ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
દેશભરનાં જંગલોમાં અવનવાં પક્ષીઓને મેં કેમેરામાં કંડાર્યાં છે પણ એથીય વિશેષ મેં તેમને નિહાળ્યાં છે. શિયાળો આવે કે પક્ષીજગતના ભીષ્મ પિતામહ ગણી શકાય એવા ડૉ. સલીમ અલીને યાદ કરવા ઘટે જ. મારો સહુથી પ્રિય રાષ્ટ્રીય ઉદ્યાન “કિઓલાદેવ નેશનલ પાર્ક ભરતપુરને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાનો સંપૂર્ણ શ્રેય ડૉ. સલીમ અલીને જાય છે. આ ઉપરાંત ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ એમનો ખૂબ જ મોટો ફાળો છે. ગુજરાતના પક્ષી જગતને તેમની નજરથી નિહાળ્યા પછી કુદરતનું સર્જન કેટલું અદ્ભૂત હોઈ શકે છે તેવા નિષ્કર્ષની લગોલગ તો પહોંચી જ શકાય. ડૉ. સલીમ અલીએ લખ્યું છે કે “યેલો થ્રોટેડ સ્પેરો એમના જીવનનો મુખ્ય ટર્નિંગ પોઇન્ટ હતો અને એટલે જે એમની આત્મકથાનું નામ પણ “ધી ફોલ ઓફ સ્પેરો છે જેમાં પંખીઓ વિશેનાં રસપ્રદ તારણો એમણે લખ્યાં છે અને દસ વર્ષની ઉંમરથી તેઓની ડાયરી લખવાની આદતે જ આવી સરસ ભેટ આપણને આપી છે. ખૂબ જ નાની ઉંમરે માતાપિતાની છત્રછાંયા ગુમાવી દેનાર આ મહાન વ્યક્તિની પક્ષીઓ પ્રત્યેની જિજ્ઞાસા જ એમની બંદૂકથી છૂટેલી ગોળીએ કેળવી હતી. શિકારમાં રસ ધરાવતા ડૉ.સલીમ અલીની બંદૂકથી “યેલો થ્રોટેડ સ્પેરો મરાઈ અને એ પક્ષીની સુંદરતાને જોઈને દુ:ખી થયેલા સલીમ અલીએ એ પક્ષીને ઉઠાવી લીધું અને પોતાના મામા પાસે પક્ષી વિશેની જિજ્ઞાસા રજૂ કરી જે એમના મામા ના સંતોષી શક્યા અને મુંબઈમાં BNHS સુધી દોડી ગયા અને આપણને પક્ષીઓની દુનિયાના ભીષ્મ પિતામહ એવા ડૉ. સલીમ અલી મળ્યા. BNHS માં મૃત પક્ષીઓનાં સંગ્રહાલયમાં માર્ગદર્શક તરીકે નોકરી કરતા કરતા એમની પક્ષીઓ પ્રત્યેની જિજ્ઞાસા તેમને જર્મની સુધી ખેંચી ગઈ. ત્યાર બાદ તેઓએ પક્ષીઓને નિહાળવામાં ક્યારેક પાછા ફરીને જોયું નથી જેથી તેઓ પક્ષીઓના વિશ્ર્વકોશ તરીકે ઓળખાય. પદ્મવિભૂષણ એવા ડૉ. સલીમ અલીએ એમને મળેલું રૂ.૫ લાખનું આંતરરાષ્ટ્રીય ઇનામ પણ BNHS ને સમર્પિત કરી દીધું. તેઓએ પોતાના જીવનના રોચક કિસ્સાઓ અને પક્ષીઓનાં સંસર્ગમાં વિતાવેલાં વર્ષોનાં નિચોડને એક પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો જે “ઘી ફોલ ઓફ સ્પેરો નામે પ્રસિદ્ધ થયું.
આ સૃષ્ટિના સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર અને આકાશ પર લાખો વર્ષોથી લઈને આજની ઘડી સુધી પક્ષીઓ રાજ કરતાં આવ્યાં છે. વસંત ઋતુ ખીલે કે આ પક્ષીઓ મુસાફરની માફક ધરતીના એક છેડેથી બીજા છેડા સુધી લાંબી મુસાફરીનો આરંભ કરે છે અને પતઝડની મોસમ બેસતા જ ફરી એ જ રસ્તે પરત ફરે છે, જેનું એક માત્ર કારણ છે પોતાના જીવનના અસ્તિત્વને ટકાવી રાખવું. જીવનનાં દરેક પાસાઓનો ખૂબ જ ઓછા સમયમાં અનુભવ કેળવીને કોઈ પણ જાતના સ્વાર્થ વિના બધી જ હકારાત્મક અને નકારાત્મક શક્યતાઓને તેઓ પોતાની આગલી પેઢીને શીખવે છે. આ જ પક્ષીઓ સરળ અને સફળ લાંબી એટલે કે હજારો માઈલની મુસાફરી માટેની વ્યૂહ રચનાને દરેક સાથીદારોના મગજમાં ઠસ્સાવી દે છે અને સઘળાં પક્ષીઓ એક સાથે મુસાફરી આદરે છે.
મુસાફરીનો મુખ્ય હેતુ જીવનને ટકાવી રાખવાનો જ હોય છે જેમાં અમુક વિસ્તારોનું તાપમાન શિયાળામાં ખૂબ જ ઘટી જાય છે જેથી જીવી શકાય તેવી પરિસ્થિતિ નથી હોતી, એ સિવાય ખોરાક પણ પૂરતો ન મળી રહે જેથી તેઓ ધરતીના એવા વિસ્તારોમાં માઈગ્રેશન કરે છે જ્યાં યોગ્ય વાતાવરણ મળી રહે, સુરક્ષિત જીવન જીવી શકે. વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિવિધ પ્રકારની મુસાફરી કરે છે. મોટાભાગનાં પક્ષીઓ રશિયન અને યુરોપિયન દેશો જેવા વિસ્તારમાં તાપમાન નીચે જતા તેઓ ધરતીના દક્ષિણી પ્રદેશો જેવા કે એશિયાઈ દેશો તરફ મુસાફરી આદરે છે તો વળી આર્કટિક ટર્ન પોતાના આર્કટિક બ્રીડિંગ ગ્રાઉન્ડથી છેક એન્ટાર્કટિકા સુધી હજારો માઈલ લાંબી મુસાફરી કરે છે. કેટલાંક પક્ષીઓ લોકલ માઈગ્રેશન કરે છે જેઓ એક તળાવથી બીજાં તળાવ કે એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ મુસાફરી કરે છે. નવરંગ તરીકે ઓળખાતું પક્ષી દક્ષિણ ભારતથી ગુજરાત અને છેક હિમાલયની તળેટીના વિસ્તારો સુધીની મુસાફરી કરે છે. ફોરેસ્ટ સ્ટાર્લિંગ નામનું પક્ષી અરુણાચલ પ્રદેશ એટલે કે દેશના પૂર્વીય વિસ્તારમાંથી હિમાલયની તળેટીમાં આવેલા કુમાઉં વિસ્તાર તરફ મુસાફરી કરે છે. કુદરતની અદ્ભૂત રચના એવા પક્ષીઓનાં વર્તનને કળવું ખૂબ જ અઘરું છે. અમુક પક્ષીઓ પેસેજ માઈગ્રેશન કરે છે જેમાં સમજી લો કે નાના વેકેશન પર ન આવ્યાં હોય! આફ્રિકન પ્રદેશો, રશિયન અને યુરોપિયન પ્રદેશોમાંથી કચ્છના મોટા રણમાં આવેલ છારીઢંઢમાં ટૂંકા સમયગાળા માટે રોકાય છે અને ફરી પોતાની મુસાફરી આદરે છે. માઈગ્રેશન કરવા માટે પક્ષીઓ આકાશમાં ચોક્કસ પ્રકારના રસ્તાઓનો ઉપયોગ કરે છે જે આપણા હાઈવેની માફક જ અલગ અલગ દિશાઓમાં રચાયેલા છે જે ફ્લાય-વે તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ રસ્તાઓ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતા હોય છે. પક્ષીઓ પોતાની સુરક્ષા, જે તે સ્થળનું વાતાવરણ અને પૂરતા પ્રમાણમાં ખોરાક-પાણી મળી રહે તેવા વિસ્તારોને આવરીને ધરતી પર કુલ આઠ જેટલા ફલાય-વેનો ઉપયોગ કરે છે જેમાં ભારત દેશમાં અલગ અલગ ત્રણ ફલાય-વે પસાર થાય છે જે એશિયન-ઇસ્ટ આફ્રિકન ફ્લાય-વે,સેન્ટ્રલ એશિયન ફ્લાય-વે અને એશિયન-ઇસ્ટ ઑસ્ટ્રેલેશિયન ફ્લાય-વે તરીકે ઓળખાય છે. આ ફલાય-વેનો ઉપયોગ કરીને ૩૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓ ભારત દેશમાં શિયાળો પસાર કરવા માટે વિશ્ર્વના વિવિધ ખૂણેથી આવે છે. સહુથી વધારે સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેનો ઉપયોગ કરીને મોટા ભાગનાં પક્ષીઓ સાઈબીરિયા જેવા પ્રદેશોમાંથી હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરફ મુસાફરી કરે છે.
પક્ષીઓનું મુસાફરી પાછળનું વિજ્ઞાન ઘણું જ રસપ્રદ છે, પક્ષીમાં કુદરતે એટલી અદ્ભુત રચના આપી છે કે તેઓ તાપમાનમાં જરાક જેટલો બદલાવ અનુભવશે કે એમનામાં હોર્મોનલ શારીરિક ફેરફારો આવવા લાગશે અને તેઓ માઈગ્રેશનની શરૂઆત કરશે. તેઓનું શરીર તાપમાનને ખૂબ જ સારી રીતે નિયમન કરી શકે તેવી ક્ષમતા નથી ધરાવતું હોતું પણ યોગ્ય તાપમાનને પારખી શકે અને માઈગ્રેશનના ચોક્કસ સમયને પારખી શકે તેવું ચોક્કસ હોય છે એટલે જ તેમના માટે માઈગ્રેશન ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય દિશામાં વહેતા પવનનો ઉપયોગ કરીને તેઓ મુસાફરી કરે છે જેથી ઓછામાં ઓછી તાકાત લગાવીને તેઓ વધુમાં વધુ અંતર ખૂબ ઓછા સમયમાં કાપી શકે. ઘણાં ખરાં પક્ષીઓ રાત્રે પણ મુસાફરી શરુ રાખે છે જ્યારે કઝાકિસ્તાનથી આવતા કુંજ માત્ર દિવસે જ ઉડાન ભરે છે અને રાત્રે યોગ્ય સ્થળે આરામ કરે છે, એમ કરતા કરતા તેઓ ૧૦-૧૨ દિવસમાં આશરે ૪૫૦૦ કિમી સુધીની મુસાફરી કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉતરાણ કરે છે. કુંજ પક્ષીઓમાં મોટાભાગે વડીલ કુંજ હોય જ છે જે માર્ગદર્શક બની રહે છે. રાત્રિના સમયે મુસાફરી કરતા પક્ષીઓ મોટાભાગે તારાઓ અને નક્ષત્રોનો ઉપયોગ માર્ગદર્શક તરીકે કરે છે જેથી તેઓ વાદળોથી પણ ઉપરના વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે. ગાર્ગને એટલે કે ચેતવા નામનું પક્ષી ૪૦ દિવસ સુધી ખોરાક પાણી વિના સતત ઊડતું રહે છે. બાર ટેઇલ્ડ ગોડવિટ એટલે કે પટાપૂછ ગડેરા સતત ૧૪૦૦૦ કિમી સુધી ન્યુઝીલેન્ડ સુધીની નોનસ્ટોપ ઉડાન ભરીને મુસાફરી કરે છે. પક્ષીઓની શારીરિક રચના એટલી વિશિષ્ટ હોય છે કે તેઓનાં હાડકાં પણ હવાને જાળવી રાખવામાં મદદ કરે છે પરિણામે વજનમાં તેઓ ખૂબ જ હલકાં હોય છે અને સરળતાથી ઊડી શકે. ગમે તેવા ઠંડા તાપમાનમાં પોતાના શરીરની ગરમી ટકાવી રાખવા માટે પીંછાની નીચેના ભાગમાં વિશિષ્ટ પ્રકારનાં મુલાયમ વાળ હોય છે જેથી તેઓ ખૂબ નીચા તાપમાન સામે સંઘર્ષ કરી શકે. રાજહંસ તરીકે ઓળખાતાં પક્ષીઓ હિમાલયના ઉત્તંગ પહાડોને ઓળંગીને વિશ્ર્વની સહુથી ઊંચી ઉડાન ભરીને ભારત અને ગુજરાતનાં વિવિધ જળપ્વલિત ક્ષેત્રો તરફ આવે છે એ જ રીતે ભગવી સુરખાબ પણ હિમાલયનાં સરોવરોમાંથી ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મુસાફરી કરે છે.
