સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમના ભવ્ય સમાપન બાદ ગુજરાત સરકારે રાજધાની દિલ્હીમાં સોમનાથના દર્શન માટે એક 3D ગુફાનું નિર્માણ કર્યું છે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી અને રાજધાની જનારા લોકોને આ ગુફામાં આવીને ગુજરાતના જ સોમનાથ મંદિરમાં હોવાનો અહેસાસ થશે. દિલ્હીના રહેવાસીઓ અને આવતા પર્યટકોને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક એવા ગુજરાતના આ ‘શાશ્વત યાત્રાધામ’ સોમનાથ મંદિરનો અનુભવ માણવાની તક મળશે.
ગુજરાત સરકારે રાજ્યના સ્થાપના દિવસે એટલે કે પહેલી મેના દિવસે આ ગુફાનું ઉદ્ઘાટન કર્યું હતું અને લોકો દ્વારા આને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગુફા 25B અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં બનાવવામાં આવી છે. 3D ગુફામાં વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટ દ્વારા સોમનાથ મંદિરના સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વને પ્રસારિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરને 3-D LiDAR સ્કેનિંગ/મેપિંગ સિસ્ટમથી સ્કેન કરવામાં આવ્યું છે અને એને કારણે લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા વાસ્તવિક મંદિરમાં હોવાનો અનુભવ થશે.
આ 3D ગુફા અને VR ગોગલ્સ (વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા) દ્વારા લોકો સોમનાથ મંદિરની નાની-મોટી વિગતો પણ જાણે વાસ્તવિક મંદિરમાં હોય તેમ જોઈ અને માણી શકશે . આ સિસ્ટમ દ્વારા અહીં આવનાર દરેક વ્યક્તિને એક અનોખો અને અદ્ભુત અનુભવ મળશે.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં દેશના ઐતિહાસિક વારસાને બચાવવા અને તેનો પ્રચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ અંતર્ગત ગુજરાત સરકાર તેના સાંસ્કૃતિક વારસાને ડિજિટલ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરી રહી છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં તમામ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.