મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
મોરબીમાં ઝુલતો પુલ દુર્ઘટના માં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલ લગભગ એકાદ મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાના જામીન માટે મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે 4 માર્ચના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષ અને સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરાઈ હતી. બચાવ પક્ષ તરફથી બેન્ક કામ અને હાઈકોર્ટે કરેલા પીડિતોને સહાય ચૂકવવાના આદેશનો હવાલો આપ્યો હતો અને વચગાળાના જામીન આપવામાં આવે તેવી દલીલ કરી હતી. જેની સામે સરકારી વકીલે એવી દલીલો રજૂ કરી હતી કે ત્રણ મહિનાથી જયસુખ પટેલ ફરાર હતા અને છેલ્લા એક મહિનાથી તેઓ જેલમાં છે, તેમ છતાં તેમની કંપનીનો વહિવટ ચાલી રહ્યો છે. જેથી જયસુખ પટેલને બહાર આવવું જરૂરી નથી.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હુકમ સંભળાવવા માટે 7 માર્ચની તારીક પડી હતી. આજે મોરબી ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટે જયસુખ પટેલની વચગાળાના જામીનની અરજી નામંજૂર કરી છે. જેથી જયસુખ પટેલને કોઈ રાહત મળી નથી અને હાલ તેઓને જેલમાં જ રહેવું પડશે.
ઝૂલતો પુલ પડી જવાથી 135 જણના મૃત્યુ થયા હતા.