ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારત પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુદ્દે મતભેદ ચાલી રહ્યા હોવા છતાં પશ્ચિમી દેશો સાથે કામ કરી રહ્યું છે. ભારતનું આ વલણ તમારી અપેક્ષા મુજબનું નથી તો તે તમારી સમસ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજીત G20 સમિટની બેઠકમાં સામેલ થયા હતાં અને ત્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતાં. આ મુદ્દે પશ્ચિમી દેશો મોદીની નિંદા કરી રહ્યા હતાં, જેને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ છે. તેમણે ચીન-ભારત સીમા પર સૈન્યને મજબૂત રીતે તહેનાત કરવા નિર્ણય કરવો જોઈએ. ચીન સાથેના સંબંધોની વાસ્તવિકતા એ છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો પાડોશી પણ છે. જોકે આપણો ઈતિહાસ, સંઘર્ષ અને સીમા વિવાદ પણ ચીન સાથે જોડાયેલો છે. ચીન સાથે કોઈપણ વ્યવહાર કરવાનો યોગ્ય માર્ગ એ છે કે, હવે આપણે મક્કમ થઈને રહેવું પડશે. સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી છે, તેથી જો તેઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે લડવા તૈયાર છીએ.