જીવનનું અમૃત – ભાણદેવ
ભગવાન કપિલદેવ
(ગતાંકથી ચાલુ)
પતિ કર્દમજીની આજ્ઞાથી દેવહૂતિજીએ સ્નાન માટે સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો. સેવિકાઓએ તેમને સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યાં. પતિ સાથે દેવહૂતિજીએ વિમાનમાં પ્રવેશ કર્યો. આ વિમાનમાં નિવાસ કરીને બંનેએ અનેક લોકોમાં દીર્ઘકાળ સુધી વિહાર કર્યો અને યથેચ્છ ભોગો-સુખો ભોગવ્યાં.
પોતાની ધર્મપત્નીની ઈચ્છા જાણીને કર્દમઋષિએ પોતાના સ્વરૂપને નવ ભાગમાં વિભક્ત કર્યું અને તે સ્વરૂપો દ્વારા તેમણે દેવહૂતિજી દ્વારા નવ ક્ધયાઓ ઉત્પન્ન કરી. આ સર્વ ક્ધયાઓ સર્વાંગસુંદરી હતી.
પોતાનું પ્રજોત્પત્તિનું કાર્ય પૂરું કરીને હવે કર્દમજીએ સંન્યાસ ગ્રહણ કરવાની ઈચ્છા કરી અને પોતાની આ ઈચ્છા તેમણે દેવહૂતિજી સમક્ષ પ્રગટ કરી.
પતિદેવની સંન્યાસગ્રહણ કરવાની ઈચ્છા જાણીને કંઈક સંકોચપૂર્વક દેવહૂતિજીએ કર્દમજીને કહ્યું, ‘ભગવન્! હજુ આ ક્ધયાઓના વિવાહનું કાર્ય બાકી છે. આપના વિના તે કાર્ય મારા માટે કઠિન બની જશે.
‘સ્વામીનાથ! આપ મુક્તિદાતા છો, છતાં માયાવશ હું આપના સામર્થ્યને સમજી શકી નહીં અને આપનું સાંનિધ્ય ભોગ સુખમાં જ વીતી ગયું. આપ સંન્યાસ ધારણ કરી વનમાં જાઓ પછી જન્મમરણના શોકને દૂર કરનાર કોઈનો સંગાથ મને મળે તે આવશ્યક છે.’
પત્ની દેવહૂતિના મનનો ભાવ જાણીને કર્દમજીએ કહ્યું –
‘દેવી! તમે આ વિષયમાં ચિંતા ન કરો. તમારા ગર્ભથી ભગવાન વિષ્ણુ જન્મ ધારણ કરશે. તમે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કરો. તમારા ગર્ભથી અવતીર્ણ થઈને ભગવાન શ્રીહરિ મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનના ઉપદેશ દ્વારા તમારા હૃદયની અજ્ઞાનપૂર્ણ અહંકારગ્રંથિનું છેદન કરશે.’
પ્રજાપતિ કર્દમજીના શબ્દોમાં દેવહૂતિજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી. દેવહૂતિજી એકાગ્ર ચિત્તથી ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. આ રીતે ભગવાનની આરાધનામાં તેમનો ઘણો લાંબો સમય પસાર થયો. યોગ્ય સમયે પ્રજાપતિ કર્દમજીના વીર્યનો આશ્રય કરીને દેવહૂતિજીના ગર્ભ દ્વારા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ!
સરસ્વતી નદીથી ઘેરાયેલા કર્દમઋષિના આશ્રમમાં કર્દમ અને દેવહૂતિના પુત્રસ્વરૂપે ભગવાન શ્રીહરિએ જન્મ ધારણ કર્યો છે તે જાણીને મરીચિ આદિ મુનિઓ સહિત બ્રહ્માજી તે સ્થાન પર પધાર્યા.
બ્રહ્માજીએ કર્દમજીને કહ્યું –
‘પ્રિય કર્દમ! મારી આજ્ઞાનું પાલન કરીને તમે પ્રજોત્પત્તિના મારા કાર્યને આગળ ચલાવ્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. મારી આજ્ઞાનું પાલન કરીને તમે મારી યથાર્થ પૂજા કરી છે. હવે તમે તમારી આ નવ ક્ધયાઓ મરીચિ આદિ ઋષિઓને અર્પણ કરો. તેમના દ્વારા તમારો વંશ ચાલશે અને લોકમાં તમારો યશ ફેલાશે.
‘હે પુત્ર! તમારે ઘેર તમારા પુત્રરૂપે જન્મ ધારણ કરનાર આદિપુરુષ શ્રીનારાયણ જ છે. ભગવાન નારાયણ પોતાની યોગમાયાથી તમારે ઘેર કપિલરૂપે આવ્યા છે.’
બ્રહ્માજી દેવહૂતિજીને કહે છે.
“હે રાજકુમારી! કૈટભાસુર મારનાર સાક્ષાત્ શ્રીહરિ તારા ગર્ભ દ્વારા પ્રગટ્યા છે. તેઓ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને કાપીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. તેઓ સિદ્ધોના સ્વામી અને સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક બનશે. આ જગતમાં તેઓ ‘કપિલ’ નામથી વિખ્યાત થશે.
આ પ્રકારે કર્દમ-દેવહૂતિને આશ્ર્વાસનયુક્ત શબ્દો કહીને પિતામહ બ્રહ્માજી હંસ પર બેસીને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા.
બ્રહ્માજીના ગયા પછી તેમની આજ્ઞા અનુસાર કર્દમજીએ પોતાની પુત્રીઓના મરીચિ આદિ પ્રજાપતિઓ સાથે વિધિવત્ લગ્ન કર્યાં. કર્દમજીએ પોતાની કલા નામની ક્ધયા મરીચિને, અનસૂયા અત્રિને, શ્રદ્ધા અંગિરાને, હવિર્ભૂ પુલસ્ત્યને, ગતિ પુલહને, ક્રિયા ક્રતુને, ખ્યાતિ ભૃગુને, અરુંધતી વસિષ્ઠને અને શાંતિ અથર્વાને અર્પણ કરી. વિવાહ સંપન્ન થયા પછી આ બધા ઋષિઓ પોતપોતાની ધર્મપત્નીઓને સાથે લઈને કર્દમ-દેવહૂતિના આશીર્વાદ લઈને પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા.
કર્દમજીએ જોયું કે તેમને ઘેર સાક્ષાત્ નારાયણે અવતાર ધારણ કર્યો છે ત્યારે તેઓ એકાંતમાં ભગવાન કપિલ પાસે ગયા અને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા-
“હે ભગવન્! પોતાનાં પાપકર્મો દ્વારા દુ:ખી થતાં અજ્ઞાની જનો પર દેવગણો તો ઘણા લાંબા સમય પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મોની સાધનાથી સુદ્ઢ બનેલી સમાધિ દ્વારા એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, ભક્તોની રક્ષા કરનાર તે જ શ્રીહરિ અમારા જેવા વિષયલોલુપ માનવોના ઘરમાં પ્રગટ્યા છે. આપે વસ્તુત: આપના વચનના પાલન માટે તથા સાંખ્યાશાસ્ત્રનો ઉપદેશ કરવા માટે જ અવતાર ધારણ કર્યો છે.
“હે પ્રભુ! આપ પરબ્રહ્મ પરમાત્મા છો. હું આપના શરણે આવ્યો છું. આપની કૃપાથી હું ત્રણે ઋણથી મુક્ત થયો છું અને મારા સર્વ મનોરથો પરિપૂર્ણ થયા છે. હવે હું સંન્યાસ ગ્રહણ કરવા ઈચ્છું છું તેથી આપ ભગવાન મને સંન્યાસ માટે આજ્ઞા આપો.
કર્દમ મુનિનાં આવાં સુંદર વચનો સાંભળીને ભગવાન કપિલદેવ કહે છે-
“હૈ મુનિ! ‘હું તમારે ઘેર જન્મ લઈશ’ મારા આ વચનને પરિપૂર્ણ કરવા માટે અને આત્મદર્શનમાં ઉપયોગી તત્ત્વવિવેચનનો માર્ગ બતાવવા માટે મેં જન્મ લીધો છે.
“હૈ કર્દમજી! હું તમને આજ્ઞા આપું છું. તમે તમારી ઈચ્છા અનુસાર વનમાં જાઓ. તમે બધાં જ કર્મો મને અર્પણ કરીને મોક્ષપદ પ્રાપ્ત કરવા માટે મારું જ ચિંતન કરજો. તમે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા અંત:કરણમાં મારો સાક્ષાત્કાર કરશો. તમે સર્વ પ્રકારના શોકથી મુક્ત થઈને અંતે મને જ પામશો.
