ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવાની ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આ અવકાશયાન યુએન રાવ સેટેલાઇટ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ ક્યારે કરવામાં આવશે એની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લોન્ચ કરવાનું પ્લાનિંગ છે. જે લેન્ડિંગ સાઇટની નજીકમાં ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો લઈને જશે.
બેંગલુરુ સ્થિત રાષ્ટ્રીય અવકાશ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે જો બધું બરાબર રહેશે તો તો ચંદ્રયાન-3 જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. ઈસરોના અધિકારીઓએ જણાવ્યું છે કે આ વર્ષે માર્ચમાં ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સાથે સંબંધિત જરૂરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને શક્તિ આપતા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ લેન્ડરનું મુખ્ય પરીક્ષણ EMI/EMC પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
ચંદ્રયાન-3 યાન એ ભારતના ચંદ્રયાન પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે આ ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણ કરશે. તે ચંદ્રયાન-2 જેવું જ દેખાશે અને તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર પણ હશે. મિશન મૂન પ્રોગ્રામનું ત્રીજું અવકાશયાનને શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ભારતના સૌથી ભારે લોન્ચ વ્હીકલ GSLV Mk III સાથે લોન્ચ કરવામાં આવશે.
ઈસરોના વડાએ તાજેતરમાં જ જણાવ્યું કહ્યું હતું કે, ચંદ્રયાન-3નો પ્રાથમિક ઉદ્દેશ્ય એકદમ બેસ્ટ લેન્ડિંગ છે. જેના માટે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નવા ટૂલ્સનું નિર્માણ, બહેતર અલ્ગોરિધમ્સ બનાવવા તેમજ નિષ્ફળતાના મોડની કાળજી લેવાનો સમાવેશ થાય છે.