મુંબઈ એટલે દેશની આર્થિક રાજધાની. સેંકડો લોકો આ માયાનગરીને સપનાની નગરી તરીકે પણ ઓળખે છે. ફિલ્મ સ્ટાર્સ, દરિયા કિનારો, નાઈટલાઈફ, સતત દોડતા રહેવાનો જુસ્સો, એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય પણ અનેક કારણસર મુંબઈ પ્રખ્યાત છે અને આવા જ અસંખ્યા કારણોમાંથી એક કારણ એટલે વડાપાઉ.
ગરીબોના બર્ગર તરીકે ઓળખાતા વડાપાઉં અને મુંબઈ એકબીજાના પર્યાય થઈ ચૂક્યા છે અને બંને એકબીજા વિના અધૂરા છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે ખરું કે આ વડાપાઉંની શોધ ક્યાંથી અને ખઈ રીતે થઈ? કે પછી આ વડાપાઉંનો જન્મ કઈ રીતે થયો? ચોક્કસ જ આવા અનેક સવાલો તમને મૂંઝવી રહ્યા હશે અને તમે ગૂગલ કે ઈન્ટરનેટની મદદથી તમારી આ જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયાસ પણ કર્યો હશે. પણ જો તમને તમારા સવાલોનો સંતોષકારક જવાબ નથી મળ્યો તો ડોન્ટ વરી આજે અમે અહીં તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.
તમારા મારા અને આપણા સૌના લાડકાં એવા આ વડાપાઉંનો ઇતિહાસ 10-20 નહીં પણ પૂરા 53 વર્ષ જૂનો છે અને તેના જનક છે સાધારણ પરિવારમાંથી આવનાર અશોક વૈદ્ય.અશોકભાઉએ શરુઆતના તબક્કામાં તો દાદર રેલ્વે સ્ટેશનની બહાર પહેલા ખાલી બટેટાની ભાજીવાળા વડા વેચવાનું શરૂ કર્યું. થોડાક સમય પછી તેમને વિચાર આવ્યો કે આ વડા સાથે એકસ્પરીમેન્ટ કરવો જોઈએ એટલે તેમણે આ વડાની સાથે તેમણે પાઉંની બંને બાજુ લસણની લાલ તીખી ચટણી લગાવીને વેચવાનું શરૂ કર્યું અને જોત જોતામાં આ વડાપાઉં દાદર રેલ્વે સ્ટેશનથી સ્ટેટમાં અને સ્ટેટથી વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા.
તમને જાણીને નવાઈ લાગશે કે આખા વિશ્વમાં 23મી ઓગસ્ટના વડાપાઉં દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે મુંબઈની નાનામાં નાની ગલીમાં તમે જશો તો તમને તમારી પેટની ભૂખ સંતોષવા માટે વડાપાઉં તો સરળતાથી મળી રહેશે. એટલું જ નહીં કામકાજ માટે માયાનગરીમાં આવનારા અનેક લોકો માટે બે ટંકનું ભોજન છે આ ચટાકેદાર વડાપાઉં…