બજેટ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાંપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. (અમય ખરાડે)
મુંબઈ: રાજ્યની પ્રગતિ પર છેલ્લાં અઢી વર્ષ પર જે ગ્રહણ લાગ્યું હતું તેને દૂર કરીને મહારાષ્ટ્રને દેશમાં નવી ઊંચાઈએ લઈ જનારું આ બજેટ છે એવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફડણવીસના બજેટની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બજેટનું પંચામૃત મહારાષ્ટ્રના વિકાસના ચક્રો ગતિમાન કરનારું છે. ગરીબ, ખેડૂત, મહિલાને ન્યાય આપવાની સાથે જ ઉદ્યોગ અને પાયાભૂત સુવિધાને ગતિ આપનારું આ બજેટ છેલ્લા દાયકાનું સર્વશ્રેષ્ઠ બજેટ છે એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે ઉત્તમ અર્થતજ્ઞ, વિકાસની દૂરંદેશી ધરાવતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રજૂ કરેલું બજેટ રાજ્યને નિશ્ર્ચિત રીતે એક ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સુધી લઈ જવાનો માર્ગ સરળ બનાવશે.
સમાજના વિવિધ વર્ગો પર વિકાસના રંગોની છોળ ઉડાવતું આ બજેટ પરસેવાને નાણા, મહેનતને માન, વિકાસનું ચોફેર ભાન આપનારું છે. ખેડૂતોની આંખોમાં રહેલા અશ્રુ લૂછવાનું કામ કરશે.
ખેડૂતો માટે નમો શેતકરી મહાસન્માન નિધિના દોઢ કરોડ ખેડૂતોને લાભ થશે અને મહાકૃષિ વિકાસ અભિયાન યોજનાને કારણે રાજ્યમાં ક્રાંતી થવાની છે. ફક્ત એક રૂપિયામાં ખેડૂતો પાકવીમો લઈ શકશે. માગશે તેને શેત તળ બનાવી આપવામાં આવશે. ખેડૂતોને અનાજને બદલે રોકડમાં મદદ કરવાની યોજના પણ લાભદાયક છે.
મહિલાઓને માટે ચોથા સર્વાંગી મહિલા નીતિની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નોકરિયાત મહિલાને કેન્દ્રની મદદથી ૫૦ હોસ્ટેલ, નિરાધાર અને નિરાશ્રિત મહિલા માટે ૫૦ નવા શક્તિસદન એસટી બસમાં પચાસ ટકાની રાહત વગેરે યોજના જાહેર કરીને મહિલા સક્ષમીકરણની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.
આ વર્ર્ષેે રાજ્યમાં ૧૦ લાખ ધરનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધરવામાં આયો છે.
મુંબઈના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૭૨૯ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાથી આગામી દિવસોમાં મુંબઈનું સ્વરૂપ બદલાઈ જશે એવું જણાવતાં તેમણે ઈંદુ મિલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક અને હિંદુહૃદય સમ્રાટ બાળ ઠાકરેના સ્મારક માટે તેમ જ અન્ય સ્મારકો માટે ફાળવણી કરવામાં આવ્યાની પ્રશંસા કરી હતી.
આ બજેટમાં રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને ગતિ આપવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનો સંતોષ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.