સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
શહેરોમાં વસતિ વધતી જાય છે. આમ તો આ વસતિ વધારાને સમાવવા શહેરનું ક્ષેત્રફળ ઈચ્છનીય રીતે વધારી શકાય, પણ તેમાં શહેરની અન્ય સવલતોનો વિસ્તાર પણ વધે અને તેની માટે મોટું રોકાણ કરવું પડે. વળી વ્યક્તિ શહેરના “અગત્યના કેન્દ્રોથી દૂર ને દૂર થતો જાય, જે ક્યાંક લોકોને અલગાવનો ભાવ લાવે. આમ પણ લોકોને શહેરના કેન્દ્ર સાથે વધુ ધનિષ્ટતાથી સંકળાયેલા રહેવાની ઈચ્છા હોય – શહેરના અમુક વિસ્તારનું આકર્ષણ અને મહત્ત્વ પણ હોય. વધુને વધુ લોકો આવા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે અને બહુમાળીય આવાસ રચના પ્રચલિત બને.
અમુક પ્રકારના પ્રશ્ર્નો માટે બહુમાળીય આવાસ રચના એ સારો ઉકેલ છે. તેનાથી શહેરના વિસ્તાર પર નિયંત્રણ આવી શકે અને ખેતી યોગ્ય જમીન મુક્ત રહી શકે. શહેરની પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, માર્ગ તથા વાહન વ્યવહારનો વિસ્તાર પણ નિયંત્રિત રહે. આવનજાવનની માત્રા પણ ઘટતી જાય. શહેરના વિસ્તારો એકબીજાથી નજીક રહે અને સામાજિક ઐક્ય પણ અસરકારક બને. શહેરની અગત્યની ઘટના તથા તે માટેના આયોજનમાં વધુ લોકો સરળતાથી સામેલ થઈ શકે. શહેરની ગીચતા પણ વધે જેનાથી પરસ્પરનો સહકાર અને અવલંબન વધુ ખીલી ઊઠે.
ઉપરના માળે માણી શકાય એવું દૃશ્ય જોવા મળે. ક્યાંક એમ પણ જણાય કે બહુમાળી મકાનોમાં રહેનાર વ્યક્તિ ઘોંઘાટ તથા હવાના પ્રદૂષણથી મુક્ત રહી શકે. અહીં, તેથી જ શાંતિ પણ અનુભવાય. શહેરની જીવનશૈલીમાં જેને લોકો ઈચ્છનીય માને છે તેવી અંગતતાની માત્રાની સંભાવના અહીં વધુ હોય. બહુમાળી મકાનોની કિંમત તેનાં સ્થાન અને બાંધકામની તકનિકને કારણે આમ પણ સામાન્ય બાંધકામ કરતાં વધુ રહેવાની, આવાં મકાનો સામાન્યરીતે સુખસાહ્યબીનાં પ્રતીક પણ બની રહે. અહીં કુદરતી પ્રકાશ અને હવાં તો વધુ મળે, સાથે સાથે ઉપરના માળે જીવજંતુ આવવાની સંભાવના પણ ઘટતી રહે. ધૂળ અને રજકણનો પ્રશ્ર્નો પણ અહીં ન હોય અને જમીનમાંથી પ્રસરતો ભેજ ઉપરના માળે ન પહોંચી શકે.
ફાયદા છે તો સાથે પ્રશ્ર્નો પણ છે. અહીં સામાન્ય સવલતોની અસંતુલિત વહેંચણીની સંભાવના વધી જાય છે. આવા મકાનોની માવજત તથા રાખરખાવ માટે વિશેષ આયોજન જરૂરી બની જાય. મકાનની બહારથી જરૂરી સફાઈ માટે પણ વ્યવસાયિકોની જરૂર પડે. પવનની માત્રા પણ વધુ હોવાથી કદાચ બારીઓ બંધ જ રાખવી પડે અને મજબૂત પણ બનાવવી પડે. આવાં મકાનના બહારના ભાગે આવતાં કાચ માટે ખાસ ધારાધોરણ જાળવવા પડે. નહિતર અકસ્માતે મોટું નુકસાન થઈ શકે. આગના સમયના પ્રશ્ર્નો તો સૌથી વિકટ ગણી શકાય.
બહુમાળી મકાનોથી માર્ગ-વ્યવહાર અને પાર્કિંગની જરૂરિયાતના પ્રશ્ર્નો ઘણાં જટિલ બની રહે છે. એ માટેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આવાં બાંધકામ માટે જમીન નક્કી કરવામાં આવે ત્યારે તેનો વિકાસ વધારાના ભારણ લેવા સક્ષમ હોય તેવું નથી હોતું. વિકાસના સામાન્ય નિયમોને આધારિત થયેલા વિકાસ પર રાતોરાત બહુમાળી મકાનનું ભારણ આવી જાય તો પ્રશ્ર્નો તો થવાનાં જ.