પક્ષીઓ સદીઓથી આ સૃષ્ટિ પર રાજ કરતા હોવા છતાં તેઓએ ક્યારેય કોઈ જ વિસ્તાર પર આધિપત્ય જમાવ્યું નથી કે અતિક્રમણ કર્યું નથી. લાંબી મુસાફરી કરીને મહેમાન બનતા આ નિર્દોષ અને સુંદર પ્રજાતિઓ માટે માનવ હંમેશાં નડતર રૂપ જ બન્યો છે. સમુદ્ધ દેખાવાની હોડમાં બનાવાયેલા આધુનિક ગગનચુંબી ઇમારતોના કાચની પેનલ મોટાભાગનાં યાયાવર પક્ષીઓને દિશાભ્રમ કરાવીને જીવનું જોખમ સર્જે છે. ગુજરાતથી રાજસ્થાનના વિસ્તારમાં આવેલ પવનચક્કીઓ આવાં પક્ષીઓનાં માથે તોળાતો સહુથી મોટો ખતરો છે જેને આપણે આપણા ગૌરવસમા પક્ષી એવા ઘોરાડનાં અસ્તિત્વના સંઘર્ષમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.નજીકના જ ભવિષ્યમાં ગુજરાતની શાન એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ માટે અને બંગાળ ફ્લોરિકન માટે પણ ભારતમાં નામશેષ શબ્દ લાગી જાય તો નવાઈ નહિ. માનવીની પર્યાવરણમાં દખલ કેટલો મોટો બદલાવ લાવી શકે એનું વરવું ઉદાહરણ સાઈબીરિયન ક્રેન કહી શકાય. સાઈબીરિયન ક્રેનની હકીકત ચોંકાવનારી અને હૃદયદ્રાવક છે. વિશ્ર્વપ્રસિદ્ધ અને નામશેષ થવાના આરે આવી ગયેલા સાઈબીરિયન ક્રેન એક સમયે ભારતભરમાં ખાલી અહીંયા જોવા મળતા હતા. આ જગ્યાને પ્રકૃતિએ ખૂલીને રંગો ભર્યા છે અને પક્ષીઓના વિહાર માટે ખૂબ જ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડ્યું અને વિશ્ર્વભરનાં પક્ષીઓએ અહીં પોતાનું ઘર શોધી લીધું. માણસોના આવતા પહેલાં વર્ષોથી ભારતમાં આ જગ્યા સાઇબિરીયન ક્રેનનું ઘર “હતું. ૧૭મી સદીના ઐતિહાસિક ચિત્રકાર ઉસ્તાદ મન્સુરે એ વખતે જૂના એક ચિત્રમાં સાઈબીરિયન ક્રેનને અહીં મહાલતા દર્શાવ્યાં હતાં. ૧૯૬૪-૬૫ના વર્ષ દરમ્યાન આશરે ૨૦૦ જેટલાં સાઈબીરિયન ક્રેન અહીંયા જોવા મળ્યાં હતાં એવું લોરેન્સ એચ. વોકિંશોએ પોતાની બુક “ક્રેન્સ ઓફ ધ વર્લ્ડ – ૧૯૭૩માં નોંધેલું જે સહુથી મોટી સંખ્યા કહી શકાય. ૯ નવેમ્બર ૨૦૦૧ની સવારે ૮-૩૦ આસપાસ કેટલાક નેચર ગાઈડને સાઈબીરિયન ક્રેનનો કોલ સંભળાયો. પાર્કમાં સાઇબીરિયન ક્રેનની હાજરી ન હોઈ આશ્ચર્યમાં ગરકાવ સહુ કોઈએ આકાશ તરફ મીટ માંડી અને એક સાઈબીરિયન ક્રેનની જોડી પાર્ક તરફ આવતા નજરે ચઢી એ દિવસે સહુ કોઈના મોઢે હર્ષની લાગણી હતી કે ભારતપુરમાં સાઈબીરિયન ક્રેન આવી ગયા પણ આ છેલ્લી સાઈબીરિયન ક્રેનની એક જોડીએ ભારતને હંમેશાં માટે અલવિદા કહી દીધું અને તેઓ ભારતમાંથી નામશેષ થઇ ગયાં. ૨૦૦૧ પછી આજ સુઘી ભારત દેશે સાઇબિરીયન ક્રેન ક્યારેય