ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે દિવસે દિવસે હાઈ ટેક થતું જાય છે. મોટા ભાગની સેવાઓ ઓનલાઈન આપી રહેલી રેલવેએ નવી એક સેવા સાવ સરળ કરી નાખી છે. ટ્રેનમાં બેસો એટલે ભૂખ લાગે. ખાસ કરીને ગ્રુપમાં ગયા હોવ તો કંઈને કંઈ ખાવાનું મન થાય. રેલવે આમ તો વેબસાઈટ દ્વારા તમને જે તે સ્ટેશનના જાણીતા રેસ્ટોરાં-ફૂડ પ્લાઝા સાથે જોડી જ દે છે, પરંતુ હવે આ સેવા સાવ સરળ થઈ ગઈ છે.
તમારે માત્ર એક વોટ્સ એપ મેસેજ કરવાનો છે ને ભોજન થઈ જશે હાજર. હવે તમારે વોટ્સ એર નંબર 8750001323 પર મેસેજ કરવાનો છે.
શરૂઆતમાં બે તબક્કામાં ઈ-ખાનપાન સર્વિસની અમલ બજાવણી થશે. જેમણે ઈ ટિકિટ બૂક કરી છે તેમને એક વોટ્સએપ મેસેજ આવશે. પહેલા તમારે www.ecatering.irctc.co.in.વેબસાઈટ પર બે વાર ક્લિક કરી ઈ-કેટરિંગ સેવા પર ક્લિક કરવાનું રહેશે.આમ કરવાથી જેમણે રેલવેની એપ ડાઉનલોડ નથી કરી તેઓ પણ રેલવે સાથે સંલગ્ન રેસ્ટોરાંની યાદી જોઈ શકશે અને પોતાની મનપસંદ ડીશ મંગાવી શકશે. બીજા તબક્કામાં વોટ્સએપ નંબરથી જ સંપર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
હાલમાં અમુક જ ટ્રેનના પ્રવાસીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. સેવા બદલ ગ્રાહકોનો શું અનુભવ છે અને સૂચનો છે તે જાણી ધીમે ધીમે તેને સૌકોઈ સુધી પહોંચાડવામાં આવશે. હાલમાં ઈ-ખાનપાન દ્વારા લગભગ 50,000 જેટલા રેલ પ્રવાસીઓ દિવસદીઠ ભોજન ઓર્ડર કરે છે.