંટણી 2022માં હિંમતનગર, ઈડર, ભીલોડા, મોડાસા અને પ્રાંતિજ એમ પાંચ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ખેડબ્રહ્માથી કૉંગ્રેસ નેતા તુષાર ચૌધરી જીત્યા હતા. જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટાયા હતા, જેઓ હાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

સાબરકાંઠા બેઠક આમ તો કૉંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાય છે. અહીં 17 વાર યોજાયેલી લોકસભાની ચૂંટણીમાંથી માત્ર ચાર વાર ભાજપનો વિજય થયો છે. જ્યારે સાત વખત કૉંગ્રેસનો વિજય થયો છે. લોકસભાની ચૂંટણી 2019માં યોજાયેલી સાબરકાંઠા બેઠક ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ 701984 મત મેળવીને વિજયી થયા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 432997 મત મળ્યા હતા.

આ પણ વાંચો
: ધોરાજી-ઉપલેટામા મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, લલિત વસોયાએ ભાજપને આપ્યો આ જવાબ

ઉલ્લેખનિય છે કે વર્ષ 2009, 2014 અને 2019 એમ સતત ત્રણ ટર્મ જીતીને ભાજપે અહીંથી જીતની હેટ્રિક મારી છે. કૉંગ્રેસના મોટા ગજાના નેતાઓ અહીંથી ચૂંટાયા છે. નિશા અમરસિંહ ચૌધરી અહીંથી 1996, 1998 અને 1999 એમ ત્રણ વાર ચૂંટાયાં. 2004માં કૉંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી જીત્યા. પણ 2009માં તેઓ હારી ગયા. 2014માં અહીંથી કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા મેદાને ઊતર્યા હતા. પણ મોદી લહેર સામે તેઓ પણ ટકી શક્યા નહીં.

ભાજપમાં અસંતુષ્ટોના આંતરિક વિખવાદને શિર્ષસ્થ નેતૃત્વ નિયંત્રણમાં લઈ શક્યુ નથી. બીજી બાજુ કોંગ્રેસમાં તુષાર ચૌધરી સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી સંગઠનમાં સર્વસ્વીકૃત બની રહ્યા છે. કોંગ્રેસે આદિવાસી નેતાની પસંદગી કરી છે તેની પાછળ જાતિગત સમીકરણ હોવાની કોઈ સંભાવના નથી. જિલ્લામાં 19.70 લાખ મતદારો પૈકી ઠાકોર ક્ષત્રિય મતદારોની સંખ્યા 6.40 લાખ જેટલી છે. આદિવાસી મતદારો 3.40 લાખ જેટલા છે જ્યારે પટેલ મતદારોની સંખ્યા 3.25 લાખ જેટલી થવા જાય છે. જો કે ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખ્ખાઓ શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે તે તો આગામી 4 જૂને જાહેર થનારા પરિણામ બાદ જ જાણી શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral