હાશકારો!: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલો હિમાલયા પુલ પર ૧૨૦ ટન વજનના ગર્ડર નાખવાનું કામ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટુંક સમયમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલો હિમાલયા પુલ મુંબઈગરા માટે ખુલ્લો મુકાવાનો છે. પુલ માટે ગર્ડર નાખવાનું કામ શનિવારે મધરાત બાદ હાથ ધરવામાં આવ્યું હતું, જે રવિવારે વહેલી સવારના પૂરું કરવામાં આવ્યું હતું. પાલિકાના પુલ ખાતા દ્વારા શનિવાર મોડી રાતના ૧૨૦ ટનથી પણ વધુ વજનના આ ગર્ડર નાખવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મુંબઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લીધા બાદ મોડી રાતથી વહેલી સવાર સુધી આ કામ ચાલ્યું હતું.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં હિમાલયા પુલને ખુલ્લો મૂકવાની યોજના છે. પુલના બાંધકામ માટે ૧૨૦ ટનના પાંચ ગર્ડર ઓડિસાથી લાવવામાં આવ્યા હતા. સ્ટેનલેસ સ્ટીલના આ ગર્ડરોનું આયુષ્ય ૧૦૦ વર્ષ સુધીનું હશે.
નવેસરથી બંધાઈ રહેલો હિમાલયા પુલ અગાઉ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ખુલ્લો મૂકવામાં આવવાનો હતો. જોકે, કામમાં આવેલી અમુક અડચણોેને કારણે તેમાં વિલંબ થયો છે અને હવે આ પુલનું બાંધકામ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં પૂરું કરીને તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ પુલ માટેના ગર્ડર નખાઈ ગયા છે. હવે તેના પર સિમેન્ટના સ્લેબ નાખવાનું કામ હાથ ધરવામાં આવશે. એક ગર્ડરની લંબાઈ ૩૫.૨૧૧ મીટર જેટલી છે. આ કામ ફેબ્રુઆરી અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે.
નોંધનીય છે કે હિમાલયા પુલનો અમુક હિસ્સો માર્ચ, ૨૦૧૯માં તૂટી પડયો હતો, જેમાં સાતનાં મોત થયાં હતાં અને ૩૦ જખમી થયા હતા. આ દુર્ઘટના બાદ પુલ નવેસરથી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્લાન મુજબ હિમાલયા પુલ સ્ટેનલેસ સ્ટીલથી બાંધવામાં આવી રહ્યો છે, તેથી તેમાં વર્ષો સુધી કાટ લાગશે નહીં.