અમુક વિશ્ર્વવિદ્યાલયો દ્વારા સંશોધનોમાં એમ જાણવા મળ્યું છે કે આવાં મકાનમાં રહેનાર વ્યક્તિને ઊંચા લોહીના દબાણના પ્રશ્ર્નો વધુ રહે છે. વળી આ લોકોમાં મોટી ઉંમરે સાંધાના દુ:ખાવાનો પ્રશ્ર્ન વધુ તકલીફજનક રહે છે. અહિ ઉપરના માળે રહેનાર વ્યક્તિને શિરદર્દની સમસ્યા પણ વધુ જોવા મળે છે. આ સ્તરે પવનની વધુ માત્રાથી બારીઓ મુખ્યત્વે બંધ જ રાખવી પડતી હોવાથી આવાસના અંદરના ભાગમાં પ્રાણવાયુની માત્રા પણ ઓછી હોવાની સંભાવના રહે છે. બારી ખુલ્લી રાખી શકાતી હોય તો પણ અમુક ઊંચાઈ પણ પ્રાણવાયુની માત્રા તો ઓછી જ રહે.
બહુમાળી મકાનમાં રહેતાં માનવી જાણે સમાજથી અળગા થતાં જાય છે – જાણે પોતાની મર્યાદિત, આગવી તતા અલગ થયેલ દુનિયામાં જ જીવે છે. તેમનું જીવન મર્યાદિત વિસ્તારમાં મર્યાદિત માનસિકતામાં વિકસે છે. અહીં ગીચતા પણ વધુ હોવાથી વ્યક્તિની અંગતતા જોખમાતી રહે તેથી સતત પ્રતીતિ થાય છે અને વ્યક્તિ મોટાભાગે ઘરમાં પુરાઈ રહેવાની ઈચ્છા રાખે છે. – અલગાવતા વધુ દૃઢ થતી જાય છે. અહીં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંપર્કમાં જાણે ઔપચારિકતા આવતી જાય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રશ્ર્નો તો ખરાં જ; જેની માટે બહુમાળી મકાનોની બહારની સ્થિતિ પાસેથી પરિણામોની આશા કરાય છે. અહીં વ્યક્તિ આજુબાજુની વ્યક્તિથી અંતર રાખે છે અને દૃશ્ય – સંપન્નાથી સમગ્ર ધરતી સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. આવાં મકાનોમાં લગભગ એક જ પ્રકારની આવાસ રચના હોવાથી “સામાન્યીકરણની ઘટના હાવી થઈ જાય છે અને આવાસને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ સાથે સાંકળી નથી શકતો; વ્યક્તિ જાણે તીતરભીતર થતો જાય છે. એક સંશોધન પ્રમાણે કૌટુંબિક સમસ્યાઓ પણ આવા સંજોગોથી વધતી જાય છે જે ક્યારેક ગુના અને ડ્રગ તરફ ફંટાય છે. અહીં ગુનાની સંભાવનાનો ડર પણ વધુ વર્તાતો લાગે છે. આવા મકાનોમાં રહેતી વ્યક્તિઓ વિશાળ પૃથ્વી સામે વામનતા પણ અનુભવી શકે.
બહુમાળી મકાનો અમુક પ્રશ્ર્નોના ઉકેલ સમાન છે. પણ આ ઉકેલ અન્ય પ્રશ્ર્નો પણ ઊભા કરે છે. આમ પણ વિશ્ર્વમાં એવો એક પણ ઉકેલ નથી કે જે અન્ય પ્રશ્ર્નો ન સર્જે. જરૂરિયાત છે પ્રશ્ર્નો – તેના ઉકેલ અને તેનાથી સર્જાતા નવા પ્રશ્ર્નો વચ્ચે સંતુલન જાળવવાનો. શહેરનો વિસ્તાર વધારવામાં પ્રશ્ર્નો છે. તો બહુમાળી વિકાસ પણ પ્રશ્ર્નો છે. ઊંચાઈ અને વિસ્તાર વચ્ચે સંતુલન આણી વિકાસ માટે નવીન અભિગમ જરૂરી છે.
છતાં પણ એ સત્ય છે કે માનવીનો સંબંધ જમીન સાથે જોડાયેલો છે. આકાશ તરફ તો માત્ર દૃષ્ટિ રાખી શકાય. તેથી જ માનવી જમીનથી જેમ જેમ દૂર થતો જાય કે તેનો આ સંબંધ પરોક્ષ થતો જાય તો પ્રશ્ર્નો વધુ માનસિક રહેવાનાં. ઉ