આ રીતે ભગવાન કપિલદેવની આજ્ઞા મેળવીને કર્દમ મુનિ તેમની પરિક્રમા કરીને વનમાં ચાલ્યા ગયા. વનમાં તપશ્ર્ચર્યા, ભક્તિ અને ભગવાનનાં ચરણોમાં નિ:શેષ સમર્પણ દ્વારા તેમણે પરમપદની પ્રાપ્તિ કરી.
દેવહૂતિજીને પિતામહ બ્રહ્માજી અને મહર્ષિ કર્દમજીએ સમજાવ્યું છે કે તેમના પુત્રરૂપે આવેલા કપિલજી સામાન્ય માનવી નથી, પરંતુ ભગવાન નારાયણ જ તેમને ઘેર પુત્રરૂપે આવ્યા છે. બ્રહ્માજીએ દેવહૂતિજીને આશ્ર્વાસન આપ્યું છે કે ભગવાન કપિલદેવ દ્વારા જ તેમની અવિદ્યાગ્રંથિનું છેદન થશે અને તેમની જ કૃપાથી તેઓ પરમપદની પ્રાપ્તિ કરશે.
કર્દમજીના વનગમન પછી પણ માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન કપિલદેવ બિંદુસર તીર્થમાં રહેવા લાગ્યા.
એકવાર તત્ત્વસમૂહના પારદર્શી ભગવાન કપિલદેવ કર્મકલાપથી વિરત થઈને આસન પર બિરાજમાન હતા. તે સમયે બ્રહ્માજીના શબ્દોનું સ્મરણ કરીને દેવહૂતિ તેમની પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં-
“ભૂમન્ ! હે પ્રભો ! હું આ ઈન્દ્રિયોની વિષયલાલસાથી સર્વથા કંટાળી ગઈ છું હું અજ્ઞાનાંધકારમાં ડૂબેલી છું અને આપ જીવોના અજ્ઞાનાંધકારને દૂર કરવા માટે સૂર્યની જેમ ઉદિત થયા છો. હે ભગવાન્ ! હું આપને શરણે છું. હું આપને પ્રણામ કરું છું. આપ કૃપા કરીને મને મોહબંધનમાંથી મુક્ત કરો.
માતા દેવહૂતિજીએ આ રીતે અવિદ્યામાંથી આત્યંતિક મુક્તિ માટેની પોતાની આ શુભ અભિલાષા વ્યકત કરી તે જોઈને ભગવાન કપિલદેવ અત્યંત પ્રસન્ન થયા. તેમણે મનોમન માતાની ખૂબ પ્રશંસા કરી.
માતા દેવહૂતિજીની અવિદ્યાગ્રંથિના છેદન માટે અને તેમને પરમપદની પ્રાપ્તિ થાય તે માટે ભગવાન કપિલદેવે તેમને અધ્યાત્મવિદ્યાનો સાંગોપાંગ ઉપદેશ આપ્યો.
ભગવાન કપિલદેવ માતા દેવહૂતિજીને ભક્તિયોગનું રહસ્ય સમજાવ્યું. તેમણે માતાને સૃષ્ટિમીમાંસા, સાંખ્યદર્શન અને પુરુષ-પ્રકૃતિના વિવેક દ્વારા મોક્ષપ્રાપ્તિનો માર્ગ સમજાવ્યો. માતા જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને પુત્રરૂપે આવેલા ભગવાન કપિલદેવે તેમને અષ્ટાંગયોગની સાંગોપાંગ વિધિ બતાવી. ભગવાન કપિલદેવે માતા દેવહૂતિ સમક્ષ જીવની ભિન્નભિન્ન ગતિઓનું વર્ણન પણ કર્યું.
ભગવાન કપિલદેવના મુખેથી અધ્યાત્મયોગનું ગહન અને સાંગોપાંગ વર્ણન સાંભળીને દેવહૂતિજીના મોહનો પડદો દૂર થયો અને તેઓ બે હાથ જોડીને ભગવાન કપિલદેવની સ્તુતિ કરવા લાગ્યાં. દેવહૂતિજીની વાણી સાંભળીને ભગવાન કપિલદેવે તેમને સમજાવ્યું, “માતા ! મેં તમને અધ્યાત્મનો જે પથ બતાવ્યો છે તેનું અનુસરણ કરવાથી તમે બહુ થોડા સમયમાં પરમપદને પ્રાપ્ત કરી લેશો અને અંતે તમે મારા જન્મમરણરહિત સ્વરૂપને પામશો.
માતા દેવહૂતિજીને આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ આપીને, માતાની અનુમતિ મેળવીને ભગવાન કપિલદેવ તે સ્થાનનો ત્યાગ કરીને તે સ્થાનથી ઈશાનદિશામાં સમુદ્રકિનારે ચાલ્યા ગયા.
દેવહૂતિજી તે જ આશ્રમમાં રહ્યાં અને પોતાના પુત્ર ભગવાન કપિલદેવના ઉપદેશ અનુસાર યોગાભ્યાસ અને અધ્યાત્મસાધનામાં તલ્લીન બની ગયાં. પ્રબળ વૈરાગ્ય, ગહન તપશ્ર્ચર્યા, યથોચિત કર્માનુષ્ઠાન, ભગવાન પ્રત્યે તીવ્ર ભક્તિયોગ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન, ભગવાનનું ચિંતન-આવી ઉત્તમોત્તમ સાધનામાં રત રહેવાથી તેમના ચિત્તની સર્વ મલિનતા દૂર થઈ ગઈ. તેમની બુદ્ધિ જીવના અધિષ્ઠાનરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં લીન બની ગઈ. તેમનો જીવ ભાવ નિવૃત્ત થઈ ગયો. દેવહૂતિજીના સર્વ કલેશો નિવૃત્ત થઈ ગયા અને તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયાં.
નિરંતર સમાધિ અવસ્થામાં રહેવાથી વિષયોના સત્યત્વની તેમની ભ્રાન્તિ નષ્ટ થઈ ગઈ અને ચિત્ત રાગ-દ્વેષથી સર્વથા મુક્ત થઈ ગયું. આ રીતે ભગવાન કપિલદેવ દ્વારા બતાવેલા માર્ગનું અનુસરણ કરવાથી માતા દેવહૂતિજીને થોડા જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મસ્વરૂપ પરમપદની પ્રાપ્તિ થઈ.
જે સ્થાન પર માતા દેવહૂતિજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર સ્થાન ‘સિદ્વપદ’નામે વિખ્યાત થયું.
મૈત્રેયજી વિદુરજીને કહે છે-
“હૈ નિષ્પાપ વિદુરજી! ભગવાન કપિલદેવનું પ્રાગટ્ય, જીવન અને તેમનો ઉપદેશ અનેક રહસ્યોથી ભરપૂર છે. જે પુરુષ ભગવાન કપિલદેવના આ ચરિત્રનું શ્રવણ કરશે તેઓ ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને શીઘ્ર શ્રીહરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરશે.
પ્રજાપતિ કર્દમજી, માતા દેવહૂતિજી અને ભગવાન કપિલદેવના આ ચરિત્રમાંથી નિષ્પન્ન થતાં કેટલાંક મહત્ત્વપૂર્ણ તત્ત્વોનું સંક્ષિપ્ત વિવેચન અહીં પ્રસ્તુત છે.
૧. પિતામહ બ્રહ્માજીએ પ્રજાપતિ કર્દમજીને પ્રજોત્પત્તિ માટે આજ્ઞા આપી છે. પિતામહ બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું છે. ભગવાન આદિનારાયણે પિતામહ બ્રહ્માજી માટે આ કાર્ય નિયત કર્યું છે. એક પ્રજાપતિ હોવાને નાતે કર્દમમુનિનું કાર્ય પણ પ્રજોત્પત્તિ છે અને તે જ કાર્ય માટે પિતામહ બ્રહ્માજીએ તેમને આજ્ઞા આપી છે.
૨. કર્દમમુનિ અને દેવહૂતિએ સંસારનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેઓ સંસારમાં ડૂબી ગયા નથી, તેઓ મોહવશ ભાન ભૂલ્યા નથી. પરમપદની પ્રાપ્તિ તે જ જીવનનું ધ્યેય છે તેવી જાગૃતિ તેઓ ચૂક્યા નથી. આ જાગૃતિ જ તેમની આધ્યાત્મિક અભીપ્સાને જાળવી રાખે છે.
