ગુજરાત ભાજપ એકમના પ્રમુખે શનિવારે ગાંધીનગરસ્થિત રાજભવન ખાતે સરકાર બનાવવાનો દાવો કરતો પત્ર ગવર્નર આચાર્ય દેવવ્રતને સુપરત કર્યો ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ. ગાંધીનગર ખાતે પક્ષના વડામથકે નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક દરમિયાન નિયુક્ત કરાયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પક્ષના નેતાઓ સાથે. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ શનિવારે પંદરમી વિધાનસભાના ભાજપના તમામ વિજેતા ધારાસભ્યો સહિતના નેતાઓની બેઠક પક્ષના મુખ્યાલય કમલમ ખાતે મળી હતી. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પા સહિતના નેતા નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના વડા અને મુખ્ય પ્રધાન બનાવવા અંગેના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને પટેલના નામ પર મહોર લગાવી હતી. જોકે આ એક ઔપચારિકતા જ હતી. ભાજપ સત્તા મેળવે તો ફરી પટેલને તાજ પહેરવાનું પહેલેથી જ નક્કી હતું. આ બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે તેમના વિનંતીપત્રને ધ્યાનમાં લઈ તેમને સોમવારે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું, તેમ માહિતીખાતાએ જણાવ્યું હતું. તે બાદ પટેલ સહિતના ટોચના નેતાઓ દિલ્હીની મુલાકાતે ગયા હોય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. શપથવિધિની તૈયારીઓ વચ્ચે પ્રધાનમંડળમાં કોનો સમાવેશ થશે, તે અંગે ઘણી અટકળો બહાર આવી રહી છે.
ગુજરાતમાં ભવ્ય વિજય બાદ હવે ભારતીય જનતા પક્ષ ભવ્ય શપથવિધિની તૈયારીમાં વ્યસ્ત થયો છે. બારમી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે શપથવિધિનો સમારંભ યોજાશે ત્યારે પહેલીવાર ભાજપ સારા મૂહુર્તમાં શપથગ્રહણ કરશે. લગભગ ૨૦૦૨થી ૨૦૧૭ સુધીની સરકારની શપથવિધિ કમૂરતામાં જ થઈ હતી.