આપણું ગુજરાત

‘પેસેન્જર પાસે માન્ય વિઝા છે કે નહીં એ તપાસવાની જવાબદારી એરલાઈનની છે’, નવસારી CDRC

નવસારી: નવસારીના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (CDRC) એ એક કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે પેસેન્જર પાસે માન્ય વિઝા છે કે નહીં તે તપાસવું એ એરલાઇન્સની જવાબદારી છે. CDRCએ બ્રિટિશ એરવેઝને 74 વર્ષીય હસમુખ મેહતાને રૂ. 2.93 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, ડિસેમ્બર 2021 માં અરજદાર હસમુખ મેહતાના યુએસ વિઝા રદ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમને પત્ની સાથે લંડનથી પાછા મોકલવામાં આવ્યા હતા.

કેસની વિગતો મુજબ, હસમુખ મહેતા અને તેમની પત્ની પાસે 27 ડિસેમ્બર, 2012થી 25 ડિસેમ્બર, 2022 સુધીના 10 વર્ષના સમયગાળા માટે માન્ય યુએસ વિઝિટર વિઝા હતા. 2012 અને 2018 ની વચ્ચે, દંપતી ત્રણ વખત યુએસ ગયા હતા. ડિસેમ્બર 2021 માં, તેમના પુત્ર સાહિલ મહેતાએ બ્રિટિશ એરવેઝમાં તેમની યુએસની ટિકિટ બુક કરાવી હતી. તેઓ 15 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈથી લંડન થઈને એટલાન્ટા જવાના હતા.


દંપતીને 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈ-લંડન ફ્લાઈટ માટે લંડન જવાનો બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. જ્યારે હસમુખ મહેતાએ લંડનથી એટલાન્ટાની કનેક્ટિંગ ફ્લાઈટ માટે બોર્ડિંગ પાસ માંગ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને લંડન એરપોર્ટ પરથી મળી જશે, કેમ કે સિસ્ટમમાં કંઇક એરર આવી રહી છે.


મુંબઈથી 10 કલાકની ફ્લાઇટ પછી દંપતી લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં હસમુખ મહેતાને કહેવામાં આવ્યું કે તેમના યુએસ વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને ભારત પાછા જવું પડશે. તેઓ લંડનથી એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટમાં દિલ્હીમાં પરત ફર્યા હતા, ત્યારે કોવિડ-સંબંધિત ઔપચારિકતાઓને કારણે, તેઓ મુંબઈની તેમની ફ્લાઇટ ચૂકી ગયા. અંતે તેમણે દિલ્હી-સુરત ફ્લાઇટ લીધી. વૃદ્ધ દંપતી લંડનથી 58 કલાક બાદ નવસારી તેમના ઘરે પહોંચ્યું હતું.


ત્યાર બાદ હસમુખ મેહતાએ નવસારી CDRCનો સંપર્ક કર્યો અને બ્રિટિશ એરવેઝ પાસેથી મુંબઈથી એટલાન્ટા સુધીનું રૂ. 1.3 લાખ ટિકિટ ભાડું, રૂ. 25,000 દિલ્હી-સુરત ટિકિટ અને રૂ. 13,500 સામાનની ફી પરત માગી. હસમુખ મહેતાએ માનસિક અને શારીરિક સતામણી માટે 50 લાખ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતું.


સુનાવણી દરમિયાન, બ્રિટિશ એરવેઝના એડવોકેટે દલીલ કરી હતી કે મહેતાના વિઝા યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા રદ કરવામાં આવ્યા હતા કારણ કે દંપતીએ ભૂતકાળમાં વધારે સમય રોકાણ કર્યું હતું. 15 ડિસેમ્બર, 2021 ના રોજ સવારે 9.28 વાગ્યે એરલાઇનને તેની મુંબઈ લંડન ફ્લાઇટ ઉપડ્યા પછી જાણ કરવામાં આવી હતી. ફરિયાદી જાણતા હતા કે તેમના વિઝા માન્ય નથી. ફરિયાદીએ વળતર માટે એરલાઇનને નહીં પણ યુએસએ ઓથોરિટીને પૂછવું જોઈએ.


મહેતા વતી તેમના વકીલે દલીલ કરી હતી કે જ્યારે દંપતીએ ટિકિટ માટે અરજી કરી ત્યારે તેમની પાસે માન્ય વિઝા હતા. અમેરિકન સરકાર તરફથી તેમના વિઝા રદ કરવા અંગે કોઈ ઈમેલ કે મેસેજ મળ્યો ન હતો. તેમણે રજૂઆત કરી હતી કે બ્રિટિશ એરવેઝે લંડનનો બોર્ડિંગ પાસ આપતા પહેલા પેસેન્જરો પાસે માન્ય વિઝા છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ.


બંને પક્ષકારોને સાંભળ્યા પછી, કમિશને અવલોકન કર્યું, “એરલાઇનને લંડન માટે ફ્લાઇટ રવાના થયા પછી 15 ડિસેમ્બર, 2021 ના રોજ સવારે 9.28 વાગ્યે વિઝા રદ થયાની જાણ થઇ હતી, તે સ્પષ્ટ છે કે એરલાઇન્સે પેસેન્જરો પાસે માન્ય વિઝા છે કે નહીં તેની તપાસ કરી નથી. “


કોર્ટે ઉમેર્યું હતું કે એરલાઈન્સ દ્વારા એવો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો ન હતો કે મહેતા તેમના અથવા તેમની પત્નીના વિઝા રદ કરવા વિશે જાણતા હતા.


“વિઝાની માન્યતા તપાસવાની અને દંપતીને આગળ મુસાફરી કરવાની મંજૂરી આપવાની એરલાઇનની જવાબદારી હતી. જોકે, એરલાઈને લંડન સુધીનો બોર્ડિંગ પાસ આપ્યો હતો અને પેસેન્જરને ત્યાંથી આગળનો પાસ લેવા જણાવ્યું હતું. અને લંડનથી તેમને 58 કલાકની હેરાનગતિ બાદ પરત મોકલવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે એરલાઈને યોગ્ય ચકાસણી વિના તેમને લંડન સુધીની મંજૂરી આપી હતી જે તેમની સંપૂર્ણ બેદરકારી સાબિત કરે છે અને તેમને વળતર ચૂકવવા માટે જવાબદાર બનાવે છે.”


નવસારી સીડીઆરસીએ ટિકિટ માટે રૂ. 1.68 લાખ, દંપતીને માનસિક અને શારીરિક સતામણી માટે રૂ. 1 લાખ અને કાનૂની ખર્ચ માટે રૂ. 25,000 સહિત કુલ રૂ. 2.93 લાખના વળતરનો આદેશ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral