(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ કેન્દ્રીય અંદાજપત્રમાં રેલવેના વિવિધ પ્રકલ્પ માટે 2.40 લાખ કરોડનું ભંડોળ ફાળવ્યું હોવાની નાણા પ્રધાને જાહેરાત કરી હતી, જે પૈકી કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના પૈકીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આ વખતે સરકારે વિક્રમી ભંડોળ ફાળવ્યું હોવાનું કહેવાય છે.
અઢીથી ત્રણ કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચવાનું સપનું સાકાર કરવા માટે (બુલેટ ટ્રેનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ) કેન્દ્ર સરકારની સાથે એનએચઆરસીએલ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જેમાં ગુજરાતમાં પહેલા તબક્કાનું કામકાજ પાર પાડવા જોરદાર કમર કસવામાં આવી રહી છે ત્યારે આ મહેનતને રંગ લાવે એવા સમાચાર જાણવા મળ્યા છે. કેન્દ્રીય અંદાજપત્રમાંથી ખાસ કરીને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 19,000 કરોડથી વધારે ફંડની ફાળવણી કરી છે. અલબત્ત, સરકારે સૌથી વધારે ભંડોળની ફાળવણી કરી છે, જે કદાચ અત્યાર સુધીનું સૌથી વધારે ભંડોળ હોઈ શકે છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
કેન્દ્રીય નાણા પ્રધાને રજૂ કરેલા બજેટમાંથી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ને 19,592 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગયા વર્ષે પાંચ હજાર કરોડ ફાળવ્યા હતા. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રકલ્પનું મોટાભાગનું કામ પૂરપાટ વેગે હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં 140 કિલોમીટરના સ્ટ્રેચમાં પિલરનું કામકાજ પાર પાડવામાં આવ્યું છે, જ્યારે સાર્વત્રિક રીતે જોવામાં આવે તો પ્રોજેક્ટમાં જમીન અધિગ્રહણનું કામકાજ પણ 98.88 ટકા પાર પાડવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી 99 ટકા અને મહારાષ્ટ્રમાંથી કુલ 425 ટકા જમીન અધિગ્રહણ કરવામાં આવી છે, એમ એનએચએસઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈથી અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડની બુલેટ ટ્રેન દોડાવવાના પ્રકલ્પનું વિવિધ તબક્કાનું કામકાજ હાઈ સ્પીડથી ચાલી રહ્યું છે, જેમાં 508 કિલોમીટરના કોરિડોરમાં મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર, ગુજરાતમાં 348 કિલોમીટર અને દાદરા નગર હવેલીમાં ચાર કિલોમીટરનો વિસ્તાર આવેલો છે. મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર બીકેસીથી શિલફાટા વચ્ચે અંડરગ્રાઉન્ડ છે, જ્યારે બાકી 135 કિલોમીટરનો વિસ્તાર એલિવેટેડ છે. અલબત્ત, મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવ્યા પહેલા બિલિમોરાથી સુરતની વચ્ચે દોડાવવાની યોજના છે.