રાજકોટઃ ગુજરાતમાં હેલ્થ પરમિટ ધારકોની તંત્ર દ્વારા કરવામાં આવતી છેતરામણી અંગે મુંબઈ સમાચારના ગુરુવારના અંકમાં પ્રકાશિત થયેલા વિસ્તૃત અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું. અમને મળતી માહિતી અનુસાર હેલ્થ કમિશન દ્વારા મૌખિક રીતે રોગી કલ્યાણ સમિતિના હિસાબોને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેને લઈ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પંકજ ડેથરિયા અને તેમની ટીમ કામે લાગી હોવાનુ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેમને આગામી બે દિવસમાં અહેવાલ હેલ્થ કમિશનને આપવાનો છે. જોકે આ અહેવાલ જાહેર કરવામાં આવશે નહીં, પરંતુ આશા રાખીએ કે દરદના ઈલાજ તરીકે પરમિટ મેળવતા દરદીઓ પાસેથી ગેરકાયદે ઉઘરાવવામાં આવતા નાણાં અને આ નાણાંનો ગેરકાયદેસરનો ઉપયોગ બંધ થાય.
આ સવાલોના જવાબ તો સરકારે આપવાના બાકી છે:
મુંબઈ સમાચારે લીકર માટેની હેલ્થ પરમિટને લઈને હજુ તો માત્ર બે મુદ્દે સરકાર અને જનતાનું ધ્યાન દોર્યું છે. એક તો દરદી પાસેથી ફરજિયાતપણે લેવામાં આવતું દરદીઓ માટેનું ડોનેશન અને બીજું કે આ ડોનેશનની રકમ જ્યાં જમા થાય છે તે રોગી કલ્યાણ સમિતિના આર્થિક વ્યવહારો સહિતની કામગીરી. પણ હજુ આ મુદ્દે ઘણાં સવાલો છે, જેના સરકારે જવાબ આપવા જોઈએ.
બોટલ પર એમઆરપી શા માટે નહીં?
હેલ્થ પરમિટને લગતા ઘણા બધા એમ મુદ્દા છે, જેમાં વહીવટકર્તાઓની મેલી મુરાદ અથવા બેદરાકારી નજર સામે આવે છે. મોંઘીદાટ હેલ્થ પરમિટ લીધા બાદ લીકરની બોટલ લેવા જતો દરદી પાચો દંડાય છે. હાલમાં એમઆરપીવાળો મુદ્દો હાઈકોર્ટમાં છે, પણ નશાબંધી ખાતુ તો એવું કહે છે કે ખરીદી તથા વેચાણના બિલ પણ ચેક કરવાની તેમની સત્તા છે. પરંતુ દારૂ વેચાણ કરતા લોકો કેટલા ટકા નફો રળે છે તે કહેવા તેઓ તૈયાર નથી. મુદ્દો કોર્ટમાં હોવાથી નજીકના ભવિષ્યમાં કોઈ નિવેડો આવી શકે ત્યાં સુધી સો રૂપિયાનો માલ કદાચ બસો રૂપિયામાં વેચાય તો પણ નશાબંધી ખાતું કશું કરી શકે તેમ નથી. કોઈપણ વસ્તુ રોગ ની દવા તરીકે જ્યારે વહેંચાતી હોય ત્યારે તેની પર અધિકતમ વેચાણ કિંમત લખેલી હોય, પરંતુ આ એક એવી દવા છે કે જેમાં એમઆરપી લખેલી હોતી નથી. હા તેમની પાસે મેનુ કાર્ડ હોય છે, પરંતુ બોટલ પર કિંમત લખેલી હોતી નથી. આથી ગ્રાહક પાસે માંગે તે આપી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તે લખેલી હોતી નથી. છતાં કોઈ બોલવા, પુછવા વાળું નથી. દરેક ધંધાના નફાના ધોરણો સરકાર તરફથી નક્કી કરેલા હોય છે. આમાં પણ નક્કી કરેલા હશે.પરંતુ પરમિટ ધારકોને કોઈ માહિતી આપવામાં આવતી નથી.
આ સાથે નિયમ અનુસાર નશાબંધી ખાતા દ્વારા પરમિટદીઠ રૂ. ૪૦૦૦ અરજદાર પાસેથી વસૂલવામાં આવે છે, તેમાં રૂ. ૨૦૦૦ સિવિલ હોસ્પિટલના પણ સામેલ હોય છે. આથી સિવિલ હોસ્પિટલને ચેક અપ કરી હેલ્થ પરમિટની મંજૂરી આપવા અંગે રૂ. ૨૦૦૦ ફીપેટે આપવાના હોય છે, પરંતુ આ નાણાં નશાબંધી ખાતા દ્વારા જ ઉઘરાવવામાં આવે છે. એક જ અકાઉન્ટમાં રૂ. ૪૦૦૦ જમા થતા હોય છે ત્યારે નશાબંધી ખાતું સિવિલ હોસ્પિટલોને આપે છે કે નહીં, તે મામલે કોઈ સ્પષ્ટતા નથી. પોતાના હકના પૈસા ઉઘરાવવામાં હોસ્પિટલો રસ લે છે કે નહીં, તે ખબર નથી, પરંતુ દરદીઓને ખંખેરવામાં આવે છે, તે વાત નક્કી છે.