તહેવારોને મનાવવા અને પર્યાવરણને કે કોઈ સજીવને નુકસાન ન કરવું તે બન્ને એકસરખા મહત્વના છે. હોળી દહનમાં લાકડા વપરાતા હોવાથી ઘણા પર્યાવરણપ્રેમીઓને દુઃખ થતું હતું, પરંતુ તેના વિકલ્પ તરીકે ગૌકાષ્ટ આવ્યા છે અને આ વર્ષે લોકો તેને મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધી જતાં હવે હોળી પ્રગટાવવા માટે છાણના લાકડાની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગાયના ગોબરમાંથી બનતા લાકાડા જેવા આકારની આ દંડીઓ ગૌકાષ્ટ તરીકે ઓળખાય છે. હોળી પ્રગટાવવામાં છાણના લાકડાના ઉપયોગથી બમણો ફાયદો થાય છે, એક તો એ વૃક્ષના લાકડા કરતાં સસ્તા મળે છે અને બીજું છાણના લાકડા સળગાવવાથી પર્યાવરણને નુકસાન થતું નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં હોળી પ્રગટાવવા માટે છાણના લાકડાની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે છાણના લાકડાની માંગમાં 50 ટકા વધારો થયો છે. ગુજરાતમાં અંદાજે 70 ગૌશાળા છાણના લાકડા વેચે છે. રાજ્યમાં હોળી પ્રગટાવતા 5000 આયોજકો છાણના લાકડાનો ઉપયોગ હોળી પ્રગટાવવા માટે કરે છે.
છાણના લાકડાનું ઉત્પાદન કરવાની મર્યાદીત ક્ષમતાને કારણે રાજકોટ આસપાસ આવેલી ગૌશાળાઓ પૂરતા પ્રમાણમાં છાણના લાકડાનું ઉત્પાદન કરી શકતી નથી અને હવે કેટલાક લોકો ઉત્પાદન વધારવા માટે નવા મશીનો વસાવવા લાગ્યા છે. છાણના લાકડાની માંગમાં વધારો થતાં તેની કિંમતમાં પણ વધારો થયો છે. અગાઉ છાણના લાકડા પ્રતિ કિલોગ્રામ રૂ.15ના ભાવે વેચાતા હતા તે હવે પ્રતિ કિલોગ્રામ રૂ.20ના ભાવે વેચાઇ રહ્યા છે. તેમ છતાં છાણના લાકડા વૃક્ષના લાકડા કરતાં સસ્તા મળી રહ્યા છે અને તે પર્યાવરણ માટે પણ લાભદાયી છે. છાણના લાકડાની માંગ વધતા ઘણી ગૌશાળાઓને તેના વેચાણમાંથી સારી આવક થાય છે.