મોટરમેનની સતર્કતાને કારણે ૨૦ વર્ષની યુવતીનો જીવ બચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં ૨૦ વર્ષીય યુવતીના કથિત આત્મહત્યાના પ્રયાસને લોકલ ટ્રેનના મોટરમેને નિષ્ફળ બનાવીને જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સમયસર મોટરમેને જો લોકલ ટ્રેનને બ્રેક મારી ન હોત તો યુવતીએ જીવ ગુમાવવાની નોબત આવી હોત, એમ અધિકારીએ જણાવ્યું હતું. મંગળવારના બપોરના ૨.૦૭ વાગ્યાના સુમારે વાશી સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો. વાશી રેલવે સ્ટેશનથી પનવેલ-સીએસએમટી (પીએલ-૯૦ ઈએમયુ) લોકલ ટ્રેનના મોટરમેન (પ્રશાંત કોન્નુર)એ મુંબઈ સીએસએમટી તરફ લઈ રહ્યો હતો ત્યારે રેલવે ટ્રેકની વચ્ચે એક યુવતીને જોવા મળી હતી. રેલવે ટ્રેકની વચ્ચોવચ એક યુવતી (અંદાજે વીસ વર્ષ)ને જોતા મોટરમેને ટ્રેનને ઈમર્જન્સી બ્રેક મારીને રોકી લેવામાં આવી હતી. લોકલ ટ્રેનની સ્પીડ અંદાજે કલાકના પચાક કિલોમીટરની ઝડપની હતી, પરંતુ ગણતરીની સેક્ધડમાં ટ્રેનને રોકી લીધી હતી, ત્યાર બાદ મોટરમેન અને ગાર્ડની મદદથી યુવતીને ટ્રેનમાં બેસાડવામાં આવી હતી. કદાચ પરિવાર સાથે અણબનાવને લઈને અંતિમ પગલું ભરવાનું વિચાર્યું હોવું જોઈએ, પરંતુ એ ક્ષણે તેને સમજાવીને ટ્રેનમાં બેસાડીને અન્ય પ્રવાસીને તેનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. અલબત્ત, મોટરમેને યુવતીને ટ્રેનમાં મહિલાઓની મદદથી મહિલા કોચમાં બેસાડવામાં આવી હતી, ત્યાર બાદ માનખુર્દમાં ફરી એક વખત એ યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી અને યુવતી માનસિક રીતે સ્વસ્થ હોવાનું જણાવ્યા પછી ઘરે જવા માટે તૈયાર થઈ હતી. જોકે, મોટરમેનની સતર્કતાને કારણે યુવતીનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીની સંખ્યામાં વધારાની સાથે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ રેલવેની હદમાં અકસ્માતોને સાથે આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે, જે ચિંતાની બાબત છે. રેલવે પોલીસની સાથે રેલવેના કર્મચારીઓની સતર્કતાને કારણે જીવ બચાવી લેવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓએ વધુ સતર્ક રહેવાનું જરૂરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.