કેએલ રાહુલ અને આથિયા ટુંક સમયમાં જ લગ્નબંધનમાં બંધાઈ જવાના છે અને બંને પરિવારો લગ્નની જોરદાર તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે. આ તૈયારીઓ અને ધમાલ વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે ઈન્ડિયન ટીમના અમુક ક્રિકેટરો તેમના મિત્રના લગ્નમાં હાજરી નહીં આપે. હાલમાં કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં યોજાઈ રહેલી ભારતીય ટીમનો ભાગ છે. સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરી, રવિવારે તિરુવનંતપુરમમાં રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ છે. રાહુલે બીજી વનડેમાં અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. શ્રીલંકા સીરીઝ બાદ ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 વન ડે સિરીઝ અને 3 T20 મેચ રમવાની છે. બીસીસીઆઈએ શુક્રવારે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. રાહુલને બંને ટીમમાં સ્થાન મળ્યું નથી. 23 જાન્યુઆરીના કેએલ રાહુલ મુંબઈમાં બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી રહ્યો છે, પણ તેના લગ્નમાં વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સહિતના અનેક કલાકારો કદાચ જ હાજરી આપશે. આ પાછળનું કારણ એવું છે કે 24મી જાન્યુઆરીના ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડે મેચ રમવાની છે. આ મેચ ઈન્દોરમાં બપોરે 1.30 કલાકે યોજાશે. આ જ કારણસર ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ કેએલ રાહુલના લગ્નમાં હાજરી નહીં આપી શકે. પણ હા, સિરીઝ જિતીને તેઓ ચોક્કસ જ નવદંપતિને બેસ્ટ અને યાદગાર ગિફ્ટ આપી શકે છે. આ સિવાય એમએસ ધોનીથી લઈને મયંક અગ્રવાલ રાહુલના લગ્નમાં પહોંચશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ શ્રેણી રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ સિરીઝ માટે કેએલરાહુલને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને આ સિરીઝ જીતવી પડશે.