જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
पर्वतो मेरुरित्येष स्वर्णरत्न विभूषित: ।
सर्वज्ञ मन्दिरं चैतद् रत्नतोरणमण्डितम् ॥
અર્થ: હે દેવી! સ્વર્ણ અને રત્નથી અલંકૃત આ મેરૂપર્વત છે અને રત્નના તોરણથી સુશોભિત આ સર્વજ્ઞનું મંદિર છે.
इन्द्रियैर्न जितो नित्यं, केवलज्ञान निर्मलः ।
पारंगतो भवाम्भोधेर्यो लोकान्ते वसत्यलम ॥
અર્થ: હે દેવી! આ સર્વજ્ઞદેવ ઈન્દ્રિયોંના વિષયોથી ક્યારેય જીતાયા નથી. જેમને નિર્મળ કેવલજ્ઞાન છે અને જે ભવસાગરથી પાર થઈ ગયા છે. અને લોકના અગ્રભાગે -મોક્ષમાં નિવાસ કરે છે.
धर्म चक्रमिदं देवि ! धर्ममार्ग प्रवर्त्तकम ।
सत्त्वं नाम मृगस्योयं मृगी च करूणा मता ॥
અર્થ: હે દેવી ! આ ધર્મચક્ર છે જે ધર્મમાર્ગ ને પ્રવર્તાવનાર છે. આ સત્ત્વ નામનો હરણ છે અને કરુણા નામની હરણી છે.
यक्षोऽयं गोमुखो नाम, आदिनाथस्य सेवकः ।
यक्षिणी रूचिराकारा, नाम्ना चक्रेश्वरी मता ॥
અર્થ: આ શ્રી આદિનાથ-ઋષભદેવનો સેવક ગૌમુખ યક્ષ છે અને સુંદર આકૃતિવાળી યક્ષિણી ચક્રેશ્ર્વરી નામની દેવી લોકમાં પ્રસિદ્ધ છે. આ રીતે હિન્દુ શાસ્ત્રોમાં પણ શ્રી ઋષભદેવ પ્રભુના માહાત્મ્યને અદ્ભુત રીતે વર્ણવ્યું છે.
શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરતા વ્યાસજી મહારાજ લખે છે-
नित्यानुभूत निज लाभ निवृत्ति तृष्णः
श्रेयस्यतद्वचनया चिर सप्त बुद्धेः।
लोकस्य यः करूणाऽभयमात्मलोक-
माखयान्नमो भगवते ऋषभाय तस्मै॥
અર્થ: નિરંતર વિષય ભોગોની ઈચ્છા રાખવાના કારણે વાસ્તવિક કલ્યાણથી લાંબા સમય સુધી મૂર્છિત લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આત્મલોકનો સંદેશ આપ્યો અને જે પોતે હંમેશાં અનુભવ થવા વાળા આત્મસ્વરૂપની પ્રાપ્તિના કારણે સમસ્ત તૃષ્ણાઓથી મુક્ત છે તેવા ભગવાન ઋષભદેવને નમસ્કાર થાઓ.
મનસ્મૃતિનો એક સરસ પાઠ છે-
अष्टमो मरुदेव्यां तु, नाभेर्जात उरूक्रमः
અર્થ: મરુદેવી અને નાભીરાજાના પુત્ર ઉરુક્રમ છે. ઉરુક્રમ ઋષભદેવનું બીજું નામ છે.
ઋષભદેવ આદિનાથનું સ્મરણ તિરૂકુરલ નામના તમિલગ્રંથમાં કરતા તિરૂવલ્લુવર લખે છે કે
આદિનાથ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. જીવમાત્રના હૃદયકમલમાં વસે છે. આદિનાથ ભગવાનનાં
ચરણોનું જે શરણ બેસે તેને અનંતકાળનો આનંદ મળશે.
જે માણસ રાગ દ્વેષરહિત આદિનાથ ભગવાનનું ચિંતન કરે છે અને તેમનાં ચરણોમાં લયલીન થશે તે ગાઢ કર્મબંધનોથી ના દુ:ખથી મુક્ત થાય છે. માર્કણ્ડેયપુરાણ અધ્યાય ૪૦ ના ૩૯માં શ્ર્લોકમાં શ્રી ઋષભદેવ આદિનાથને આ રીતે યાદ કર્યા છે.
