પુણેઃ ઉદ્ધવ ઠાકરે મંગળવારે વધુ એક ઝાટકો લાગ્યો છે અને ઠાકરે પક્ષના ભૂતપૂર્વ નગરસેવક શ્યામ દેશપાંડેએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મે મહિનામાં ઉદ્ધવ ઠાકરે પુણેમાં જાહેર સભા ભરવાના હતા અને વિશેષ એટલે આ સભા મહાવિકાસ આઘાડી તરફથી હશે, પણ આ સભા પહેલાં દેશપાંડેના ભાજપ પ્રવેશને કારણે ઠાકરેને એક ઔર ઝટકો લાગ્યો છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં દેશપાંડેએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશપાંડે એ પુણે મહાપાલિકામાં ત્રણ વખત નગરસેવક રહી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરેએ 2022માં મુંબઈના એક ભાષણમાં આરએસએસ પર ટીકા કરતાં દેશપાંડેએ નારાજગી વ્યક્ત કરી હતી.
પક્ષવિરોધી કાર્યવાહી કરવાનો ઠપકો આપીને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષે મે, 2022માં પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. દેશપાંડે 2000-2012 સુધી કોથરુડ વિભાગના નગરસેવક હતા. જ્યારે 2007-09માં તેમણે મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષપદ પણ શોભાવ્યું હતું. હવે દેશપાંડેના ભાજપમાં પ્રવેશ કર્યા બાદ દેશપાંડેને કઈ જવાબદારી આપવામાં આવશે, એ તરફ લોકોનું ધ્યાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં જ ભૂષણ દેસાઈના શિંદે જૂથમાં પ્રવેશને એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ભૂષણ દેસાઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિંદે કેમ્પમાં જોડાયા હતા. ભૂષણનું નામ વિધાનસભા સત્રમાં MIDC જમીન કૌભાંડ કેસમાં સંડોવવામાં આવ્યું હતું અને આ મામલે સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા.
દેસાઈ બાદ હવે દેશપાંડેનો ભાજપમાં પ્રવેશ એ ઠાકરેને લાગેલો બીજો સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે.