રક્ષા પ્રધાન રાજનાથ સિંહ શનિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી પહોંચશે. રક્ષા પ્રધાન વરિષ્ઠ સેના કમાન્ડરો અને સંરક્ષણ અધિકારીઓ પાસેથી રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સંપૂર્ણ માહિતી લેશે. આ સાથે તેઓ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપશે. એક દિવસ પહેલા જ આ સ્થળે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. આજે શનિવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે.
સેનાના ઉત્તરી કમાનના પ્રવક્તાએ કહ્યું કે શનિવારે સવારે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થતા ફરી એકવાર ગોળીબાર શરૂ થયો છે. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.
સેનાએ પૂંચમાં આર્મી ટ્રક પર હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. પુંછમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. સેનાને ઈનપુટ મળ્યા હતા કે પૂંચ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ કાંડીના જંગલોમાં છુપાયેલા છે. આ પછી, સેનાએ શુક્રવારે વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું.
સુરક્ષા દળોને એક ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ન જાય તે માટે વધારાના CRPF અને આર્મીના જવાનોને વિસ્તારને ઘેરી લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. ડ્રોન અને સ્નિફર ડોગને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સૈનિકોએ ગુફાના ઠેકાણા પર મોર્ટાર અને ગ્રેનેડથી હુમલો કર્યો. સુરક્ષા દળો આગળ વધી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અગાઉ પ્લાન્ટ કરાયેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો હતો.
હુમલામાં બે જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા, ત્રણ ઘાયલ જવાનોનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનામાં એક મેજર ઘાયલ થયા છે.