મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની સાથે સંબંધિત એજન્સી પણ કમર કસી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ (હાઈ સ્પીડ બુલેટ ટ્રેન)ને પાર પાડવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર પણ સંપૂર્ણ સહકાર આપી રહી છે, જેથી આ યોજનામાં ગતિ આવી છે. મુંબઈમાં બીકેસીમાં જમીન હસ્તગત કરવાની સાથે અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા પછી હવે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે મુંબઈમાં નિર્માણ થનારા બુલેટ ટ્રેનના સ્ટેશનોની ડિઝાઈન રજૂ કરવામાં આવી હતી.
મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલવે કોરિડોર તૈયાર કરવા માટે મુંબઈમાં બીકેસી, થાણે, વિરાર, બોઈસરમાં સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. તાજેતરમાં ચારેય સ્ટેશનની ડિઝાઈનને રજૂ કરવામાં આવી હતી, જેમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે, એમ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર)ના અધિકારીએ જણાવ્યું હતું.
આ અગાઉ આફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ કંપનીએ ટનલ નિર્માણ માટે બિડ નોંધાવી છે, જેમાં સાત કિલોમીટર દરિયાની અંદર ટનલની સાથે કુલ મળીને 21 કિલોમીટરની ટનલ બનાવવામાં આવશે.
Boisar Railway Station
Thane Railway Station
બીકેસીમાં ગ્રાઉન્ડ લેવલથી 24 મીટર નીચે છ પ્લેટફોર્મ બનાવીશું. બુલેટ ટ્રેનના સ્ટેશનો ત્રણ સ્તરના હશે. દરેક લેવલમાં પ્લેટફોર્મ, કોનકોર્સ અને સર્વિસ ફ્લોર હશે. સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરવા માટે બે એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ રાખવાની યોજના છે, જેમાં એક તો મેટ્રો લાઈન ટૂબીના સ્ટેશન અને બીજી એમટીએનએલ બિલ્ડિંગ તરફ જવાની કનેક્ટિવટી રાખવામાં આવશે. પ્રવાસીઓની અવરજવર કરવા માટે પર્યાપ્ત જગ્યા ફાળવવામાં આવશે, જ્યારે દરેક લેવલ પર પ્રવાસીઓને જરુરી સુવિધા મળી રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
BKC Railway Station
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે કોરિડોર અન્વયે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર અને બોઈસરમાં આ પ્રમાણે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.
Virar Railway Station