ફુગાવાનો દર ઘટીને 21 મહિનાના તળિયે પહોંચ્યો
નવી દિલ્હીઃ દેશમાં જથ્થાબંધ ફુગાવાનો દર નવેમ્બર મહિનામાં ઘટાડો થયો છે, જે 5.85 ટકા રહ્યો છે, જે ઓક્ટોબર મહિનામાં 8.39 ટકાની સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે, જેથી આગામી દિવસોમાં આમઆદમીને વધુ રાહત થઈ શકે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 મહિનાના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું હતું.
નવેમ્બર મહિનામાં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, મૂળભૂત ધાતુઓ, કાપડ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો અને કાગળ અને પેપર ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) પર આધારિત ભારતનો રિટેલ ફુગાવો પણ નવેમ્બરમાં આરબીઆઈ લક્ષ્યાંકની અંદર 5.88 ટકા નોંધાયો હતો. જે અગાઉ ઓક્ટોબરમાં 6.77 ટકા હતો. રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ઘરેલું રિટેલ ફુગાવાને અંકુશમાં લેવા મે મહિનાથી પોલિસી રેટમાં 225 બેઝિસ પોઈન્ટનો વધારો કરી ચૂકી છે.જે કારગર સાબિત થયો છે.
આગામી સમયમાં આરબીઆઈ પોલિસી રેટમાં વધારા માટે કોઈ આક્રમક પગલું નહીં લે તેવી શક્યતા વધી છે. જો CPI-આધારિત ફુગાવો સળંગ ત્રણ ક્વાર્ટરમાં 2-6 ટકાની રેન્જની બહાર હોય તો RBI ભાવ વધારાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું માનવામાં આવે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ નવેમ્બરની શરૂઆતમાં યોજવામાં આવી હતી અને ફુગાવાને અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવનાર અહેવાલનો મુસદ્દો તૈયાર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.