ચેન્નઇઃ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આઇપીએલ 2023ની મેચમાં સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો, જ્યારે આર. અશ્વિનને પણ મેચ ફીના 25 ટકાનો દંડ કરવામાં આવ્યો છે. આઇપીએલએ કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ પર બુધવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની 17મી મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઈપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાને લગતો આ ટીમનો પ્રથમ ગુનો હતો. મેચ બાદ કેપ્ટન સેમસને કહ્યું હતું કે શ્રેય અમારા બોલરોને મળવો જોઈએ. અમે ઘણા મહત્વપૂર્ણ કેચ પણ કર્યા હતા. આ જીતથી રાજસ્થાન ચાર મેચમાંથી ત્રણ જીત સાથે આઇપીએલ 2023 પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
રાજસ્થાન રોયલ્સ ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી શકી નહોતી. એટલા માટે સંજુ સેમસનને મેચમાં સ્લો ઓવર રેટથી બોલિંગ કરવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઇપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ ટીમનો આ પહેલો ગુનો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ રનથી જીત મેળવી હતી. આ મેચમાં રાજસ્થાનની જીતમાં આર. અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. ઝાકળના કારણે બીજી ઇનિંગમાં બોલ બદલવાના અમ્પાયરના નિર્ણય પર આર.અશ્વિને સવાલ ઉઠાવ્યા હતા. હવે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવવો અશ્વિનને ભારે પડી ગયો છે. દરમિયાન બીસીસીઆઈએ કાર્યવાહી કરતા રવિચંદ્રન અશ્વિન પર મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારાયો હતો. રાજસ્થાન રોયલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં આચારસંહિતાના ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. અશ્વિને આચાર સંહિતાની કલમ 2.7 હેઠળ લેવલ-1નો ગુનો સ્વીકાર્યો છે. મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે. આર. અશ્વિને મેચ બાદ કહ્યું હતું કે, મેં આ પહેલા ક્યારેય જોયું નથી જ્યારે અમ્પાયરોએ ખૂબ ઝાકળ પડવા પર બોલ બદલ્યો હોય. તે આશ્ચર્યજનક હતું કે ઝાકળને કારણે અમ્પાયરોએ જાતે જ બોલ બદલ્યો હતો. સાચું કહું તો આઇપીએલમાં આ વખતે મેદાન પર લીધેલા કેટલાક નિર્ણયોથી મને થોડું આશ્ચર્ય થાય છે.