જોયા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેઓ ભારત આવશે પણ નહિ. આજે સમગ્ર વિશ્ર્વમાં વિનાશના આરે આવીને ઉભેલા સાઈબીરિયન ક્રેન માત્ર બે જ સ્થળે જોવા મળે છે જેમાં એક પૂર્વીય( સાઇબીરિયાથી ચાઈના) વિસ્તાર અને પશ્ર્ચિમી વિસ્તાર, પૂર્વીય વિસ્તારના ક્રેન્સ ઉત્તર-પૂર્વીય સાઇબિરિયામાં બ્રીડિંગ કરે છે અને ચાઈનાની યાન્ગઝે નદીમાં શિયાળો પસાર કરે છે. સાઇબીરિયાના પશ્ર્ચિમી વિસ્તારના જૂજ રહેલા ક્રેન્સ ઇરાનના કાસ્પિયન સમુદ્રના કિનારા વિસ્તારોમાં શિયાળો વિતાવે છે અને રશિયાની ઓબ નદીના દક્ષિણમાં આવેલ ઉરલ માઉન્ટેન વિસ્તારમાં બ્રીડિંગ કરે છે. સાઈબીરિયન ક્રેન ખૂબ જ ઝડપથી આ દુનિયામાંથી લુપ્ત થવાની કગાર પર આવી પહોંચ્યા. મધ્ય સાઇબીરિયામાં બ્રીડિંગ કરતી અને ભારતમાં શિયાળો ગાળવા માટે આવતી ક્રેન્સની વસ્તી આજે વિલુપ્ત થઇ ગઈ છે. આ સાઈબીરીયન ક્રેનનો સમૂહ વિલુપ્ત થવાનું કારણ પણ માણસ છે. તેઓનો માઈગ્રેશન રૂટ સાઇબિરિયાથી નીકળીને રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને છેલ્લે પાકિસ્તાન થઈને ભારત આવતો હતો. તેઓ અફઘાનિસ્તાનમાં અબી -ઈ-ઇસ્તદા લેક પર થોડા દિવસો માટે આરામ કરવા માટે રોકાતા હતા અને દર વર્ષે તેઓ અહીં શિકારનો ભોગ બનતા હતા પરિણામે વર્ષોવર્ષ એમની સંખ્યામાં ઘટાડો થતો ગયો અને છેલ્લે તેઓ આ રૂટ પર આવતા કાયમ માટે બંધ થઇ ગયા અથવા તો તેઓનું અસ્તિત્વ જ ના રહ્યું.
તાજેતરમાં જ ભારત દેશમાંથી ૨૦૨૨માં ૨૬ નવી અલગ અલગ સાઇટ્સને રામસર સાઇટ્સમાં સમાવવામાં આવી જેમાંથી ત્રણ સાઈટ ગુજરાતની વઢવાણા પક્ષી અભયારણ્ય, ખિજડિયા પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્ય છે. રામસરમાં સમાવેશ થનાર સાઈટ ગુજરાતમાં હોય એ ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિ સમાન ગણી શકાય. રામસર એટલે ઈરાનમાં આવેલ એક વિશાળ કુદરતી સરોવર. ૧૯૭૧માં યુનેસ્કો દ્વારા વિશ્ર્વભરમાં આવેલાં કુદરતી સરોવરો કે જે પક્ષીઓ અને અન્ય છીછરાં પાણી પર આધાર રાખનાર જીવસૃષ્ટિ માટે ઈરાનમાં આવેલા રામસર સાઈટનાં માપદંડ અનુસાર ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા અને એની જાળવણી માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યાં જે રામસર સાઈટ તરીકે ઓળખાશે-ઓળખવામાં આવશે. ભારત દેશમાં કુલ ૭૫ જેટલી રામસર સાઈટ આવેલી છે અને એની જાળવણી યુનેસ્કોની દેખરેખ હેઠળ જે તે રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.