આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, એનઆઈએ કરી એક આતંકવાદીની ધરપકડ
શ્રીનગરઃ જી ટવેન્ટી દેશની મહત્ત્વની મીટિંગને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 22થી 24 સુધી જી-ટવેન્ટી ટૂરિઝમ વર્કિગ ગ્રૂપની મીટિંગની તૈયારી ચાલી રહી છે ત્યારે એક આતંકવાદી હુમલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા એક આતંકવાદીએ હુમલો કરવાની કબૂલાત કરી છે, જ્યારે એ જ હોટેલમાં જી-ટવેન્ટીના પ્રતિનિધિઓ રોકાવવાના હતા. આતંકવાદીઓના સંભવિત હુમલાના ભયને કારણે જી ટવેન્ટી મીટિંગના મહેમાનો હવે ગુલમર્ગ જશે નહીં
બારામુલાના હૈગામ સોપારનો રહેવાસી ફારુક અહમદ વાની ગુલમર્ગની જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તે ઓજીડબલ્યુની રીતે આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલો હતો અને સરહદ પાર આઈએસઆઈના અધિકારીના ડાયરેક્ટ સંપર્કમાં હતો. ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આતંકવાદીઓને હોટેલમાં ઘૂસવા અને વિદેશી અધિકારીઓને નિશાન બનાવવાનો હતો. મુંબઈના 26/11ના હુમલાની માફક આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા. જી-ટવેન્ટીની બેઠકને લઈ આતંકવાદીઓ એક સાથે બે-ત્રણ જગ્યાએ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં એકસાથે બે બાબતનો પર્દાફાશ કરતા એજન્સીએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે સુરક્ષામાં પણ વધારો કર્યો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અન્ય એજન્સીને સતર્ક કરતા પ્રશાસન દ્વારા ડાઉનટાઉન, દાલગેટ, પારિમપોરા, ફોરેશોર, હૈદરપોરા, હાઈવે, દક્ષિણ કાશ્મીર, નરબલ, સોપોર, ગાંદરબલ, 90 ફીટ અને ગુલમર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સાવચેતી રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં જી-ટવેન્ટીની આયોજિત બેઠક પૂર્વે સુરક્ષા એજન્સીએ આજે એક આતંકવાદીની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીએ આજે કાશ્મીરમાં એક આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા વધુ એક આતંકવાદીને પકડયો છે, જ્યારે તેની પાસેથી ઘણા વિસ્ફોટકો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એનઆઈએએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ મહોમ્મદ ઉબેદ મલિક તરીકે ઓળખ કરવામાં આવી છે, જે કુપવાડાનો રહેવાસી છે.
ઉબેદ પાકિસ્તાનમાં બેઠેલા જૈશના કમાન્ડરના સતત સંપર્કમાં હતો. આતંકવાદી ઉબેદ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પકડાયેલ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના કમાન્ડરને સેનાના જવાનો અને સુરક્ષા દળોની હિલચાલ સાથે જોડાયેલી માહિતી મોકલી રહ્યો હતો. એનઆઈએની તપાસમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે આરોપી આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા જૈસ કમાન્ડરને ખાસ કરીને સૈનિકો અને સુરક્ષા દળોની હિલચાલ વિશેની ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો.
એજન્સીએ આરોપી પાસેથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપતા અનેક ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. એનઆઈએની તપાસ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરવા માટે આઈઈડી અને વિસ્ફોટકો વારંવાર ડ્રોન દ્વારા મોકલવામાં આવે છે. સ્થાનિક સ્તરે વિસ્ફોટક સામગ્રી પણ એકત્ર કરવામાં આવી રહી છે. હુમલામાં મુખ્યત્વે લઘુમતીઓ અને સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે જમ્મુ કાશ્મીરમાં જી ટવેન્ટીની મીટિંગને લઈ સુરક્ષા એજન્સી પણ સતર્ક છે, જ્યારે આર્મીને પણ એલર્ટ કરવામાં આવી છે. આર્મી, નેવી અને એર ફોર્સ એમ ત્રણેય દળના જવાનોને સતર્ક રાખવામાં આવ્યા છે, જ્યારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.