વડોદરા વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠધિસ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. તેમને હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 11.45 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી તમામ વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી છવાઈ ગઇ છે. બપોરે 2 કલાકે પાર્થિવ દેહને દર્શન માટે બેઠક મંદિર કેવડાબાગ ખાતે મૂકવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમારજી ચાર વેદ, સંસ્કુત વ્યાકરણમાં નિષ્ણાંત હતા. સંસ્કૃતમાં તેમણે હજારો શ્લોકની રચના કરી હતી. વ્રજેશકુમારજી મહારાજશ્રીની ચારે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત જેવા સનાતન હિંદુ ધર્મના મૂળ ગ્રંથો પર અતુલનીય મેધાવી પકડ હતી. તેઓ પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા. તેઓએ કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. તેમના નિધનથી વૈષ્ણવ સંપ્રદાયમા શોકનું મોજુ ફરી વળ્યું છે. પુષ્ટિ સંપ્રદાય માટે તો એક યુગ આથમી ગયો એવી દુઃખદ બિના છે. તેઓ સરકારશ્રીના હુલામણા નામથી ભક્તોમાં પ્રિય હતા.