મુંબઈ: પર્યાવરણ અને જીવો માટે ખતરનાક એવા નોન-ડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ મુંબઈમાં ઓછો થયો નથી અને મજાની વાત તો એ છે કે, મુંબઈમાં મળી આવતા કુલ કચરામાંથી મોટા ભાગનો પ્લાસ્ટિક બોટલનો જ છે. આ સિવાય પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓના કચરાનો સમાવેશ પણ થાય છે અને જનજાગૃતિ, પ્રતિબંધ બાદ પણ તેના વપરાશમાં ઘટાડો થયો નથી. મુંબઈમાં વર્ષ 2021ની સરખામણીએ 2022માં 11 લાખ 99 હજાર 950 કિલો પ્લાસ્ટિક બોટલનો કચરો વધ્યો છે.
પર્યાવરણ નિષ્ણાતો દ્વારા આ મામલે ચેતવણી આપવામાં આવી છે કે પ્લાસ્ટિકની આ બોટલોના વધતા કચરાથી મુંબઈ પર સંકટ ઘેરાઈ રહ્યું છે. સુધરાઈ દ્વારા પ્લાસ્ટિક વિરોધી પગલાં લેવાનો અને જનજાગૃતિમાં વધારો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે પર્યાવરણવાદીઓ પ્લાસ્ટિકની બોટલો અને અન્ય પ્રકારના પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અંગે કડક માર્ગદર્શિકાની માંગ કરી રહ્યા છે.
મુંબઈમાં પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ છેલ્લાં કેટલાક સમયથી વધ્યું છે અને પ્લાસ્ટિકની બોટલ, શાકભાજી અને ફળો માટે વપરાતી ઝબલા થેલી સાથે, ફૂડ રેપર એ સૌથી સામાન્ય કચરો છે. હોટેલ્સ, ખાણીપીણીના સ્ટોલ અને અન્ય દુકાનોમાંથી પ્લાસ્ટિક બોટલમાં સીલ પેક પાણી ખરીદવામાં આવે છે. એકવાર તેનો ઉપયોગ કર્યા પછી તેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. આ બાબતે સુધરાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ વધ્યો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 સુધીમાં 46 લાખ 98 હજાર 164 કિલો પ્લાસ્ટિકની બોટલ કચરામાંથી મળી આવી હતી. જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 સુધીમાં તેમાં વધારો થયો છે અને ગયા વર્ષની વાત કરીએ તો 58 લાખ 98 હજાર 114 કિલો પ્લાસ્ટિકની બોટલ મળી આવી છે.
દર વર્ષે ચોમાસા પહેલાં કરવામાં આવતી નાળા સફાઈમાં પણ પ્લાસ્ટિકની બોટલોનો કચરો વધુ પ્રમાણમાં કાઢવામાં આવે છે. પ્લાસ્ટિકની બોટલની સાથે રિસાયકલ કરેલું પ્લાસ્ટિક પણ આ સફાઈ દરમિયાન મળી આવે છે. જેમાં ફૂડ પ્લેટ, ગ્લાસ, ચમચી, બેગ, બાઉલ, કન્ટેનર, સ્ટ્રો, કપ વગેરે વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2021માં આવો 68 લાખ 82 હજાર 689 કિલો કચરો મળી આવ્યો હતો જ્યારે વર્ષ 2022ની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 67 લાખ 12 હજાર 557 કિલો પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો છે.
પ્લાસ્ટિકની બોટલો અને અન્ય વસ્તુઓનો વધતો ઉપયોગ પર્યાવરણ અને આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે. રાજકીય સભાઓ, ધાર્મિક કાર્યક્રમો, લગ્નો, હોટેલો અને અન્ય દુકાનોમાંથી પ્લાસ્ટિકની બોટલો મળે છે. પ્લાસ્ટિકની બોટલના પાણીને શુદ્ધ પાણી તરીકે જોવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે. પર્યાવરણવિદ ભગવાન કેસભતે કહ્યું છે કે આ ઉપયોગને નિયંત્રિત કરવા માટે કડક માર્ગદર્શિકા હોવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે 26મી જુલાઈ 2005ના રોજ મુંબઈમાં આવેલા પૂર માટે પ્લાસ્ટિકની થેલીઓ પણ કારણભૂત હતી. ત્યારબાદ, 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પછી, મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 50 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક થેલીના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન આ કાર્યવાહી ઠંડી પડી હતી અને ત્યાર બાદ સુધરાઈએ પહેલી જુલાઈ, 2022થી પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પ્લાસ્ટિકના વપરાશ અંગેની જનજાગૃતિ પણ મંદ પડી ગઈ હોવાનું પણ પર્યાવરણવાદીઓ જણાવી રહ્યા છે.
દાવા કેટલા સાચા કેટલા ખોટા
– પ્લાસ્ટિક વિરોધી કાર્યવાહીનો પાલિકાનો દાવો ખોટો હોવાનો પર્યાવરણવાદીઓનો આક્ષેપ
– પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અંગે કડક માર્ગદર્શિકાની માંગ
– વર્ષ 2021માં 46 લાખ 98 હજાર 164 કિલો પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.
– વર્ષ 2022માં 58 લાખ 98 હજાર 114 કિલો પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.