એક તો પોતાના વતનથી હજારો કિમી દૂર આવતા અને રોજનું રોજ કમાઈને ખાતા પરિવારના મોભી જો અચાનકથી મૃત્યુ પામે ત્યારે અજાણ્યા ગામમાં નોધારા થઈ ગયેલા પરિવાર પર આભા ફાટે છે. આવી જ ઘટના રાજકોટમાં બની હતી. જ્યારે શનિવારે સાથે મળી ઉતરાયણ ઉજવી ચૂકેલા પરિવારે રવિવારે ઘરના મુખ્ય માણસને ગુમાવ્યા હતા. રાજકોટમાં એક મકાન ધરાશાયી થતા ત્રણ જણ ઘાયલ થયા હતા, જેમાં શ્રમિક બબલુભાઈનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના લક્ષ્મીવાડીમાં નિખિલભાઈ ટાંકના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું છે. આજે રિનોવેશન દરમિયાન મકાનની છત ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળમાં દટાયા હતા.
ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ આ ઘટનામાં કડિયાકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે બે વ્યક્તિને બહાર કઢાતા તેમને ઇજા પહોંચી હોય બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
સૂત્રો દ્વારા મળી રેલી માહિતી મુજબ લક્ષ્મીવાડીમાં નિખિલભાઈ ટાંકનું ઘર આવેલું છે. આ ઘરના રિનોવેશનનું કામ મૂળ મધ્યપ્રદેશના બબલુભાઈ મોહનિયા અને તેમનો પરિવાર કરી રહ્યો હતો. પરંતુ આજે ઉપરના માળનું છજુ અચાનક ધરાશાયી થયું હતું.
આથી નીચે કામ કરી રહેલા બબલુભાઈ, મકાન માલિક નિખીલભાઈ અને અન્ય એક વ્યક્તિ કાટમાળ હેઠળ આવી ગયા હતા. જોકે ફાયર વિભાગે નિખીલભાઈ અને અન્ય વ્યક્તિનો બચાવ કર્યો હતો. જ્યારે બબલુભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાદમાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.