(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સાત દિવસની તેજીને બ્રેક લાગ્યા બાદ ગુરુવારના સત્રમાં શેરબજાર અફડાતફડીમાં અટવાયું હતું,જોકે અંતે સેન્સેક્સ તેજી નોંધાવવામાં સફળ રહ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૨૧૨ પોઇન્ટના સુધારા સાથે ૫૯,૭૫૬.૮૪ પોઇન્ટની સપાટીએ સ્તિર થયો છે.
સત્રની શરૂઆત ઊંચી મથાળા સાથે થઇ હતી અને સેન્સેક્સ લગભગ અઢીસો પોઇન્ટ ઊંચી સપાટીએ ખૂલ્યો હતો. આ પછી અફડાતફડી વચ્ચે અટાવાયા છતાં પાછલી બંધ સપાટી સામે માત્ર પચાસેક પોઇન્ટ જ નીચે ગબડ્યો હતો અને સત્ર દરમિયાન આ સપાટી સામે લગભગ ચારસો પોઇન્ટ ઊંચે પહોંચ્યો હતો.
વિશ્ર્વની કેન્દ્રીય બેન્કો વ્યાજદર વધારવાની બાબતે હળવા હાથે કામ લેશે એવી આશા વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ફરી એકવાર કરંટ જોવા મળ્યો હતો અને એશિયાઇ બજારોમાં તેજી જોવા મળી હતી.
જોકે એ જ સાથે સવારના સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાના અહેવાલ જોતાં ભારતીય શેરબજારમાં ફરી વેચવાલી આવવાનો ભયચ ઊબો થયો હતો, કારણ કે ભારત ક્રૂડનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને વપરાશકાર હોવાથી તેના ભાવવધારાને કારણે અર્થતંત્ર પર સીધી નકારાત્મક અસર થાય છે.
એ જ સાથે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નું વલણ પણ મહત્ત્વનું છે. એક્સેન્જ પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૨.૪૭ અબજ એટલે કે ૩૦.૧૨ મિલિયન ડોલરના શેરની વેચવાલી નોંધાવી હતી.