આ મહત્વપૂર્ણ કરારને અંતિમ સ્વરૂપ આપવા પર રહેશે નજર
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નિયોર ગિલાને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયેલના વિદેશ પ્રધાન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અમે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ભારત મુલાકાતની તારીખોને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહ્યા છીએ. નિઓર ગિલાને કહ્યું કે ભારત એક પ્રાદેશિક શક્તિમાંથી વૈશ્વિક શક્તિ બની ગયું છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોને 30 વર્ષ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં અમે હરિયાણામાં સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ કર્યું છે. તાજેતરમાં, 30 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, હરિયાણાના ભિવાનીમાં સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર ઈન્ડિયા ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. અહીં પાકો પર સંશોધન કરવામાં આવશે. ઈઝરાયેલના રાજદૂતે કહ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે મુક્ત વેપાર કરાર બંને દેશો માટે પ્રાથમિકતા છે. નોંધનીય છએ કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ એગ્રીમેન્ટ કરનાર દેશો વેપાર અને રોકાણમાં આવતા અવરોધોને દૂર કરે છે. ઉપરાંત એવી નીતિઓ બનાવવામાં આવે છે, જેમાં સરકાર આયાત અથવા નિકાસ પર કોઈ ટેરિફ લાદતી નથી. જે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપે છે. ભારત અને ઇઝરાયલ એમ બંને દેશો વચ્ચે વાર્ષિક 8 અબજ ડોલરનો વેપાર થાય છે. 2010થી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે.