Homeઉત્સવહિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાનના પક્ષધર પંડિત મદન મોહન માલવિયા

હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાનના પક્ષધર પંડિત મદન મોહન માલવિયા

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ઘટ ઘટ પર વ્યાપક રામ જપ રે,
મત કર બૈર જુઠ ભાખે, મત પર ધન હર,
મત મદ – ચાખે,
જીવ મત માર, જુઆ મત ખેલે,
મત પર તિય લખ, યહિ તેરો તપ રે ય
મદન મોહન માલવિયા
ઈતિહાસના પાના ફેરવીએ તો આવાં નામો ભાગ્યે જ જોવા મળે કે, જેમણે અનેક પાત્રો ભજવ્યા સાથે લગભગ દરેક માપદંડો પર ખરા ઊતર્યા હોય. પંડિત મદન મોહન માલવિયા એક શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની, અગ્રણી પત્રકાર, સફળ સંસદસભ્ય, રાષ્ટ્રના મહાન રાજદૂત અને બહુમુખી વ્યક્તિત્વથી સમૃદ્ધ હતા. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિનમ્રતા, પવિત્રતા, દેશભક્તિ, સંસ્કૃતિ પ્રત્યે અતૂટ નિષ્ઠાના મહાન આદર્શ પંડિત મદન મોહન માલવિયા હંમેશાં એવા પ્રયાસોમાં વ્યસ્ત રહેતા કે યુવાનો દેશપ્રેમ અને વફાદારીની અમર્યાદિત શક્તિથી સમૃદ્ધ બને. માલવિયાજી ઈચ્છતા હતા કે, દેશમાં આ માનસિકતા, આ સંકલ્પ, આ સંસ્કૃતિનો વિકાસ થવો જોઈએ. આપણે આત્મનિર્ભર સમાજનું નિર્માણ કરી શકીએ જેમાં વ્યક્તિ સ્વાભિમાની હશે અને સમાજ આત્મનિર્ભર હશે.
મનોજકુમાર ખરવાર પોતાના શોધ પત્ર ‘શૈક્ષણિક ચિંતન અને માલવિયા’ માં લખે છે કે, માળવાથી સ્થળાંતર કરીને પંદરમી સદીથી ઇલાહાબાદમાં રહેતા શ્રીગૌડ પરિવારમાં ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ના રોજ મદન મોહન માલવીયનો જન્મ ઇલાહાબાદમાં થયો હતો. તેમના પૂર્વજો સંસ્કૃતમાં પારંગત અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર હતા. તેમના દાદા પ્રેમધર અને પિતાશ્રી વ્રજનાથ વ્યાસ સંસ્કૃતના પંડિત હતા. માતાનું નામ શ્રીમતી મૂના દેવી હતું. મૂળરૂપમાં તેઓ માળવાના નિવાસી હતા અને પ્રયાગમાં ઘણો સમય રહ્યા અને મલ્લઈ પરિવારના નામથી પ્રસિદ્ધ થયા. જેને સંશોધિત કરીને માલવીય કરી દેવામાં આવ્યું. રેવા, દરભંગા અને વારાણસી સહિત કેટલાંક રાજ્યોના મહારાજાઓ વ્રજનાથને પોતાના ગુરુ સમાન માનતા હતા અને તેમનો આદર-સત્કાર કરતા હતા. રામાયણ અને ભાગવતના લોકભોગ્ય કથાકાર તરીકે તેઓ પ્રસિદ્ધ હતા.
બૃજબાલા સિંહ પોતાના સંપાદકીય પુસ્તક ‘આધુનિક ભારતના નિર્માતા પ. મદન મોહન માલવિયા’ માં જણાવે છે કે, અભ્યાસની શરૂઆત પાઠશાળામાં કરીને તેઓ જિલ્લાની શાળામાં દાખલ થયા. તેમણે ૧૮૭૯માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી સેન્ટ્રલ કોલેજમાં દાખલ થઈ ૧૮૮૪માં કોલકાતા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા. માસિક ચાલીસ રૂપિયાના પગારથી શાળાના શિક્ષકની નોકરી સ્વીકારી. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને ઔધ(અવધ)ના તાલુકાદાર રાજા રામપાલ સિંહે તેમને માસિક રૂ. ૨૦૦/-ના પગારથી ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી તરીકે જોડાવા જણાવ્યું. તેમાં તેમણે બે વર્ષ કામ કર્યું. ‘ઇન્ડિયન યુનિયન’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. દેશની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ એ. ઓ. હ્યૂમ, પંડિત અજોધ્યા નાથ, રાજા રામપાલ સિંહ વગેરેના આગ્રહથી ૧૮૯૧માં તેમણે એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. ૧૮૯૩થી વડી અદાલતના વકીલ બન્યા. થોડા સમયમાં આખા પ્રાંતના નામાંકિત વકીલ બની ગયા.
૧૯૦૨માં તેઓ પ્રાંતિક ધારાકીય સમિતિમાં અને ૧૯૦૯માં ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા હતા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ૧૯૦૯, ૧૯૧૮, ૧૯૩૨ અને ૧૯૩૩ – એમ ચાર વાર તેમની વરણી થઈ હતી, પરંતુ ૧૯૩૨ અને ૧૯૩૩માં કૉંગ્રેસની બેઠક પરના સરકારના પ્રતિબંધને કારણે તેમની ધરપકડ થઈ અને તેઓ પ્રમુખપદ સંભાળી શક્યા નહોતા. તેઓ કૉંગ્રેસના મજબૂત સમર્થક હોવા છતાં બ્રિટિશ સરકારની ‘ભાગલા પાડો, રાજ કરો’ની નીતિનો વિરોધ કરવા માટે ૧૯૦૬માં તેમણે હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં તેમણે વકીલાત છોડી દીધી તેમ છતાં અસહકારની ચળવળ (૧૯૨૦-૨૨) દરમિયાન ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનાર ૨૨૫ માણસોને મૃત્યુદંડની સજા થવાથી તેની અપીલના કેસમાં ભાગ લઈ તેમાંના ૧૫૩ માણસોને મોતની સજામાંથી છોડાવ્યા હતા.
૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ગાંધીજીએ સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાથી એપ્રિલ ૧૯૩૦માં રાજીનામું આપીને તેઓ તેમાં જોડાયા. આ સમય દરમિયાન એક દેશભક્ત અને ક્રિયાશીલ ધારાસભ્ય તરીકેની કામગીરી તેમણે બજાવી. ૧૯૩૧માં લંડનમાં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં તેમણે હાજરી આપી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમણે ૧૯૧૯થી ૧૯૩૮ સુધી કામ કર્યું. તેમના પ્રયાસોથી ઉત્તરપ્રદેશની અદાલતોમાં ઉર્દૂને બદલે હિંદી ભાષાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.
હિન્દી : માલવિયાજીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે, દેશની પ્રગતિ આપણા દેશની ભાષા દ્વારા જ થઈ શકે છે. પ્રો. અમરનાથ પોતાના શોધ લેખ હિન્દી કે મહામના માં લખે છે કે, આ પહેલા ૧૮૮૨, ૧૮૬૦માં અંગ્રેજોએ શિક્ષણ આયોગની રચના કરી હતી જેનો હેતુ એ સૂચવવાનો હતો કે, શિક્ષણનું માધ્યમ કયું હોવું જોઈએ? શિક્ષણ કેવી રીતે આપવું? આ કમિશનમાં પુરાવા માટે મદન મોહન માલવિયા અને ભારતેન્દુ હરિશ્ર્ચંદ્રની પસંદગી કરવામાં આવી હતી. ‘ભારતેન્દુ’ બીમારીના કારણે કમિશન સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. તેમણે તેમનું લેખિત નિવેદન કમિશનને મોકલ્યું હતું, પરંતુ માલવિયા કમિશન સમક્ષ હાજર થયા. તેમણે પોતાના નિવેદનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ ક્ષેત્રોમાં હિન્દી ભાષામાં શિક્ષણ આપવું જોઈએ.
પ્રથમ હિન્દી સાહિત્ય સંમેલન(૧૯૧૦)માં તેમના પ્રમુખ સંબોધનમાં કહ્યું હતું કે, એ સાચું છે કે, કેટલાક લોકો તેમની માતૃભાષામાં કામ કરે છે, પરંતુ કેટલા લોકો? આ મારો પ્રસ્તાવ નથી, હું વિનંતી કરું છું કે, જે થયું તે થયું. હવે શું કરવું જોઈએ? તમારે સરકારી કચેરીઓમાંથી બહાર પાડવામાં આવેલી નકલો કે ડિગ્રી વગેરે હિન્દીમાં લેવી જરૂરી છે. આ બધું તમારા માટે જરૂરી છે.
૧૫,એપ્રિલ ૧૯૧૯ના રોજ માલવિયાજીએ હિન્દીને સત્તાવાર અને અદાલતી ભાષા બનાવવા માટે અલ્હાબાદની હાઈકોર્ટમાં ઉગ્ર દલીલ કરી. આ દિવસે કોર્ટમાં કાળો ડ્રેસ પહેરવાની ના પાડી અને સફેદ વસ્ત્રો પહેરીને આવ્યા. ન્યાયાધીશો તેમની ચર્ચાથી ખૂબ પ્રભાવિત થયા અને અદાલતોમાં દેવનાગરી લિપિમાં હિન્દી લખવાની મંજૂરી આપી. આ ઉપરાંત તેઓ કાશી હિંદુ યુનિવર્સિટીમાં હિન્દીને એક વિષય તરીકે માન્યતા આપનાર પ્રથમ વ્યક્તિ હતા.
તેઓ ભારતની અન્ય ભાષાઓને પણ વ્યવહારમાં લાવવાના પક્ષમાં હતા, પરંતુ હિન્દીને સૌની મોટી બહેન માનીને તેઓ તેને માતાનું સ્થાન આપતા હતા જેથી તેને રાષ્ટ્રભાષા બનાવી શકાય. ૧૯ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ, બોમ્બેમાં હિન્દી સાહિત્ય સંમેલનની અધ્યક્ષતા કરતી વખતે માલવિયાજીએ કહ્યું, “દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવી જોઈએ (ચતુર્વેદી, સીતારામ, મહામના મ.મો. માલવીય, ખંડ-૨)
હિન્દુ : રમેશ કુમાર પોતાના શોધ લેખ ‘મહામનાની ધાર્મિક નિષ્ઠા’ માં લખે છે કે, પુનર્જન્મને તેઓ સનાતન ધર્મનો મૌલિક આધાર માનતા હતા. તેઓ શ્રીમદ્દ ભગવદગીતામાં વર્ણિત કાયિક, વાચિક અને માનસિક તપના સાધક હતા. ઈશ્ર્વરમાં તેમને વિશેષ શ્રદ્ધા હતી.
તેઓએ અસ્પૃશ્યતા દૂર કરવા અને શુદ્ધીકરણ (હિંદુ ધર્મનો ત્યાગ કરનારાઓને ફરીથી હિંદુ બનાવવા)ના કટ્ટર સમર્થક હતા. તેઓ ત્રણ વખત હિંદુ મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે સનાતન ધર્મના વિદ્યાર્થીઓને શાકાહારી ખોરાક અને જીવનશૈલીની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા માટે પ્રયાગરાજમાં ‘હિંદુ છાત્રવાસ’ (છાત્રાલય)ની સ્થાપના કરી હતી. અલ્હાબાદ યુનિવર્સિટીની હિન્દુ હોસ્ટેલ હજુ પણ કેમ્પસની સૌથી મોટી હોસ્ટેલ ગણાય છે. તેઓ હંમેશાં તિલક લગાવતા અને સાંજની પૂજા કરતા જ્યારે તેઓ ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે તેઓ પોતાની સાથે ગંગાજળ લઈ ગયા હતા.
તેઓ કહેતા હતા કે, ‘હું ઈચ્છું છું કે ભારતના દરેક ગામમાં હિન્દુ સભાની સ્થાપના થાય અને હિન્દુઓના શક્તિશાળી સંગઠનો હોવા જોઈએ,’ પરંતુ તેમનું હિન્દુત્વ એક સાંકડા વર્તુળ પૂરતું મર્યાદિત ન હતું. તેમણે એક સંસ્થાની સ્થાપના કરી હતી જેનું કાર્ય તે અસ્પૃશ્યોને હિંદુ ધર્મમાં દીક્ષા આપવાનું હતું જેઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયા હતા.
હિન્દુસ્તાન : ભારતમાં અંગ્રેજોના શાસન સમયે અંગ્રેજી શાળાઓમાં હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ખરાબ પ્રચાર થતો હતો. તેઓ ભારતની દુર્દશા અને અંગ્રેજોના અત્યાચારો વિશે વિચારતા હતા ત્યારે તેમનું મન અંગ્રેજો પ્રત્યે નફરત થતી. તેમનો હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ કારણે આ વિરોધ ચૂપચાપ સહન ન કરી શક્યા. તેમણે ‘વાગ્વર્ધિની સભા’ની સ્થાપના કરી. આ સભા દ્વારા તેમણે વિવિધ સ્થળોએ ભાષણો આપીને હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ અંગ્રેજો દ્વારા કરવામાં આવતા પ્રચારનો વિરોધ કર્યો હતો.
૧૯૦૭માં તેમના અભ્યુદય ‘સામયિકમાં’સ્વરાજ્યની યોગ્યતા અને અર્થ’ સંપાદકીય દ્વારા માલવિયા લખે છે કે, ‘સ્વરાજ્યનું સૌથી મોટું માધ્યમ એ છે કે, શક્ય હોય ત્યાં સુધી દેશમાં, દરેક જીવમાં, દેશ પ્રત્યેની ભક્તિની ભાવના વધવી જોઈએ. તેનાથી લોકોમાં પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્ર્વાસ વધશે અને દુશ્મનાવટથી વિભાજન ઘટશે.’
અભ્યુદયમાં જ (ભાદ્રપદ-શુક્લ ૬, સંવત ૧૯૬૪) ‘રાષ્ટ્રવાદ શું છે?’ ભારતમાં રાષ્ટ્રીય ભાવના કેવી રીતે બનાવવી? દરેક લાગણીમાં ભક્તિ અને પ્રેમ હોય છે. કુદરતનો નિયમ છે કે માણસ જે વસ્તુને ચાહે છે તેનો ગુલામ બની જાય છે અને તેની સામે બીજી બધી વસ્તુઓને ધિક્કારે છે. જેઓ પૈસાને ચાહે છે, તેઓ ધર્મ અને કીર્તિ માટે કંઈ અપેક્ષા રાખતા નથી; અને જેઓ ધર્મ અને કીર્તિને ચાહે છે, તેમની આગળ પૈસો માટી સમાન છે.
ડૉ. આલોક કશ્યપ પોતાના પુસ્તક મદન મોહન માલવિયા વ્યક્તિત્વ અને કૃતિત્વ માં જણાવે છે કે, તેમનું જીવનનું દરેક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત હતું. ગાંધીજી તેમને સૌથી મહાન દેશભક્ત માનતા હતા. તેમણે કહ્યું હતું કે ‘હું માલવિયાજીની દેશભક્તિની પૂજા કરું છું.’ માલવિયાજીના વિશાળ હૃદયમાં સમાજના તમામ વર્ગો માટે આદર અને પ્રેમ હતો. તેઓ જાતિવાદ અને અસ્પૃશ્યતાના કટ્ટર વિરોધી હતા. તેમણે સેંકડો દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો. ૧૯૩૨-૩૩માં કાશીમાં ભીષણ કોમી રમખાણો થયાં હતાં. લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. લોકો ભૂખથી પીડાવા લાગ્યા. તેમની મદદ માટે હિંદુ અને મુસલમાનોની અલગ-અલગ સમિતિઓ બનાવવામાં આવી. માલવીયજી હિંદુઓની સમિતિઓના પ્રમુખ હતા. તેમના નેતૃત્વ હેઠળ અનાજ એકત્ર કરવામાં આવ્યું હતું. ત્યારે જ તેમને ખબર પડી કે, મુસ્લિમ વિસ્તારના મુસ્લિમો ભૂખથી પીડાઈ રહ્યા છે. માલવિયાજી એકત્ર કરેલું બધુ અનાજ મુસ્લિમોના ઘરે મોકલવામાં આવ્યું.
