મુંબઈઃ દાદર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈગરાઓને રાહત આપતી ઘોષણા કરતાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં 60-70 લાખ કાર મુંબઈના રસ્તા પરથી ગાયબ થઈ જશે અને મુંબઈગરાને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.
એમએમઆર રિજનમાં 337 કિલોમીટરનું મેટ્રોનું નેટવર્ક વિકસાવવાનું અમારું લક્ષ્ય છે, જેને કારણે મુંબઈ અને આસપાસના શહેરો એકબીજા સાથે જોડાશે. આ મેટ્રો નેટવર્કને કારણે મુંબઈના રસ્તા પરથી 60થી 70 લાખ પ્રાઈવેટ કાર રસ્તા પરથી ઓછી થઈ જશે અને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળશે, એવી મહત્ત્વની જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી હતી.
મેટ્રો પ્રકલ્પ શરૂ થઈ જતાં લોકો મેટ્રોમાં જ પ્રવાસ કરશે. આ એક હકીકત છે અને આ જ કારણ છે કે અમે લોકો મેટ્રો બાબતના નિર્ણયો તાત્કાલિક લીધા છે. નિર્ણયો લેવા માટે સાહસ જોઈએ અને અમે લોકોએ એ સાહસ ખેડ્યું છે એવું પણ શિંદેએ વધુમાં ઉમેર્યું હતું.
દાદર ખાતે યોજાયેલા એક કાર્ય્ક્રમમાં હાજરી આપવા પહોંચેલા સીએમ એકનાથ શિંદેએ મુંબઈગરાને રાહત આપવા માટે ભવિષ્યમાં મેટ્રોનું નેટવર્ક વિકસાવવામાં આવશે અને તેને કારણે રસ્તા પરનો ટ્રાફિક પણ ઘટશે એવું જણાવ્યું હતું.
એટલું જ નહીં તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમારી સરકાર વિકાસને મુંબઈ પૂરતો જ મર્યાદિત નથી રાખવા માગતી અને પાલઘર સુધી આ વિકાસ પહોંચે એ માટે અમારી સરકાર કામ કરી રહી છે. હાલમાં મુંબઈમાં અનેક ઠેકાણે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. હવે લોકો મેટ્રોના રૂટ પર ટ્રાવેલ કરવા માટે પ્રાઈવેટ કાર નથી વાપરતા. ટૂંક સમયમાં જ મેટ્રો થ્રી શરૂ થશે અને એનો ફાયદો પણ લાખો મુંબઈગરાને થશે.