- 561 ઘરમાં તિરાડ પડવાથી પ્રશાસન હરકતમાં
- ઘટના પર PMOની ચાંપતી નજર
દેવભૂમિ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના વધતા બનાવોને કારણે જિલ્લા પ્રશાસન હરકતમાં આવી ગયું છે, જ્યારે આ પ્રકારના બનાવથી વડા પ્રધાન ઓફિસ (PMO) તરફથી તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું.
આ પ્રકારની પરિસ્થિતિને કારણે અમુક પરિવારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રકારના બનાવથી જિલ્લા પ્રશાસન નહીં, પરંતુ સમગ્ર રાજ્ય પ્રશાસનનો જીવ અદ્ધર થઈ ગયો છે. એકાએક જમીન ધસી પડવાના બનાવને કારણે અત્યાર સુધીમાં કુલ 66 જેટલા પરિવાર જોશીમઠથી પલાયન કરી ચૂક્યા છે. જમીન ધસી પડવાને કારણે લગભગ 576 ઘરના 3,000થી વધુ લોકો પર અસર પડી છે, જ્યારે નગરપાલિકા દ્વારા પણ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોશીમઠમાં ખાસ કરીને સિંહધાર અને મારવાડી વિસ્તારમાં જમીન ધસી પડવાને કારણે લોકોના ઘરોમાં પણ તિરાડો પડવાનો સિલસિલો ચાલુ છે. સિંહઘર જૈન વિસ્તારની નજીક બદ્રીનાથ એનએચ અને મારવાડીમાં વન વિભાગની ચેક પોસ્ટની નજીક જેપી કંપની ગેટમાં નિરંતર તિરાડ પડી રહી છે અને આ તિરાડ પણ દર કલાકે વધી રહી છે, જે ચિંતાજનક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોશીમઠના મારવાડી વોર્ડની જેપી કોલોનીમાં જમીનમાંથી પાણીના લીકેજ થવાનો કિસ્સાનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત, અહીંના વોર્ડના રસ્તા પર તિરાડો પડવાથી લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. નિરંતર જમીન ધસી પડવાના બનાવને કારણે પ્રશાસને સતર્કતાના પગલાં ભર્યાં છે, જ્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જોશીમઠમાં જમીન ધસી પડવા અને અનેક વિસ્તારોમાં ઘરોમાં તિરાડ પડવાને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જરુરી મદદ કરવાની ખાતરી આપી છે.