ભારતમાં બેન્કિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને ટૂંક સમયમાં જ ભેટ મળી શકે એમ છે. સરકાર બેન્ક કર્મચારીઓની જૂની માંગ પૂરી કરવાની દિશામાં આગળ વધી રહી છે. મળી રહેલાં સમાચાર અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરી શકે છે.
એક સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેંક કર્મચારીઓની 5 વર્કિંગ ડે વીકની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને નાણા મંત્રાલય બેંક કર્મચારીઓની આ જૂની માંગ પર મહોર મારવાની તૈયારીમાં છે. આ બાદ એક નોટિફિકેશન બહાર પાડીને આ ફેરફારને અમલી બનાવવામાં આવશે.
જો આવું થશે તો બેંક કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ કામ કરવું પડશે. હાલની સિસ્ટમની વાત કરીએ તો બેન્ક કર્મચારીઓને મહિનાના દર રવિવારે રજા મળે છે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે. બાકીના શનિવાર બેંક ખુલ્લી હોય છે.
બેંકોના કર્મચારીઓ દ્વારા ખૂબ જ લાંબા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે 5 ડેઝ વીકની સિસ્ટમ લાગુ કરવામાં આવે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન દ્વારા આ અંગે સરકારને પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો હતો. સૂત્રોને ટાંકતા એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ઇન્ડિયન બેંક એસોસિએશનના પ્રસ્તાવ પર હકારાત્મક સાથે આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.
કોરોના મહામારી બાદ સૌથી પહેલાં પાંચ કામકાજના દિવસોની માંગ ઉભી થઈ હતી. જોકે, ઈન્ડિયન બેંક એસોસિએશન દ્વારા આ માંગને નકારી કાઢવામાં આવી હતી અને તેના બદલે 19 ટકા પગાર વધારાની ઓફર કરવામાં આવી હતી. પાછળથી, પાંચ દિવસના સપ્તાહની માંગ વેગ પકડી રહી હતી. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેતૃત્વમાં બેંક કર્મચારીઓએ આ માંગને લઈને આ વર્ષે જાન્યુઆરીમાં બે દિવસની હડતાળ પણ કરી હતી.
એક સમાચાર અનુસાર ઈન્ડિયન બેંક એસોસિએશને 5 ડેઝ વીકની માંગ પર સહમતિ દર્શાવી છે, પણ એની સાથે સાથે જ કામના કલાકોમાં વધારો કરવામાં આવશે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન ફેબ્રુઆરી 2023માં સંમત થયું હતું કે તેઓ 5-દિવસના અઠવાડિયાની માંગ પર ધ્યાન આપશે. આ સાથે તેમણે કામના કલાકો દરરોજ 40 મિનિટ વધારવાની શરત ઉમેરી હતી. જો આમ થશે તો બેંક કર્મચારીઓએ સવારે 09:45 થી સાંજે 05:30 સુધી કામ કરવું પડશે.