(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દરેક શહેરમાં યોગ્ય કનેક્ટિવિટી (રસ્તા) જરૂરી છે અને એ શહેરના વિકાસનું મહત્વનું પાસું છે. અમે મુંબઈને જ નહીં પણ બલ્કે સમગ્ર થાણે રિજનનેને ખાડામુક્ત બનાવીશું અને એના માટે પ્રશાસન કોશિશ કરી રહ્યું છે, એમ અહીં આયોજિત એક્સપોને સંબોધતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
શહેરના વિકાસ સાથે સાથે હાઉસિંગ સેક્ટર માટે કનેક્ટિવિટી મહત્વની હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જૉન ઓફ કેનેડીનાં ક્વોટ ને યાદ કરીને કહ્યું હતું કે “American roads are not good because America is rich, but America is rich because American roads are good.” વાસ્તવમાં મુંબઈ, થાણે અને એમએમઆરનાં રસ્તા સારા બનાવવાની કવાયત હાથ ધરી છે. જોકે, મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિવિધ પ્રોજેક્ટમાં ગતિ આવી છે. આ ઉપરાંત ભૂતકાળની સરકાર કરતા અમારી સરકારે અનુકૂળ માહોલ ઊભો કર્યો હોવાથી વિદેશમાંથી મોટી મોટી કંપની રોકાણ કરવા આવી છે અને એટલે જ દાવોસ મુલાકાતથી મહારાષ્ટ્રમાં ૧.૩૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.
રાજ્ય સરકારને પણ કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહકાર છે, જેથી રેલવે અને મેટ્રોનાં પેન્ડિંગ પ્રોજેક્ટમાં ગતિ આવી છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. એક્સ્પો અંગે કહ્યું હતું કે આવા એકપોને કારણે લોકોને પોતાની પસંદનું ઘર મળવાનો વિકલ્પ મળે છે, જે આવકાર્ય બાબત છે અને CREDAI MCHI Thaneનો પણ તેમને આભાર માન્યો હતો.
ક્રેડાઈ એમસીએચઆઈ (થાણે) દ્વારા આયોજિત ચાર દિવસના પ્રોપર્ટી એક્સ્પો (૨૦૨૩)નો સોમવારે ચોથો દિવસ હતો ત્યારે અહીંનાં કાર્યક્રમમાં થાણેનાં વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક, PWD minister રવીન્દ્ર ચવ્હાણ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. જોકે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અહીંના એક્સપોમાં હાજર રહ્યા ત્યારે લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા.
અહીંનાં એક્સ્પોમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં તેઓ થાણેમાં ઘર ખરીદવાના છે તેથી કપિલ દેવ થાણેવાસી બનવાના હોવાને કારણે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા એમએમઆરડીએનાં કમિશનર એસ શ્રીનિવાસને કહ્યું હતું કે એશિયામાં સૌથી પહેલી ટ્રેન ચાલુ થવાનું સન્માન થાણે ધરાવે છે, જે આજે સૌથી મોટું અને વિકસિત શહેરનું સન્માન ધરાવે છે.
મેટ્રોના કામકાજ સાથે સાથે થાણે શહેરમાં ૧૨ મોટા જમ્બો પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેના અમલીકરણથી થાણેનો જ નહિ આખા રિજનનો વિકાસ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં મુંબઈમાં સમગ્ર MMR રિજનમાં ૧૨ મેટ્રોનું કામકાજ પૂરપાટ વેગે ચાલી રહ્યું છે, જે પૂરું થવાથી નાગરિકોની સમસ્યાનો અંત આવશે એ નક્કી છે.
કાર્યક્રમની શરૂઆત કરતા CREDAI MCHI Thaneના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે અહીંયા આજે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં લગભગ ૩૫૦થી વધુ લોકો હાજર રહેશે, જે લોકોને ખાસ કરીને થાનેની વિકાસગાથાથી વાકેફ કરાશે અને આગામી દિવસો નિર્માણ થનારા ઇન્ફ્રાસ્ટ્રકચર કામકાજની ચર્ચા કરવામાં આવશે.