આમ તેઓ પોતાના જીવન દ્વારા સૂચવે છે કે સંસાર બાંધતો નથી, પરંતુ સંસાર પ્રત્યેની આસક્તિ બાંધે છે. જેમનો વિવેક જાગ્રત છે, જેઓ મોહમાં ફસાતા નથી તેઓ સંસારના મસ્તક પર પગ મૂકીને પરમપદ પર આરોહણ કરે છે.
જો કોઈ વ્યક્તિ સંસારજીવનનો સ્વીકાર કરીને તેમાં મોહિત થઈને ભગવાનને ભૂલી જાય તો તે જીવનનું યથાર્થ લક્ષ્ય ચૂકી જાય છે અને મોહવશ સંસારની આસક્તિમાં ડૂબી જાય છે. આ રીતે સંસારમાં ડૂબી જવું તે તો આત્મહત્યા છે, પરંતુ પોતાનું નિયત કર્તવ્ય જે જાગૃતિપૂર્વક પૂરું કરે છે અને કર્તવ્ય પૂરું કરીને જે સંસારનો ત્યાગ કરીને પરમપથના પથિક બને છે તેઓ અધ્યાત્મજગતના વીરો છે.
૩. કર્દમમુનિ અને દેવહૂતિજીએ ભોગો ભોગવ્યા છે તેવું વર્ણન આ ચરિત્રમાં છે, પરંતુ આ વર્ણનના સ્વરૂપ પરથી એવું લાગે છે કે આ ભોગો સ્થૂળભૂમિકા પરના ભોગો નથી. જેમ આપણી પૃથ્વી પર સ્થૂળભૂમિકાના ભોગો હોય છે તેમ અન્ય સૂક્ષ્મ ઉચ્ચતર લોકોમાં દિવ્યભોગો પણ હોય છે. દિવ્ય વિમાનની રચના, વિદ્યાધરી સ્ત્રીઓની સેવા, સરોવરની અંદરનો મહેલ, વિમાન દ્વારા અનેક લોકોમાં યથેચ્છ વિહરણ, દીર્ઘકાલીન યુવાવસ્થા આદિ વર્ણન પરથી લાગે છે કે અહીં જે ભોગોનું વર્ણન છે. તે સ્થૂળભૂમિકાના દુન્યવી ભોગોનું વર્ણન નથી, પરંતુ કોઇ ઉચ્ચતર ભૂમિકાના દિવ્યભોગોનું વર્ણન છે. વિમાનની સામગ્રીઓનું વર્ણન કરતી વખતે ભાગવતકાર આમ કહે છે-
રુડવ્રળજ્ઞક્ષઇંફઞળજ્ઞક્ષજ્ઞર્ટૈ લમૃઇંળબલૂઈંળમવપ્ર
“દિવ્ય સામગ્રીઓથી યુક્ત અને સર્વ ઋતુઓમાં સુખદાયક
આ પ્રકારના વાક્યપ્રયોગો અને વર્ણનો દ્વારા ભાગવતકાર સૂચિત કરે છે કે કર્દમમુનિ અને દેવહૂતિજીએ જે ભોગો ભોગવ્યા તે ભોગો સ્થૂળ અને પાર્થિવ ભોગો નથી, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપના અને દિવ્યભોગો છે. દિવ્યભોગો ઇન્દ્રિયો દ્વારા નહીં, પરંતુ યોગ જ ચિત્ત દ્વારા ભોગવાય છે. યોગસિદ્ધિ પુરુષો કવચિત્ આ પ્રકારના દિવ્યભોગો ભોગવે છે.
આ દિવ્યભોગો પણ આખરે તો ભોગ જ છે અને તેથી પરમપદની પ્રાપ્તિમાં બાધારૂપ જ બને છે તેથી આખરે તો તે પણ ત્યાજ્ય છે. આમ સમજીને કર્દમજી અને દેવહૂતિજીએ તેમનો પણ ત્યાગ જ કર્યો છે.
૪. શ્રીમદ્ ભાગવત અવતારોની કથા છે. આ મહાગ્રંથમાં લગભગ સર્વ અવતારોની કથા છે. અહીં પ્રધાનકથા શ્રીકૃષ્ણાવતારની છે છતાં ભગવાન શ્રીરામ, ભગવાન પરશુરામ, ભગવાન વામન, ભગવાન નૃસિંહ આદિ અવતારોની કથા છે.
અવતાર જયારે અવતરે છે ત્યારે માતા-પિતા દ્વારા જન્મ ધારણ કરે છે. અવતાર ભગવાન છે છતાં જ્યારે માનવસ્વરૂપે અવતરે છે ત્યારે સામાન્ય માનવની જેમ લીલા કરે છે. અવતારનો જન્મ માતા-પિતા દ્વારા થાય છે અને અવતારનો ઉછેર પણ માતા-પિતા દ્વારા થાય છે. જેમ સામાન્ય માતા-પિતાને પોતાના સંતાન પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે તેમ અવતારનાં માતા-પિતાને પણ પોતાના સંતાન પ્રત્યે, ભલે તે ભગવાન હોય તો પણ વાત્સલ્યભાવ જ હોય છે.
એવું જોવા મળે છે કે અવતારનાં માતા-પિતાને પોતાનો પુત્ર ભગવદવતાર છે, ભગવાન છે તેવું સભાન જ્ઞાન રહેતું નથી. તેમના વાત્સલ્યભાવના વેગમાં ભગવદ્ભાવ તણાઇ જાય છે. તેમના વાત્સલ્યભાવના આવરણ નીચે ભગવદ્ભાવ જાણે ઢંકાયેલો રહે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકી, દશરથ-કૌશલ્યા આદિને ભગવાનનાં માતા-પિતા બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સંભવ છે કે તેઓ ‘પોતાનો પુત્ર ભગવાન છે’ તે હકીકત જાણતાં પણ હોય. આમ છતાં તેમનો ભાવ અને વ્યવહાર તો એવો જ રહે છે કે તેઓ માતા-પિતા છે અને પોતાનો પુત્ર (ભગવાન હોવા છતાં) પોતાનો પુત્ર જ છે. આમ સામાન્ય રીતે ભગવદવતાર વખતે પણ તેમનાં માતા-પિતાનો તો પોતાના ભગવાન પુત્ર પ્રત્યે વાત્સલ્યભાવ જ પ્રધાનપણે રહે છે.
નંદ-યશોદાને ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો પ્યારો કનૈયો જ લાગે છે. તેઓ પોતાના કનૈયાને ભગવાનરૂપે જોતાં નથી, ભગવાનરૂપે સંબોધતા નથી, પરંતુ પુત્રરૂપે જ જુએ છે અને પુત્રરૂપે જ સંબોધે છે. નંદ-યશોદા, વસુદેવ-દેવકી, દશરથ-કૌશલ્યાને પોતાના અવતારી પુત્રની ભગવત્તાની કશી જાણ જ નહીં હોય તેમ તો લાગતું નથી. ભગવાનનાં માતા-પિતાને અવારનવાર પોતાના અવતારી પુત્રની ભગવત્તાના અણસાર મળતા જ રહેતા હશે , પરંતુ તેમનો આ ભગવદ્ભાવ થોડી જ વારમાં વાત્સલ્યભાવથી જ જોવા માંડે છે.
આમ અવતારનાં માતા-પિતાને કવચિત ભગવદ્ભાવ અનુભવાતો હોય તો પણ મહદ્અંશે તો તેઓ અવતારી પુત્રને સંતાનભાવથી જ જુએ છે અને તે ભાવને અનુરૂપ વ્યવહાર કરે છે.
શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ વાલ્મીકિય રામાયણ, મહાભારત આદિ ગ્રંથોમાં લગભગ સર્વત્ર આ સ્વરૂપનું જ દર્શન જોવા મળે છે.
સામાન્ય રીતે જોવા મળતા આ સ્વરૂપના ભાવ અને વ્યવહારની પરંપરામાં એક બહુ મહત્ત્વપૂર્ણ અપવાદ છે. આ અપવાદ છે-કર્દમમુનિ અને દેવહૂતિજીનો ભગવાન કપિલદેવ પ્રત્યેનો ભાવ અને વ્યવહાર.
કર્દમમુનિએ ક્યારેય પોતાના પુત્ર કપિલદેવને પુત્રસ્વરૂપે અને વાત્સલ્યભાવથી જોયા નથી. તેમણે સતત ભગવાન તરીકે જ જોયા છે. તેવો જ ભાવ રાખ્યો છે અને વ્યવહાર પણ તદ્નરૂપ રાખ્યો છે.