अग्निध्रसूनोनाभेस्तु ऋषभोऽमूत सुतो द्विजः।
ऋषभाद् भरतो जज्ञे वीरः पुत्रशताद्वरः ॥39॥
નાભિરાજાના પુત્ર ઋષભદેવ થયા અને ઋષભદેવથી ભરત થયો. તે સો પુત્રોમાં સૌથી ઉત્તમ (ચક્રવર્તી) હતો. (ઋષભદેવના સો પુત્ર હતા તેમાં સૌથી મોટો પુત્ર ભરત હતો.)
કર્મપુરાણના શ્ર્લોકને જોઈએ-
हिमाहृयं तु यद्वर्ष नाभेरासीन्महात्मनः।
तस्यर्षभोऽभवत्पुत्रो मरुदेव्या महाद्युतिः ॥37॥
હિમવર્ષ ક્ષેત્રમાં મહાત્મા નાભીરાજા છે. તેમની પત્ની મરુદેવીથી મહાતેજસ્વી ઋષભદેવનો જન્મ થયો.
અગ્નિપુરાણ ૧૦મા અધ્યાયમાં-
ऋषभो मरुदेव्या व ऋषभाद् भरतोऽभूत् ॥11॥
મરુદેવી માતાથી ઋષભદેવનો જન્મ થયો અને ઋષભદેવથી ભરતનો ॥૧૦॥
વાયુમહાપૂરાણ પૂર્વાર્ધ અધ્યાય-૩૩માં
नाभिस्त्वजनयत्पुत्रं मरूदेव्या महाद्युतिः ।
ऋषभं पार्थिवश्रेष्ठं सर्वक्षत्रस्य पूर्वजम ॥ 50 ॥
નાભિરાજાના પુત્ર અને મરુદેવથી જન્મેલા મહાતેજસ્વી શ્રી ઋષભદેવ ઉત્તમ રાજા છે અને સર્વ ક્ષત્રિયોના પૂર્વજ છે ॥૫૦॥
વરાહપુરાણ અધ્યાય ૭૪માં
नाभिर्मरुदेव्यां पुत्रमजनयत ऋषभनामानं ।
तस्य भरतः पुत्रश्च तावदग्रजः तस्यभरतस्य पिता ॥
ऋषभ हेमादिर्दक्षिणं वर्ष महद् भारतं नाम शशास ॥
અર્થ: નાભિરાજા અને મરુદેવીથી ઋષભદેવનો
જન્મ થયો. તેમનો પ્રથમ ભરત નામનો પુત્ર હતો.
શ્રી ઋષભદેવ ભરતના પિતા હતા. હિમાલયથી
દક્ષિણ ક્ષેત્ર સુધી સમસ્ત ભારતનું તેમણે શાસન કર્યું હતું.
લિંગપુરાણ અધ્યાય ૪૭ શ્ર્લોક નં. ૧૯થી ૨૪
नाभेर्निसर्ग वक्ष्यामि हिमांकेडस्मिन्नित्रिबोधत ।
नाभिस्त्वजनयत पुत्रं मरुदेव्यां महामतिः ॥11॥
ऋषभं पार्थिव श्रेष्ठं सर्वक्षत्रस्य पूजितम ।
ભાવાર્થ: નાભિરાજા અને મરુદેવીથી મહાબુદ્ધિમાન ઋષભદેવનો જન્મ થયો. સર્વ ક્ષત્રિયોને પૂજનીય એવા શ્રી ઋષભદેવ સર્વશ્રેષ્ઠ રાજા હતા.
વિષ્ણુપુરાણના દ્વિતીયાંશ અધ્યાય ૧માં
हमाहृयं तु वै वर्ष नाभेरासोन्महात्मनः।
तस्यर्षभोऽभवत्पुत्रो मरुदेव्यां महाद्युतिः ॥27॥
હિમક્ષેત્રમાં મહાત્મા નાભિરાજા તથા મરુદેવીને મહાતેજસ્વી ઋષભ નામનો પુત્ર હતો. ॥૨૭॥
સ્કંન્ધપુરાણના માહેશ્ર્વરખંડ- કૌમારખંડ અધ્યાય ૩૭માં
नाभेः पुत्रश्च ऋषभ, ऋषभाद् भरतोऽभवत ।
નાભિરાજાના પુત્ર ઋષભદેવ અને ઋષભદેવથી ભરત થયો. (ક્રમશ:)