નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યા પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેના મતભેદને દૂર કરવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે, પરંતુ હજુ રાજસ્થાનમાં કોકડું ગૂંચવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી જ નહીં, પરંતુ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીની કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે અને તેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ શુક્રવાર, શનિવાર અને રવિવાર (28 મે)ના રોજ દિલ્હીમાં બેઠક બોલાવી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને 26મી મેની બેઠક દરમિયાન સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. જો મામલો ઉકેલાઈ જાય તો ઠીક છે, અન્યથા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી દિવસોમાં પાયલોટ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે, કારણ કે પાર્ટીના ઘણા નેતાઓનું માનવું છે કે આવી ચૂંટણી થઈ શકે નહીં. એક તરફ પાર્ટી પ્રચારમાં વ્યસ્ત રહેશે અને બીજી તરફ પાયલોટ વિરોધ અને આંદોલન ચાલુ રાખી શકે છે. પાર્ટીની મીટિંગમાં ઉકેલ આવે તો ઠીક છે નહીં, તો આગામી દિવસોમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વચ્ચે ઘર્ષણ વધી શકે છે.
વાસ્તવમાં, તાજેતરમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે ભ્રષ્ટાચારના મુદ્દે જન સંઘર્ષ યાત્રા કાઢી હતી. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત ભ્રષ્ટાચાર અંગે કોઈ પગલાં લીધા નહોતા.
આ મુદ્દે પાયલોટ સતત કહી રહ્યા છે કે ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર પર કંઈ કર્યું નથી. મેં આ મામલે સીએમ અશોક ગેહલોતને બે વખત પત્ર પણ લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ આવ્યો નથી. હાલમાં જ અશોક ગેહલોતે પાયલોટ અને તેના જૂથ પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકારને તોડવા માટે વિધાનસભ્યોએ ભાજપ પાસેથી પૈસા લીધા હતા, જ્યારે તેનો જવાબ આપતા કહ્યું હતું કે ગેહલોત ખોટું નિવેદન આપી રહ્યા છે.