એક સમય હતો કે જ્યારે મુંબઈગરાઓ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકલ ટ્રેન અને બેસ્ટની બસ એમ બે જ પર્યાય હતા, પણ હવે બદલાઈ રહેલાં સમયની સાથે સાથે તેમાં એક ત્રીજો વિકલ્પ ઉમેરાયો છે મુંબઈ મેટ્રોનો. મુંબઈગરાઓ મેટ્રોમાં પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આવા જ એક મેટ્રો-6 પ્રોજેક્ટ વિશે આપણે વાત કરવાના છીએ.
મુંબઈના પૂર્વ-પશ્ચિમ ઉપનગરોને જોડતા ‘મેટ્રો 6′ પ્રોજેક્ટના આગામી તબક્કાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ બાંધકામ સિવાયની સુવિધાઓની ગોઠવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ આ માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર મુંબઈગરા અને મેટ્રોના મુસાફરો માટે આ ચોક્કસ જ એક સારા સમાચાર હશે.
પૂર્વમાં વિક્રોલી અને પશ્ચિમમાં જોગેશ્વરી વચ્ચે મેટ્રો 6નું નિર્માણ થઈ રહ્યું છે અને આ રૂટ પર ઈસ્ટર્ન એક્સપ્રેસ વેથી સ્વામી સમર્થનગર સુધી મેટ્રો દોડાવવામાં આવશે. કુલ 15.31 કિમીની લંબાઈવાળા એલિવેટેડ રૂટમાં 13 સ્ટેશન હશે. આ માર્ગ મુખ્યત્વે હાલના જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR)ને સમાંતર ચાલશે. દરમિયાન આ માર્ગ મધ્ય રેલવેના વિક્રોલી અને પશ્ચિમ રેલવેના જોગેશ્વરી એમ બે સ્ટેશનો પરથી પસાર થશે. માર્ગ માટે જરૂરી એલિવેટેડ બ્રિજનું બાંધકામ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું હોવાથી સુવિધાઓ માટેની હિલચાલ તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે.
એમએમઆરડીએના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂટ સંબંધિત બાંધકામ 66 ટકા પૂર્ણ થઈ ગયું છે. પરંતુ કારશેડ માટે કાંજુરમાર્ગની જમીન મળી જતા હવે આગળની હિલચાલ ઝડપી બની છે. પરિણામે ટૂંક સમયમાં જ અન્ય સુવિધાઓના કામો શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત સ્ટેશનો પર પ્લેટફોર્મ સ્ક્રીન ડોર, કોમ્યુનિકેશન સિસ્ટમને લગતી સામગ્રી મંગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત ટ્રેન કંટ્રોલ રૂમ, સિગ્નલ સિસ્ટમને લગતી કામગીરી પણ શરૂ કરવામાં આવનાર હોવાથી તે સામગ્રી પણ મંગાવવામાં આવશે. તેના માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં એલિવેટેડ પ્રોજેક્ટ માટે જરૂરી બ્રિજનું બાંધકામ 71 ટકા પૂર્ણ થયું છે. તો આના પર 13 સ્ટેશનોનું બાંધકામ 51.50 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ મુજબ, પ્રોજેક્ટ સરેરાશ 66 ટકા પૂર્ણ થયો છે. બાકીના કામો 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવું આયોજન સત્તામંડળનું આયોજન છે.
આ મેટ્રો લાઇન પર ત્રણ માળનો ફ્લાયઓવર બનાવવામાં આવશે અને આ ફ્લાયઓવર અંધેરી વેસ્ટમાં લોખંડવાલા પાસેના એસએસ નગરથી JVLR પર પૂનમ વિહાર સુધી કુલ 4.750 કિમીની લંબાઈ ધરાવતો હશે. જેમાંથી 2.58 કિ.મી.માં રોડ, વાહનોનો ફ્લાયઓવર, મેટ્રો સ્ટેશન અને તેના પર મેટ્રો લાઇન હશે. લગભગ રૂ.350 કરોડના આ કામ માટે MMRDA પહેલેથી જ ટેન્ડર બહાર પાડી ચૂક્યું છે. રાજ્યના નાગપુરમાં આ પ્રકારનો ફ્લાયઓવર પહેલેથી જ કાર્યરત છે.
મેટ્રો-6 પ્રોજેક્ટની કોસ્ટ અને ડિટેઈલ્સ વિશે વાત કરીએ તો-
સ્ટેશનો: 13
કિંમત: રૂ. 6,772 કરોડ
શરૂઃ 2018
કારશેડ: 15 હેક્ટર