રિક્ષાચાલકોના ત્રાસમાંથી પ્રવાસીઓને મુક્તિ મળશે
ક્ષિતિજ નાયક
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં બાંદ્રા સ્ટેશન અને ખાર રોડ સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસનીડાયરેક્ટ કનેક્ટિવિટી માટે સ્કાયવોક અથવા લિંક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે, જેથી ગુજરાત/રાજસ્થાન માટે અવરજવર કરનારા પ્રવાસીઓને રાહત થશે. હાલમાં મુંબઈ સેન્ટ્રલ અને દાદર સ્ટેશન (ટર્મિનસ)ની તુલનામાં બાંદ્રા ટર્મિનસથી મેલ-એક્સપ્રેસ ટ્રેનો પકડવામાં પ્રવાસીઓને હંમેશાં હાલાકીનો સામનો કરવો પડે છે, જેમાં સૌથી વધુ રિક્ષાચાલકો દ્વારા બેફામ ભાડાં વસૂલવાની સાથે ક્યારેક લૂંટફાટના કિસ્સા બનતા હોય છે, તેથી સ્ટેશનથી ટર્મિનસ સુધીની ડાયરેક્ટ લિંક અથવા સબ-વે બનાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે, જેથી પ્રવાસીઓને બાંદ્રા ટર્મિનસ જ નહીં, પરંતુ ખાર રોડ સ્ટેશન સુધી પહોંચવામાં રાહત થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ વર્ષે જુલાઈ મહિના દરમિયાન ખાર રોડ અને બાંદ્રા ટર્મિનસની વચ્ચે સ્કાયવોક બનાવવામાં આવ્યો હતો. આ સ્કાયવોકની લંબાઈ ૩૧૪ કિલોમીટર અને ૪.૪ મીટર પહોળો છે. આમ છતાં ખાર રોડ સ્ટેશન ખાતે મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં લોકલ ટ્રેનને હોલ્ટ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જ્યારે બાંદ્રા સ્ટેશને ફાસ્ટ ટ્રેનને હોલ્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અનેક બસને પશ્ર્ચિમ તથા પૂર્વમાંથી લઈ જવામાં આવે છે, તેથી બાંદ્રા સ્ટેશન પરથી પ્રવાસીઓની નોંધપાત્ર સંખ્યામાં અવરજવર થાય છે. જોકે, ખાર રોડ કરતા પણ બાંદ્રા સ્ટેશન અને ટર્મિનસના વધારે પ્રવાસી અવરજવર કરી શકશે. આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે બાંદ્રા સ્ટેશનની ઉત્તર દિશાથી લઈને ટર્મિનસને જોડતો સ્કાયવોક બનાવવાની યોજના હાથ ધરી છે, જે ૩૫૦ મીટર લંબાઈ ધરાવતો હશે. આ સ્કાયવોક મારફત પ્રવાસી બાંદ્રા ટર્મિનસની સાથે હાલના ખાર રોડ સ્ટેશન સુધી પણ પહોંચી શકાશે. સ્કાયવોક બનાવવા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે તથા તેનો ખર્ચ ૩૨ કરોડની આસપાસ થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
હાલના તબક્કે બાંદ્રા ટર્મિનસથી ટ્રેન પકડવા માટે પ્રવાસીઓને બાંદ્રા સબર્બનના લોકલ સ્ટેશન પર ઊતરીને કાં તો બસ અથવા રિક્ષા મારફત ટર્મિનસ જવું પડે છે અથવા ખાર સ્ટેશનથી જવું પડે છે. આમ છતાં રોડ પર હંમેશાં ટ્રાફિકની સમસ્યાને કારણે પ્રવાસીઓને મોટા ભાગે હેરાનગતિ ભોગવવી પડે છે, જ્યારે પ્રવાસીઓ પાસેથી રિક્ષાચાલકો પણ વધારે ભાડું વસૂલતા હોવાની ફરિયાદ કરવામાં આવ્યા પછી કોઈ પગલાં ક્યારેય ભરવામાં આવતા નથી, તેથી જો આ ડાયરેક્ટ કનેક્ટિવિટી અથવા પેસેજ ઊભો કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાન માટે અવરજવર કરનારા પ્રવાસીઓને રિક્ષાચાલકોનો ત્રાસ ભોગવવાનું બંધ થશે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.