પંડિત મદન મોહન માલવિયાજીનું સમગ્ર સામાજિક-રાજકીય જીવન દેશના ખોવાયેલા ગૌરવને સ્થાપિત કરવાનો પ્રયાસ કરતું હતું. જીવનની લડાઈમાં ઊતરતા પહેલા જ તેમણે નક્કી કર્યું હતું કે, તેમની પ્રાથમિકતા દેશને આઝાદ કરવાની અને સનાતન સંસ્કૃતિને પુન:સ્થાપિત કરવાની રહેશે.
દેશના યુવાનો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાય અને ભારતીય સંસ્કૃતિની પુન:સ્થાપનના વાહક બને. આ હેતુ માટે મહામના માલવિયાજી માનતા હતા કે, કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની શિક્ષણ વ્યવસ્થા છે. મનુષ્ય પાસે વિપુલ પ્રમાણમાં જ્ઞાન છે. આ જ્ઞાનનો ઉપયોગ દેશની સેવામાં થવો જોઈએ. તો જ માણસનું જીવન સફળ થઈ શકે છે. શિક્ષણ એ સંસ્કૃતિનું વાહક છે. સંસ્કૃતિ સંસ્કૃતિથી બને છે અને સભ્યતા નાગરિકતાથી બને છે. અમે ભારતીય છીએ, આ અમારી નાગરિકતા છે. આપણી સભ્યતા ભારતીય હોવાનું પ્રતીક છે. આપણે શિક્ષિત છીએ. આ આપણી સંસ્કૃતિ છે. શિક્ષણ એ સંસ્કૃતિનો આધાર છે.
૧૮૩૩ એડીમાં ગુલામીની નાબૂદી પછી બંધાયેલા મજૂર પ્રણાલીનું એક સ્વરૂપ ‘ઇન્ડેન્ટર્ડ લેબર’ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝ, આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બ્રિટિશ વસાહતોમાં ખાંડ, કપાસ અને ચાના વાવેતર અને રેલવે બાંધકામ પ્રોજેક્ટ પર કામ કરવા માટે ‘ઇન્ડેન્ટર્ડ લેબર’ની ભરતી કરવામાં આવી હતી. શૈક્ષણિક પ્રગતિની સાથે માલવિયાજીએ સમાજમાં ફેલાયેલ દૂષણો પણ અંત આણ્યો. માલવિયાજીએ ‘ઇન્ડેન્ટર્ડ લેબર’ની પ્રથાને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
હિંદુ-મુસ્લિમ એકતા જાળવવા માટે પણ મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. ડો. શંકર સુવન સિંહ પોતાના શોધ લેખ સામાજિક સમરસતાના સંવાહક માલવિયામાં જણાવે છે કે, જાતિના ભેદભાવ અને બ્રાહ્મણવાદી પિતૃસત્તા પરના તેમના વિચારો વ્યક્ત કરવા બદલ તેમને બ્રાહ્મણ સમુદાયમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે માલવિયાજી જાતિ પ્રથાથી ઉપર ઊઠીને રાષ્ટ્રહિત માટે વિચારતા હતા. માલવિયાજીએ વ્યક્તિએ સાબિત કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -