ઘટના બાદ દુકાનમાં ધડાકા સાથે રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી
પાલઘર: નાલાસોપારામાં ચાની દુકાનમાં ત્રણ મિત્ર વચ્ચેના ઝઘડામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘવાયા હતા. જોકે ઘટના બાદ દુકાનમાં ધડાકા સાથે રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળતાં પોલીસ તપાસમાં લાગી હતી.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ચંદ્રકાંત જાધવે જણાવ્યું હતું કે ઘટના બુધવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. નાલાસોપારા વિસ્તારમાં આવેલી એક ચાની દુકાનમાં ધડાકા સાથે આગ લાગી હતી. ઘટના સમયે દુકાનનું શટર બંધ હોવાથી ખરેખર શું બન્યું હતું તેની તપાસ પોલીસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રોનક તિવારી (27) તરીકે થઈ હતી. ચાની દુકાનમાં આગ લાગી હોવાની માહિતી મળતાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યા પછી દુકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
દુકાનમાં લોહીના ડાઘ પણ નજરે પડતા હતા અને મારામારી થયાના પુરાવા હાથ લાગ્યા હતા. યુવાનને પતાવી નાખવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ કરાયો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આશ્ર્ચર્યજનક રીતે દુકાનમાં ગૅસનો પાઈપ તૂટેલો નજરે પડ્યો હતો. ત્રણ યુવાનો વચ્ચેના ઝઘડાને કારણે આ ઘટના બની હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. તિવારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જખમી બન્ને યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)