નવી દિલ્હીઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને આવતી કાલે એટલે કે રવિવારે પીએમ મોદી દેશવાસીઓ માટે આ એક્સપ્રેસ વે ખૂલ્લો મૂકશે. પીએમ 12 ફેબ્રુઆરીએ 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ એમ પહેલાં તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને આ નવા એક્સપ્રેસ વેને કારણે અડધા સમયમાં મુંબઈથી દિલ્હી પહોંચી શકાશે.
હાલમાં મુંબઈથી દિલ્હી પહોંચવા માટે 24 કલાકનો સમય લાગે છે. તેના બદલે એક્સપ્રેસ વે દ્વારા માત્ર 12 કલાકમાં જ પહોંચી શકાશે, એટલું જ નહીં દિલ્હીથી જયપુર પણ માત્ર 3.30 કલાકમાં પહોંચી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનને દેશને સમર્પિત કરવા જઈ રહ્યાં છે.
પીએમઓએ તરફથી મળતી જાણકારી મુજબ આ એક્સપ્રેસ વેને બનાવવા પાછળ આશરે 12,150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો આ પ્રથમ તબક્કો સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે. આ દરમિયાન મોદી દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની લંબાઈ 1,386 કિમી છે અને તેને કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું 1,424 કિલોમીટરનું અંતર ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે. એટલું જ નહીં 24 કલાકને બદલે 12 કલાકમાં જ મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે.
મુંબઈ દિલ્હી સિવાય વાત કરીએ તો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે, જેના માટે આશરે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચ કરવામાં આવ્યો છે. આ તબક્કો શરૂ થવાને કારણે દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પણ ઘટશે. વર્તમાન સમયમાં દિલ્હીથી જયપુર જવા પાંચ કલાકનો સમય લાગે છે જે આ નવા એક્સપ્રેસ વેને કારણે ઘટીને સાડાત્રણ કલાક જેટલો થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિમી હશે અને તેના પૂર્ણ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું મુસાફરીનું અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.