દેવહૂતિએ તો કપિલભગવાનનું શરણ સ્વીકાર્યું છે. તેમને ભગવાન અને ગુરુ માન્યા છે, હાથ જોડીને તેમની સમક્ષ મુક્તિ માટે પ્રાર્થના કરી છે. ભગવાન કપિલદેવે પણ તેમને અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે. તેમને અધ્યાત્મપથ બતાવ્યો છે. જેમ ગુરુ પોતાની શિષ્યાને મુક્તિનો માર્ગ બતાવે તેમ ભગવાન કપિલદેેવે માતાના દેવહૂતિને મુક્તિનો માર્ગ બતાવ્યો છે.
માતા દેવહૂતિ અને પિતા કર્દમમુનિનો પોતાના પુત્ર ભગવાન કપિલદેવ પ્રત્યેનો આ વ્યવહાર અન્ય સૌ અવતારોનાં માતા-પિતા કરતાં ઘણો ભિન્ન જોવા મળે છે. આ વ્યવહાર અને આ ભાવ એક અપવાદરૂપ હોય તેમ લાગે છે.
આમ શા માટે?
આ શા માટે તે તો ખરેખર તેઓ જ જાણે, પરંતુ આપણી મતિ અનુસાર આ અપવાદરૂપ વિશિષ્ટ વ્યવહારનું કારણ સમજવા પ્રયત્ન કરીએ તો તેનું કારણ એ છે કે-
કર્દમમુનિ અને દેવહૂતિઋષિ અને ઋષિપત્ની છે. તેઓ બન્ને અધ્યાત્મપથનાં પથિકો છે. તેમના ચિત્તમાં પરમપદની પ્રાપ્તિ માટેની પ્રબલ અભીપ્સા છે. તેમને બન્નેને ભગવાન જોઇએ છે, બીજું કશું નહીં. આમ અવતારનાં માતા-પિતા રૂપે તેઓ ઘણાં વિશિષ્ટ છે તેથી તેમનો ભાવ અને વ્યવહાર પણ વિશિષ્ટ હોય તે સ્વાભાવિક છે.
પોતાના પુત્રને સતત ભગવાનરૂપે માનવા, ભગવદ્સ્વરૂપે જ જોવા તેમના પ્રત્યે સતત ભગવદ્ભાવ રાખવો અને વાણી તથા વ્યવહાર પણ તે જ સ્વરૂપનાં હોવાં તે ઘટના ઘણી વિશિષ્ટ છે અને તેથી દેવહૂતિજી અને મહર્ષિ કર્દમજીની આ વિશિષ્ટતાની, અવતારની સમગ્ર ઘટનામાં વિશેષરૂપે નોંધ લેવી જોઇએ.
ભગવાન કપિલદેવ જ્ઞાનાવતાર છે. તેમનો અવતાર જ પ્રકૃતિપુરુષના વિવેક દ્વારા મુક્તિનો માર્ગ દર્શાવવા માટે થયો છે. ભારતીય દર્શનમાં સાંખ્યદર્શન ખૂબ મૂલ્યવાન દર્શન છે. યોગની પ્રતિષ્ઠા જ સાંખ્યદર્શન પર થઇ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અને શ્રીમદ્ ભાગવત જેવા હિંદુ ધર્મના સર્વમાન્ય ગ્રંથોમાં સાંખ્યદર્શનનો સ્પષ્ટ: સ્વીકાર થયો છે. આવા મૂલ્યવાન દર્શનના અને અધ્યાત્મવિદ્યાના પ્રણેતા તરીકે ભારતમાં તેમનું નામ ગૌરવપૂર્વક લેવાતું રહ્યું છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ભગવાન કપિલદેવને પોતાની જ એક વિભૂતિસ્વરૂપે ગણાવેલ છે-
રુલથ્ળણર્ળૈ ઇંરુક્ષબળજ્ઞ પૂરુર્ણીં
“સિદ્ધોમાં હું કપિલમુનિ છું
આવા સિદ્ધોના અધિપતિ ભગવાન કપિલદેેવે પોતાનાં સાધ્વીમાતાને અધ્યાત્મનો જે ઉપદેશ આપ્યો તેને ‘કપિલગીતા’ ગણવામાં આવે છે.