મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 135 જણના પરિવારનું દુઃખ તો ક્યારેય દૂર નહીં થાય, પરંતુ તેને થોડી રાહત મળે તેવા સમાચાર છે. સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાના આદેશ આપ્યા છે. 52 સભ્યની પાલિકા સુપરસીડ કરવામાં આવી છે અને હાલમાં અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને વહીવટ સોંપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આ નિણર્ય લેવામાં આવ્યો હતો. આ પુલના સમારકામ, જાળવણી, સંચાલનના હક ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યા હતા. પાલિકાની આ તમામમાં મહત્વની ભૂમિકા હતી. આ સાથે પુલ પૂરતી સાવધાની વિના ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ પણ પાલિકાએ કોઈ પગલાં લીધા ન હતા અને પાલિકાએ જ સ્વીકાર્યું હતું કે તેમની જાણ બહાર આમ કરવામાં આવ્યું હતું.
30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ દેશભરને હચમચાવી મૂક્યો હતો. પુલના નવીનીકરણ બાદ ખુલ્લા મૂકાયાના ગણતરીના દિવસોમાં બનેલી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ગંભીરતાથી લીધો હતો. . ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી. સૂઓમોટો અને પીએલઆઇના મુદ્દે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી.
મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ જોવા મળી રહી હતી. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું હતું.