વડા પ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને બે લાખની સહાયની જાહેરાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવસારી જિલ્લામાં વર્ષના છેલ્લા દિવસે અકસ્માતની ઘટના બની હતી. વલસાડથી ભરૂચ જતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદીને અમદાવાદથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી. જેમાં નવ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૩૦ જેટલા લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને બે-બે લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ નવસારી જિલ્લામાં શનિવારે વહેલી સવારે વલસાડથી ભરૂચ જતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવમાં ભાગ લઇને પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર નવ પૈકી આઠ લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ નવ લોકોનાં મોત થયાં હતાં. જેમાં નીતિન પાટીલ (ઉં.વ. ૩૦ રહે. ભરૂચ, કારનો ડ્રાઈવર), જયદીપ પેથાણી (ઉં.વ. ૨૫ રહે. ભાદાજાળિયા, ધોરાજી, રાજકોટ), જયદીપ ગોધાણી (ઉં.વ. ૨૪ રહે. નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ), ધર્મેશ શેલડિયા (ઉં.વ. ૨૪ રહે. ગુંદાળા, રાજકોટ), જગદીશ રસિકભાઈ દૂધાત (ઉં.વ. ૩૫ રહે. પ્રજવિલા બંગલો, અંકલેશ્ર્વર, ભરૂચ), મયૂરકુમાર વવૈયા (ઉં.વ. ૨૩ રહે. ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ), નવનીત ભદીચદરા (ઉં.વ. ૩૯ રહે. નાયવરનગર, નાના વરાછા, સુરત), પ્રજ્ઞેશ વેકરિયા (ઉં.વ. ૨૩ રહે. પાણીની ટાંકી, રબાકિયા, રાજકોટ), ગણેશ ટંડેલ, રહે. રામનગર, કોલક ગામ, વલસાડ લક્ઝરી બસનો મુસાફર)નો સમાવેશ થાય છે. જ્યારે બસમાં સવાર ૩૦ મુસાફરો ઘાયલ થયા હતા જેમને નવસારી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ૧૧ ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે જેઓ અમદાવાદ ખાતેના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં બસમાં સવાર કેટલાક મુસાફરને હાર્ટ-એટેક પણ આવ્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લાપોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.